Abtak Media Google News

108 એમ્બ્યુલન્સ : કોરોનાના ગંભીર દર્દીઓને ઓક્સિજન પૂરો પાડતી લાઈફ લાઈન

રાજકોટમાં 108ની 16 એમ્બ્યુલન્સ રાઉન્ડ ઘી ક્લોક કરી રહી છે કોરોનાના દર્દીઓનું વહન

 

કોઈ ગંભીર અકસ્માત સમયે 108 નંબર પર ફોન કરી એમ્બ્યુલન્સની મદદ મંગાતી હોય છે., ક્યારેક ઇમર્જન્સીમાં કોલ કરી દવાખાને જવા 108ને બોલાવવામાં આવે છે પણ છેલ્લા કેટલાક દિવસોમાં 108 એમ્બ્યુલન્સની કામગીરીનું સ્વરૂપ બદલાઈ ગયું છે.હાલની પરિસ્થિતિમાં 108 ને કોરોનાના દર્દીઓ પણ કોલ કરી મદદ માટે બોલાવે છે. ખાસ કરીને જેની સ્થિતિ ગંભીર હોય તેમના માટે ઓક્સિજન સુવિધા સાથેની 108 બને છે લાઈફ લાઈન. 108 એમ્બ્યુલન્સમાં મેડિકલ ટીમ, દવા ઉપરાંત ઓક્સિજન માસ્ક સાથેની ઈમરજન્સી સુવિધા ઉપલબ્ધ હોય છે. જેનો મહત્તમ ઉપયોગ આજકાલ કોરોનાના દર્દીઓને ઘરેથી લઈ જઈ તેઓ જ્યાં સુધી દાખલ ન થાય ત્યાં સુધી 108 માં જ ઓક્સિજનની સુવિધા સારવાર મળી રહે, તે માટે કરવામાં આવે છે.

રાજકોટની વાત કરીએ તો કુલ 16 એમ્બ્યુલન્સ 108 તરીકે કાર્યરત છે, જે પૈકીના 10 વાહનો 24 કલાક અને 6 વાહનો 12 કલાક ફરજ બજાવે છે. 24 કલાક ફરજ બજાવતી એમ્બ્યુલન્સમાં 25 લીટરની કુલ ત્રણ ઓક્સિજનની બોટલ હોય છે. જયારે 12 કલાક ફરજ બજાવતી ગાડીઓમાં બે બોટલ હોવાનું 108 ના કો-ઓર્ડીનેટર શ્રી વિરલ ભટ્ટ જણાવે છે.આ ગાડીઓમાં ઓક્સિજન ક્યારેય ખૂટે નહિ તે માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે ? તેમ પૂછતાં શ્રી વિરલભાઈ જણાવે છે કે, અમે લોકો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ હંગામી ધોરણે ચૌધરી હાઈસ્કૂલ ખાતે એક બેકઅપ વાન ઉપલબ્ધ  રાખીએ છીએ. જેમાં ઓક્સિજનની બોટલનો સ્ટોક હોય છે. જેવી 108 આવે એટલે તેની ખાલી બોટલ લઈ તેમને ભરેલી બોટલ આપી દઈએ. બધી ખાલી બોટલો ભેગી કરી મેટોડા સ્થિત પ્લાન્ટ ખાતે જઈ તે તમામ બોટલ રીફીલ કરાવી લેવામાં આવે છે. રોજે રોજ તમામ 108 માં ઓક્સિજનની બોટલ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સ્થળ પર જ બદલી આપવામાં આવે છે. હાલના સમયે 108 ખરા અર્થમાં દર્દીઓની લાઈફ લાઈન બની રહી છે તેમ ચોક્કસપણે કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.