Abtak Media Google News

મેં નહી હમના ભાવ સાથે યોજાતી

ચિંતન શિબિરના બીજા દિવસે આજે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, મનોમંથન કરાશે

સરદારના સાનિઘ્યમાં અર્થાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઇકાલથી ચિંતન શિબિરનો આરંભ થયો છે. આજે બીજા દિવસે વિવિધ મુદાઓ પર મનોમંથન કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો એકતાનગરથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, મેં નહીં હમના ભાવ સાથે યોજાતી ચિંતન શિબીરો ગવર્નન્સમાં મોટા ચેન્જ લાવવાનું સક્ષમ માધ્યમ બની છે. ચિંતન શિબિર માટેના પરસેપ્શન ભલે જુદા હોય પરંતુ રીઝલ્ટ મેથેમેટિક્સ-ગણિતના દાખલા જેવું એક અને સચોટ હોય છે, જેમાં સરવાળાનો જવાબ એક જ આવે છે. આવી ચિંતન શિબિરમાં આપણા સૌના મંથનની દિશા એક હોય ત્યારે સૌના સાથ, સૌના વિકાસની ભાવના અવશ્ય ચરિતાર્થ થાય જ, એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ શિબિરના પ્રારંભે પ્રસ્તુત થયેલા મનુષ્ય ગૌરવ ગાન, મનુષ્ય તું બડા મહાન મહાન હૈનો  ભાવ આગવી શૈલીથી વર્ણતા જણાવ્યું કે, જો માનવીમાં કંઈક કરવાનો ભાવ હોય, મારે પણ કઈ સારું કરવું છે તેવી ખેવના હોય તો અવશ્ય પરિણામ મળે જ છે.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સરદાર પટેલે આઝાદી બાદ ભારતને એક કર્યો, તેને શ્રેષ્ઠ બનાવવાનું કામ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. આ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવા દેશના રાજ્યો વચ્ચે તેમની સારી બાબતોનું પરસ્પર આદાન પ્રદાન થાય તેવી વ્યવસ્થા તેમણે ઉભી કરી છે. સૌરાષ્ટ્ર તામીલ સંગમ અને માધવપુર ઘેડનો મેળો તેના ઉત્તમ ઉદાહરણો છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આના પરિણામે ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક બાબતો અને વેપાર વણજ વિકસ્યા છે. જે સારૂ છે તેનો લાભ સૌને મળે, આમ સરવાળે એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે, તેમ તેમેણે ઉમેર્યું હતું. નાણામંત્રી  કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યુ છે. આજે ગુજરાતની આ વિકાસયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ હરણફાળ ભરી રહી છે.

નાણાં મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વહીવટના દરેક તબક્કે ફરજ બજાવતા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખને સાથે રાખી સરકારના વિઝન અને મિશનને ઓપ આપવા ચિંતન શિબિર નામનું પ્લેટફોર્મ ઉભું કર્યું હતું. જે આજે ગુજરાતમાં જ નહિ, રાષ્ટ્રિય કક્ષાએ અને અનેક રાજ્યોમાં પણ વિસ્તર્યું છે.

મંત્રીઓ અને અધિકારી-કર્મચારીઓ રાજયના વહીવટ સાથે સંકળાયેલ સેવા સમર્પિત કર્મયોગીઓ છે તેમ જણાવતા નાણામંત્રીશ્રીએ ઉમેર્યું કે, નાગરિકોની આશા, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ  સમજીને યોજના બનાવવી અને બનેલી યોજનાના લાભો છેક છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવા તે આપણી સૌની જવાબદારી છે. નીતિ આયોગ દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનની નોંધ લેવામાં આવી છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત તથા “આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત” ના સંકલ્પને સાકાર કરવા આ ચિંતન શિબિર ઉદ્દીપક તરીકે કામ કરશે એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્ય સચિવ શ્રી રાજકુમારે અગાઉ યોજાઈ ગયેલી ચિંતન શિબિરોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે અગાઉની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી છે. ચિંતન શિબિરના એજન્ડા નક્કી કરવા માટે જે મનોમંથન કરવામાં આવ્યું તેની ગુણવત્તાની પ્રશંસા કરી અને સબંધિત અધિકારીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા પાંચ છ વર્ષમાં બનેલા મહત્વના પ્રસંગો પર પ્રકાશ પાડતા મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરાયેલા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે તેમજ કોન્ફરન્સ ઓફ પેરીસમાં 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય હાંસલ કરવા ભારતે લીધેલી પ્રતિજ્ઞાને સાર્થક કરવા ચિંતન શિબિરમાં સૌએ મનોમંથન કરવું પડશે.આ ઉપરાંત, ગુજરાતના બજેટમાં જણાવેલા પાંચ સ્તંભો હેઠળ નક્કી કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવા પણ ચિંતન કરવું પડશે.તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં સંસાધનોની કોઈ જ ઊણપ નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચિંતન શિબિરનો નિષ્કર્ષ, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો ધ્યેય સાકાર કરવામાં મહત્વપૂર્ણ બનશે.

અગ્ર સચિવ  મોહમંદ શાહિદે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, વહીવટમાં સરળીકરણ, ગતિશીલતા અને જનહિતલક્ષી સુશાસન માટે ચિંતન શિબિર ઉપયોગી બનશે. નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પ્રારંભ કરેલી ચિંતન શિબિરની આગવી પ્રણાલી આજે પણ જીવંત રહી છે એમ જણાવી તેમણે ત્રિ-દિવસીય શિબિરની રૂપરેખા આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઇ રહેલી આ ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્યમંત્રીના સલાહકારો સહિત વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ મળીને 230 જેટલા લોકો સહભાગી થઇ રહ્યા છે.

નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી

પ્રથમ દિવસને અંતે સંધ્યા કાળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ  રેવા  તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા  સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.