Abtak Media Google News

ત્રણ હપ્તામાં એરિયર્સ ચૂકવાશે: પ્રથમ હપ્તો જુન, બીજો હપ્તો ઓગસ્ટ અને ત્રીજો હપ્તો ઓકટોમ્બરમાં અપાશે: રાજય સરકારની તીજોરી પર વાર્ષિક રૂ. 4516 કરોડનો બોજ

રાજય સરકારના 9.38 લાખ કર્મચારી તથા પેન્શનર્સના વર્તમાન મોંધવારી ભથ્થામાં 8 ટકાનો તોતીંગ વધારો કરાયો છે. કર્મચારીઓને હવે મુળ પગારના 4ર ટકા લેખે મોંધવારી ભથ્થુ પણ ચુકવાશે.

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા. 1-7-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.1-1-2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. 1-07-2022 તથા તા. 1- 1-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે.

રાજય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા. 1 જુલાઇ 2022 થી 1 જાન્યુઆરી 2023 થી મળવા પાત્ર મોંધવારી ભથ્થાના મે-2023 સુધીના પગાર તફાવતની રકમ 3 હપ્તામાં રોકડમાં ચૂકવાશે. પ્રથમ હપ્તો જુન માસના પગાર (પેઇડ ઇન જુલાઇ) સાથે બીજો હપ્તો ઓગસ્ટ માસના પગાર (પેઇડ ઇન સપ્ટેમ્બર) સાથે, ત્રીજો હપ્તો ઓકટોબર માસના પગાર (પેઇડ ઇન નવેમ્બર) સાથે ચુકવાશે. મોંધવારી ભથ્થામાં પ0 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે.

જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજય સરકાર હસ્તક છે. તેવા રાજય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માઘ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણીક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ-સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજય સરકારની મંજુરીથી સાતમાં પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે. તેવા કર્મચારીઓને લાગુ પડશે. આ હુકમોનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુકિત ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજુર કરવામાં આવેલ છે.

તેમને મળવાપાત્ર થશે.

પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજુર થયેલ મોંધવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માઘ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતાં મોંધવારી ભથ્થાના કારણે થતું ખર્ચ, આ હુકમો નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજુર કરેલ મોંધવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવા પાત્ર હિસ્સો કરતાં વધારે ન થવો જોઇએ.

રાજય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંધવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવા પાત્ર થશે. આ હુકમો અખિલ ભારતીય સેવા અધિકારીઓને પણ લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.