Abtak Media Google News

દેશમાં વીજ ઉત્પાદન, ખાતર બનાવવા અને વાહનો ચલાવવા માટે વપરાતો ગેસ મોંઘો થવાની ધારણા

વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવમાં વધારો થતાં શુક્રવારે કુદરતી ગેસના ભાવમાં રેકોર્ડ 40 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ કારણે દેશમાં વીજ ઉત્પાદન, ખાતર બનાવવા અને વાહનો ચલાવવા માટે વપરાતો ગેસ મોંઘો થવાની ધારણા છે. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવાના દરને વર્તમાન 6.1 પ્રતિ મિલિયન ડોલર બ્રિટિશ થર્મલ યુનિટ (એમબીટીયુ)થી વધારીને 8.57 મિલિયન ડોલર કરવામાં આવ્યો છે. આ દરે જ દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગ વેચવામાં આવશે.આ આદેશ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ભાગીદાર બીપી પીએલસી દ્વારા કેજી બેસિનમાં સંચાલિત ડી-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવેલા ગેસની કિંમત પ્રતિ યુનિટ 9.92 ડોલર થી વધારીને 12.6 ડોલર કરવામાં આવી છે. એપ્રિલ 2019 પછી ગેસના દરમાં આ ત્રીજો વધારો હશે. બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ભાવમાં મજબૂતી આવવાને કારણે આમાં વધારો થયો છે. કુદરતી ગેસ ખાતર બનાવવા તેમજ વીજળી ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય કાચો માલ છે. તેને સીએનજીમાં પણ રૂપાંતરિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) એટલે કે એલપીજી તરીકે પણ થાય છે.

દરોમાં ભારે વધારાથી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થવાની ધારણા છે, જે છેલ્લા એક વર્ષમાં 70 ટકાથી વધુ વધી ચૂક્યા છે. સરકાર દર છ મહિને એટલે કે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે ગેસના ભાવ નક્કી કરે છે. આ કિંમતો એક વર્ષના ત્રિમાસિક અંતરાલ સાથે યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ-સરપ્લસ દેશોમાં પ્રવર્તમાન દરો પર આધારિત છે. 1 ઓક્ટોબરથી 31 માર્ચ સુધીની કિંમત જુલાઈ 2021 થી જૂન 2022 સુધીની સરેરાશ કિંમત પર આધારિત છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક દરોમાં તીવ્ર વધારો થયો છે.

ગેસના ઊંચા ભાવ ફુગાવાને (મોંઘવારી) વધુ વધારી શકે છે, જે છેલ્લા આઠ મહિનાથી આરબીઆઈના સંતોષકારક સ્તરની ઉપર ચાલી રહી છે. સરકારે પ્રાઇસિંગ ફોર્મ્યુલાની સમીક્ષા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કુદરતી ગેસના ભાવમાં વધારાથી દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજી અને એલપીજીના દરમાં વધારો થવાની શક્યતા છે.આનાથી વીજળી ઉત્પન્ન કરવાનો ખર્ચ પણ વધશે પરંતુ ગ્રાહકોને કોઈ મોટી સમસ્યા નહીં થાય કારણ કે ગેસમાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો ઘણો ઓછો છે. તેવી જ રીતે ખાતરના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીના કારણે દરો વધવાની શક્યતા નથી. જોકે, આ નિર્ણયથી ઉત્પાદકોની આવકમાં વધારો થવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.