Abtak Media Google News

 

પાટણ જિલ્લાનો ઠાકોર પરિવાર વાછડાદાદાની માનતા પુરી કરીને પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત

 

ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની માનતા પુરી કરીને આવતા પાટણના પરિવારની ગાડીને અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત ચાલક પતિ-પત્નિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. રણમાં કૂતરૂ આડું ઉતરતા એને બચાવવા જતા ગાડી પલ્ટી ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ગંભીર ઇજાઓ પહોચતા વિરમગામ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામના ભરતજી હીરાજી ઠાકોર પોતાની પત્નિ સુર્યાબેન, પુત્ર રોહીત, દીકરી જીનલ, બહેન વિમળાબેન, બનેવી સુરેશજી ઠાકોર, બે માસની ભાણી શ્રધ્ધાને લઇને ગાડીમાં ઝીંઝુવાડા રણમાં આવેલા વાછડાદાદાની જગ્યાએ દર્શન અને માનતા પુરી કરીને પરત આવી રહ્યાં હતા.

ત્યારે ઝીંઝુવાડા રણમાં કુતરૂ આડુ ઉતરતા કાવુ મારવા જતા અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પુરઝડપે જતી ગાડી પલ્ટી ખાઇ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર તમામ લોકોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં તાકીદે પ્રાથમિક સારવાર અર્થે દસાડા હોસ્પિટલે લઇ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાતા આ ઘટનામાં સુર્યાબેન ઠાકોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

જ્યારે એમના પતિ ભરતજી ઠાકોરની હાલત નાજૂક જણાતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં એમનું પણ સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. આ બનાવ અંગે મૃતક ભરતજી ઠાકોરના બહેન વિમળાબેન ઠાકોરની ફરીયાદના આધારે ઝીંઝુવાડા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઇ એન.એલ.સાંખટ ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.