Abtak Media Google News

હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને ઉપલબ્ધ કરાવવામાં વેગ મળે તે માટે પ્રધાનમંત્રીના આદેશની દિશામાં આગળ વધવા દેશભરમાં જાહેર આરોગ્યના સ્થળો (હોસ્પિટલોમાં)એ મેડિકલ ઓક્સિજન જનરેશન (ઉત્પાદન) પ્લાન્ટ પ્રેસર સ્વિંગ એડસોર્પશન (PSA)સ્થાપવા માટે ફંડની ફાળવણી માટે પીએમ કેર્સ ફંડે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેના પછી ગુજરાતને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયનો લાભ મળશે.

વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લા વડામથકની નિયત કરાયેલી સરકારી હોસ્પિટલમાં આ વિશેષ પ્લાન્ટની રચના કરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ફંડની પ્રાપ્તિ કરાશે. જેમાં ગુજરાતના 29 જિલ્લાઓમાં PSA પ્લાન્ટ ઉપલબ્ધ થશે. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. જેના કારણે ગુજરાતમાં વ્યાપી રહેલી કોવિડ-19ની બીજી લહેરની તીવ્રતામાં સર્જાયેલી ઓક્સિજનની અછતનો સામનો કરવામાં મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો હતો કે,આ પ્લાન્ટ શક્ય તેટલી ઝડપથી કાર્યરત થઈ જવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટથી દેશભરમાં જિલ્લા સ્તરે ઓક્સિજનના પુરવઠાની ઉપલબ્ધતામાં મોટો વેગ મળશે. અગાઉ પીએફ કેર્સ ફંડ દ્વારા દેશમાં જાહેર આરોગ્ય સંસ્થાઓની અંદર જ 162 જેટલા પીએસએ મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના માટે 201.58 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

જિલ્લા વડામથક ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના કરવા પાછળનો મૂળભૂત હેતું. દેશની જાહેર આરોગ્ય સિસ્ટમને મજબૂત બનાવવાનો તથા આ હોસ્પિટલોમાં ઓક્સિજન જનરેશન સવલતો હોવાની ખાતરી કરાવવાનો છે. આ પ્રકારની પોતાને ત્યાં જ વિકસાવવામાં આવેલી ઓક્સિજન જનરેશન સવલતથી આ હોસ્પિટલો તથા જિલ્લાઓમાં મેડિકલ ઓક્સિજનની દૈનિક જરૂરિયાતને પહોંચી વળવામાં આવશે. આ ઉપરાંત લિક્વીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) ઓક્સિજન જનરેશનમાં વધારાની સવલત તરીકે કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.