Abtak Media Google News

નાથદ્વારામાં શ્રીનાથજી બાવાના સાનિધ્યમાં સગાઇ વીધિ સંપન્ન

અંબાણી પરિવારના આંગણે ફરી આનંદનો અવસર આવ્યો છે. તાજેતરમાં ઇશા પોતાના જોડકા બાળકો સાથે અમેરિકાથી મુંબઇમાં આવ્યા હતા. દરમિયાન ગઇકાલે મુકેશભાઇ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે નાથદ્વારામાં શ્રીનાથજી બાવાના સાનિધ્યમાં સંપન્ન થઇ હતી.

શ્રીમતી નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની “રોકા” (સગાઈ) શ્રીમતી વિધિ શૈલા અને વિરેન મર્ચન્ટના સુપુત્રી રાધિકા મર્ચન્ટ સાથે રાજસ્થાનના નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓ તેમને આશીર્વાદ આપ્યા હતા. યુવા યુગલે આગામી સહજીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો. પરિવાર અને મિત્રો સાથે મળીને ખુશીના આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

અનંત અને રાધિકા થોડાંક વર્ષોથી એકબીજાને ઓળખે છે અને આ સમારંભથી આગામી મહિનાઓમાં યોજનારા તેમના લગ્નની ઔપચારિક વિધિનો પ્રારંભ થયો છે. તેઓ તેમની સહજીવનની નવી યાત્રાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે બંને પરિવારો રાધિકા અને અનંત માટે દરેકના આશીર્વાદ અને શુભકામનાઓની અભ્યર્થના રાખે છે.અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ પદો પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી રહ્યા છે. તેઓ હાલમાં આરઆઇએલના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.