Abtak Media Google News

હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ વયના નાગરિકોએ બન્ને ડોઝ લીધાના 39 અઠવાડીયા

પુર્ણ થયા હોય તેઓને પ્રિકોશન ડોઝ: એલીજીબલ લાભાર્થીઓને એસએમએસથી જાણ કરાશે

અબતક,રાજકોટ

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી છે. હાલ દેશભરમાં 15થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. દરમિયાન આગામી સોમવારથી ગુજરાતમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને 60વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે.

રાજયમાં 15થી 18 વર્ષ સુધીના બાળકોને વેકિસન આપવા માટે 7મી જાન્યુઅરી સુધી ખાસ ડ્રાઈવ હાથ ધરાયા બાદ આજથી બે દિવસ જે બાળકો શાળાએ નથી તેને શોધીને વેકિસનેટ કરવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે અને તેઓનાં અનુકુળ સમયે સેશન રાખવામાં આવશે. આગામી સોમવારથી સમગ્ર દેશ સાથે ગુજરાતમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વયના સીનીયર સીટીઝનો અને બિમારી ધરાવતા નાગરીકોને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે.

60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ પોતાના ડોકટરની સલાહ મુજબ રસી લઈ શકે તે માટે તેણે કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નહીં. ગુજરાતમાં 6,24,092 હેલ્થકેર વર્કર, 13,44,533 ફ્રંટ લાઈન વર્કર, અને અંદાજીત 14,24,600 સાઈઠ વર્ષથી વધુ ઉંમરના કોબોર્બિડ લાભાર્થીઓ મળી કુલ 33 લાખ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ અપાશે.

જે લાભાર્થીએ રસીનો બીજો ડોઝ લીધો હોય અને તેને 9 મહિના (39 અઠવાડીયા) પૂર્ણ થયા હોય તેઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિડ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ અંગે એસએમએસથી જાણ કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.