Abtak Media Google News

કોળી સમાજની અવગણના સાંખી નહિ લેવાનો હુંકાર

વિધાનસભાની ચૂંટણીને લઈને સમાજનું શક્તિ પ્રદર્શન : હજુ 15 દિવસના બીજું સંમેલન યોજવાની કવાયત

અબતક, રાજકોટ : રાજકોટમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની ઉપસ્થિતિમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન રૂપી સંમેલન મળ્યું હતું. જેમાં આગેવાનોએ કોળી સમાજની અવગણના સાંખી નહિ લેવાનો હુંકાર કર્યો હતો.

રાજકોટમાં કુવાડવા રોડ પર સમસ્ત કોળી સમાજ – રાજકોટ દ્રારા સૌરાષ્ટ્રનાં આગેવાનોનું એક સંમેલન મળ્યુ હતુ તેમાં ભાજપ – કોંગ્રેસનાં આગેવાનો હાજર રહયા હતા. સંમેલનમાં કુંવરજી બાવળીયા અને સુરેન્દ્રનગરનાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની હાજરીએ રાજકીય વર્તૂળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજકોટ કોંગ્રેસનાં આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહયા હતા. સંમેલનમાં બાવળીયા અને દેવજી ફતેપરા સહિતનાં વકતાઓએ આગામી દિવસોમાં રાજકીય અને સામાજિક રીતે સંગઠનને વધુ મજબુત બનાવવા પર ભાર મુકયો હતો. આગેવાનોએ રાજકીય અન્યાય કોળી સમાજ સાંખી નહિ લે તેવા પણ સંકેતો આપ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ચૂંટણીઓ પહેલા કોળી નેતાઓ સક્રિય બન્યા છે. આજે રાજકોટનાં સંમેલનમાં સમાજનાં કાર્યકરોએ રાજકીય અને સામાજિક રીતે સંગઠનને કેમ મજબુત બનાવવુુ તે અંગે નેતાઓને સૂચનો આપ્યા હતા. કોળી સમાજ દ્રારા આગામી પંદર દિવસમાં સૌરાષ્ટ્રમાં બીજુ સંમેલન યોજવા કમર કસી છે.

ભાજપના જ પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ પાર્ટી પર નિશાન સાધતા સારા જાહેર કહ્યું કે, ,અમને એ દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે. ભાજપ અને કોંગ્રેસ બંને જાણે છે કે કુંવરજીભાઇ અને દેવજીભાઈ ફતેપરાની તાકાત શુ છે ? આજના સામાજિક વધુ અને બિન રાજકીય એવા સંમેલનમાં નગરસેવક બાબુભાઇ ઉધરેજા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને કોંગ્રેસ-ભાજપના સમાજના  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.