Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

ભારતીય બજારમાં વેંચાતા વાહનોમાં મુસાફરોની સુરક્ષાને લઈને ઘણી વખત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ચિંતાઓને દૂર કરવા માટે સરકારે અનેક પગલાં લીધાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આઠ લોકોનું વહન કરતા મોટર વાહનો માટે લઘુત્તમ છ એરબેગ્સ ફરજિયાત બનાવવાના ડ્રાફ્ટ જીએસઆર નોટિફિકેશનને તેમણે મંજૂરી આપી દીધી છે.

 ડ્રાફ્ટ જીએસઆર નોટિફિકેશનને મંજૂરી આપી દેવાઈ: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી આપી માહિતી

ગડકરીએ કહ્યું, આ આખરે તમામ સેગમેન્ટમાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરશે, વાહનની કિંમત વેરિઅન્ટને ધ્યાનમાં લીધા વિના કરવું પડશે, મંત્રાલયે પહેલાથી જ ૧ લી જુલાઈ ૨૦૧૯ થી ડ્રાઈવર એરબેગ્સ અને ફ્રન્ટ કો-પેસેન્જર એરબેગ્સ આ વર્ષે ૧લી જાન્યુઆરીથી લાગુ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

એમ- ૧ વાહન કેટેગરીમાં નક્કી કરવામાં આવ્યું છે કે આગળ અને પાછળના બંને કમ્પાર્ટમેન્ટ માટે આગળ અને પાછળની અથડામણની અસરને ઘટાડવા માટે ચાર વધારાની એરબેગ્સ ફરજિયાત છે.આમાં બે સાઇડ એરબેગ્સ અને બે બાજુના પડદા,ટ્યુબ એરબેગ્સ સામેલ હશે જે કારના તમામ મુસાફરોને આવરી લેશે. તેમણે કહ્યું કે ભારતમાં મોટર વાહનોને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

દર વર્ષે નોંધાયેલા માર્ગ અકસ્માતોની ચિંતાજનક રીતે મોટી સંખ્યામાં નોંધાયેલા દેશોમાં ભારત ટોચના દેશોમાંનો એક છે. આ માર્ગ અકસ્માતોમાં મોટી સંખ્યામાં મૃત્યુ અને ગંભીર ઇજાઓ થાય છે. જ્યારે અકસ્માતો પાછળ ટ્રાફિકનું ઉલ્લંઘન મુખ્ય કારણ ગણાય છે. પરંતુ અપૂરતા સલામતીનાં પગલાં, ખાસ કરીને નાના એન્ટ્રી-લેવલ વાહનોમાં, પણ મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.