Abtak Media Google News

દેવાધીદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી મંગલ પ્રારંભ થયો છે અને આ પવિત્ર માસમાં શિવભક્તો સતત એક મહિના સુધી શિવભક્તિમાં લીન થશે ત્યારે શિવજીના અનન્ય ભક્ત એવા ઇન્દ્ર્નિલ રાજગુરુએ રાજકોટની તદ્દન નજીક શિવધામનું નિર્માણ કરીને મહાદેવની શ્રેષ્ઠ આરાધના કરી છે. આ શિવધામમાં ગુજરાતનાં સૌથી મોટા અને એક માત્ર 25 ફૂટના રુદ્રાક્ષના શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરી છે. આ ત્રણ દિવસમાં શિવધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે પ્રાણપ્રતિષ્ઠા, મહાઆરતી, સાંસકૃતિક કાર્યક્ર્મ મહાપ્રસાદ, અને લોકડાયરો જેવા કાર્યક્રમો યોજાશે.

આ શિવધામ અને ધાર્મિક કાર્યક્રમો અંગે પત્રકારોને માહિતી આપતા સામાજિક અગ્રણી અને અનન્ય શિવભક્ત ઇન્દ્ર્નિલ રાજગુરુએ કહ્યું હતું કે, રાજકોટની ભાગોળે બેડી-વાંકાનેર રોડ ઉપર હડમતીયા પાસે આવેલી સંજયભાઈ રાજગુરુ કોલેજના કેમ્પસમાં શિવધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શિવધામ જે સ્થળે બનાવવામાં આવ્યુ છે તે સ્થળ અત્યંત રમણીય અને નૈસર્ગીક છે. અને ડુંગર ઉપર બે તળાવની વચ્ચે આવેલું છે. આ શિવધામમાં 25 ફૂટના રુદ્રાક્ષથી બનેલા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. સાથોસાથ બાર જ્યોતિર્લીંગની સ્થાપના પણ કરવામાં આવી છે. મંદિર પાસે લીલોછમ્મ ગાર્ડન પણ છે જે તન મનને શાંતિ આપે છે.

ઇન્દ્ર્નિલ રાજગુરુએ વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ શિવધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે, આ કાર્યક્રમો આવતીકાલથી ત્રણ દિવસ સુધી ચાલશે અને ત્રીજા દિવસે એટ્લે કે શ્રાવણ માસના પહેલા સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા થશે.

તેમણે કહ્યું હતું કે, આવતીકાલે તા. 30 ને શનિવારે સવારે તેમ જ તા. 31ને રવિવારે સવારે પ્રાણ પ્રતિષ્ઠાની લઘુરુદ્ર વિધિ કરવામાં આવશે. આ પછી તા. 1 લી ઓગસ્ટને સોમવારે એટ્લે કે શ્રાવણ માસના પહેલા સોમવારે આખો દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સવારે 9-00 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે થશે અને સાંજે 5-30 કલાકે બીડું હોમવામાં આવશે. સાંજે 6-30 વાગ્યે મહાઆરતીનો કાર્યક્ર્મ યોજાશે. આ મહા આરતીમાં રાજગુરુ પરિવારના સભ્યો અને અન્ય આમંત્રિતો જોડાશે.

મહાઆરતી બાદ ભવ્ય સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ યોજાશે જેમાં દેવ ભટ્ટ અને સાથી કલાકારો શિવની વેશભૂષામાં કલા રજૂ કરશે અને ત્યાર બાદ 8-00 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. આ પછી રાત્રે 10-00 વાગ્યે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં સુપ્રસિદ્ધ લોક કલાકાર ઓસમાણ મીર, સાહિત્યકાર રણજીત વાંક તથા હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા ઉપસ્થિત રહીને શિવ મહાત્મય રજૂ કરશે.

ઇન્દ્ર્નિલ રાજગુરુએ કહ્યું હતું કે, આપણાં આદિ શંકરાચાર્ય એટ્લે કે, દેવાધિદેવ મહદેવ દ્વારા હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી અને તેમાં સૃષ્ટિના સર્જકનું નામ શિવ આપ્યું હતું તેમ જ લિંગનો આકાર આપ્યો હતો. આમ કરવા પાછળનો હેતુ એ હતો કે માનવી પંચતત્વની સમજ કેળવીને સુદ્રઢ જીવન જીવે. આ મહત્વને ધ્યાનમાં રાખીને આ શિવધામની સ્થાપના કરવામાં આવી છે.

આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અને પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવા ઇન્દ્ર્નિલ રાજગુરુગં.સ્વ જસુમતિબેન, સંજયભાઈ રાજગુરુ, પરસોતમભાઈ રાજગુરુ, દર્શનાબેન આઈ.રાજગુરુ, દર્શનીલ આઈ.રાજગુરુ તથા સ્વરાજ આઈ. રાજગુરુ ઉપરાંત સમગ્ર રાજગુરુ પરિવાર અને મિત્ર મંડળે સૌને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ઇન્દ્ર્નિલ એ શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં જાહેરજનતા માટે શિવ મહોત્સવનું આયોજન કર્યું હતું અને લાખ્ખો લોકોએ તેનો લાભ લીધો હતો. હવે શિવજીની પ્રેરણાથી જ તેમના દ્વારા રાજકોટની ભાગોળે કાયમી ધોરણે આ શિવધામ મંદિર બનાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.