Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણીના દિશાનિર્દેશનમાં સામાન્ય વહીવટ વિભાગે માળખું મંજૂર કર્યુ

તાંત્રિક-ટેક્નિકલ કામગીરી માટે બે અધિક્ષક ઇજનેર સહિત ૧૧ર જગ્યાઓ, વહીવટી કામગીરી માટે એક સીઈઓ સહિત ર૦૧ જગ્યાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરદાર સરોવર બંધ ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેકટસના સરળ અમલીકરણ, સંચાલન, જાળવણી માટે ૩૧૩ જેટલા અધિકારીઓ-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશોને પગલે સામાન્ય વહીવટ વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી (કેવડીયા ઓથોરિટી) હેઠળ વિવિધ સંવગર્નું આ મહેકમ મંજૂર કર્યુ છે.  ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ કેવડીયા અથોરીટી કાર્ય ક્ષેત્ર અંતર્ગત મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી, ચિલ્ડ્રન-ન્યુટ્રિશન પાર્ક, મીરર મેઝ, વેલી ઓફ ફલાવર્સ, વિશ્વ વન, કેકટસ્ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા નર્સરી તેમજ લગભગ ૨૫ ચો.કિ.મી. ક્ષેત્રફળનો વ્યાપ ધરાવતા વિશાળ વિસ્તારમાં કરવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ વગેરેના ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ હવે પછી જરૂરિયાત મુજબની વધારાની કામગીરી હાથ ધરવાની બાબતનો સમાવેશ થશે.

આ સમગ્ર કામગીરીના સરળ સંચાલન, વ્યવસ્થાપન અને નિભાવણી માટે જરૂરી એવું તાંત્રિક-ટેક્નિકલ અને વહીવટી-એડમીનીસ્ટ્રેટીવ માળખું મંજૂર કરાયું છે.  તદઅનુસાર, સામાન્ય વહીવટ વિભાગે આ વિવિધ પ્રોજેકટસ માટેના ટેક્નિકલ-તાંત્રિક કામગીરીઓના સંચાલન, વ્યવસ્થાપન હેતુથી બે વર્તુળ કચેરીઓ બે અધિક્ષક ઇજનેરના વડપણમાં ઊભી કરી છે.  જેમાં પ્રથમ વર્તુળ કચેરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલન અને જાળવણીની કામગીરી અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શ્રેષ્ઠ ભારત ભવન, ગોરા બ્રીજ નેવીગેશન ચેનલ, બન્ને જેટ્ટી (શ્રેષ્ઠ ભારત ભવન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી) અને મેન્ટેનંન્સની કામગીરી તથા જુદી જુદી જગ્યાએ સ્લોપ પ્રોટેક્શન માટે કરવામાં આવેલી ગેબીયનની કામગીરી સંભાળશે.  બીજી સર્કલ (વર્તુળ) કચેરી અન્ય તમામ પ્રોજેકટની ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે. આ બેય કચેરીઓમાં બે અધિક્ષક ઇજનેર સહિત ૪, કાર્યપાલક ઇજનેર (સીવીલ) ૧, કાર્યપાલક ઇજનેર (ઇલેકટ્રીકલ) સહિત ૧૧ર વ્યક્તિઓ કામકાજ સંભાળવાના છે.  કેવડીયા ખાતે જુદા જુદા સ્થળોના વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરીના કોન્ટ્રાકટ અને એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે તેની કામગીરી અને જવાબદારીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી-કેવડીયા ઓથોરિટીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રિય એકતા ટ્રસ્ટ હેઠળ હાથ ધરાયેલા આવા કોન્ટ્રેકટ અને એગ્રીમેન્ટ માટે પણ આ ટ્રસ્ટ દ્વારા ઓથોરિટીને અધિકૃત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ બધી જ થયેલી કામગીરીઓના સંકલન માટે ઓથોરિટીમાં નાણાંકીય સવલતો ઊભી કરવા ર૦ર૦-ર૧ના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ તરીકે રૂ. પ૦ કરોડની જોગવાઇ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી આ જગ્યાઓ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાંથી પ્રતિનિયુક્તિ ના ધોરણે ભરવાની રહેશે અથવા સેવાઓ-મેનપાવર આઉટર્સોસથી મેળવવાના રહેશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી (કેવડીયા ઓથોરિટી)ની રચના અંગેનો કાયદો ગત તા. ૧ ફેબ્રુઆરી-ર૦ર૦થી અમલમાં આવેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.