- પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
- જ્યાં મારામારી કરી હતી ત્યાં પોલીસે વરઘોડો કાઢ્યો
સુરતના ડીંડોલી અંબિકા ટાઉનશીપમાં મારામારીનો મામલો સામે આવ્યો હતો. ત્યારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પાણી ઢોળવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમજ લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે આરોપીઓની ભાઈગીરી ઉતારી અને જ્યાં મારામારી કરી હતી ત્યાં વરઘોડો કાઢ્યો હતો.
સુરતમાં બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. મારામારીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ડીંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા ટાઉનશિપમાં મારામારીની ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, લાકડાના ફટકા વડે યુવકોને માર મારવામાં આવ્યો હતો. મારમારીની આ ઘટનામાં બે યુવકોને ઈજા થઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં મહેન્દ્ર પ્રતાપસિંઘે નોંધાવેલી ફરિયાદ મુજબ આશિષસિંઘ તથા તેનો ભાઇ અર્પિતસિંઘ તથા આશિષનો મિત્ર તથા કારમાં આવેલા એક અજાણ્યા ઇસમે તેમના ભાણેજ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો. જેમાં બ્રેઝા કારના ચાલકે ભાણેજ અમનને ગરદનના ભાગે ચપ્પુના બે ઘા મારી દીધા હતા. તેમજ આશિષસિંઘ તથા તેના ભાઇ અર્પિતસિંઘે તેમના સાળા સંદીપસિંઘ તથા ભાણેજ અમનને ફટકાઓ વડે માર માર્યો હતો અને આશિષસિંઘે ભાણેજ અમનને દાઢીના ભાગે તથા ડાબા હાથના પંજાના ભાગે ચપ્પુના ઘા મારતા મહેન્દ્ર પ્રતાપસિંઘ તેને બચાવવા વચ્ચે પડતા બ્રેઝા કારના ચાલકે ડાબા હાથના પંજાના ભાગે ફટકો માર્યો હતો. જે બાદ તમામ ઈસમો નાસી ગયા હતા.
સામે પક્ષે આશિષ રાઘવભાઇ ઉમાશંકરસિંઘે પણ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેમાં મહેન્દ્રસિંઘ તથા તેની સાથેના અન્ય ત્રણ ઇસમોએ તેને અને તેના મિત્ર સત્યમને માથાના ભાગે લોખંડનો સળિયો મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. જ્યારે તેના ભાઈ અર્પિતને પણ સળિયા વડે પીઠના ભાગે તથા ડાબા હાથના ભાગે માર મારવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય