Abtak Media Google News

30,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા 100થી વધુ કેન્દ્રો પર લેવાશે: 18 ઓકટોબરથી પરીક્ષાનો પ્રારંભ થશે અને દિવાળી પૂર્વે જ પૂર્ણ થઈ જશે: દિવાળી બાદ સેમ-1 અને સેમ-3ના વિદ્યાર્થીઓની કસોટી લેવાશે

હવે જ્યારે કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે યુનિવર્સિટીઓમાં પણ પરીક્ષા લેવાનો ધમધમાટ શરૂ થયો છે. જો કે, રાજ્યની મોટાભાગની યુનિવર્સિટી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે. જો કે, એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવી હતી. ત્યારે હવે ચાલુ વર્ષના નવા સત્રથી જે રીતે અભ્યાસક્રમ થઈ રહ્યો છે તેને જોતા હવે પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા પણ વહેલી આવી જશે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યાં છે.

બીજીબાજુ વાત કરીએ તો છેલ્લા સેમ માટે વિદ્યાર્થીને તૈયારી માટે પુરતો સમય મળે અને કોલેજોમાં પણ શિક્ષકો કોર્ષ સમયસર પૂર્ણ કરાવી શકે તે માટે પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા નવરાત્રી બાદ અને દિવાળી પહેલા જ લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મન બનાવી લીધુ છે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે તબક્કાવાર પરીક્ષાનું આયોજન થતું હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ પરીક્ષાનું સુચારૂ આયોજન થાય તે માટે પરીક્ષા વિભાગ અત્યારથી જ તૈયારી દર્શાવી રહ્યું છે. ત્યારે આગામી તા.18 ઓકટોબર 2021થી તમામ કોર્ષના સેમ-5ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. આ પરીક્ષામાં 30,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય આ તમામ માટે 100થી વધુ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવનાર છે. આ ઉપરાંત કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ પરીક્ષાનું આયોજન થાય તે માટે પરીક્ષા ખંડમાં એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે.

આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોપીકેસની ઘટના ન બને તે માટે તમામ કેન્દ્રો પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સીસીટીવી મોનિટરીંગ કેન્દ્ર વિદ્યાર્થી પર સતત દેખરેખ રાખશે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સેમ-5ના વિદ્યાર્થીનો કોર્ષ હાલ પૂર્ણ થવાના આરે છે. આગામી પાંચ થી છ દિવસ દરમિયાન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓનો કોર્ષ પૂર્ણ થઈ જશે.

જેથી છેલ્લા સેમમાં વિદ્યાર્થીઓ વધુ તૈયારી કરી શકે અને પુરતો સમય મળે તે માટે તમામ સેમ-5ના વિદ્યાર્થીઓ દિવાળી પહેલા જ પૂરી કરી દેવામાં આવશે તે માટેનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાની મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી આપણે વિદ્યાર્થીઓને 100 ટકા ઓકશન સાથેનું પેપર પુછતાં હતા. જો કે હવે નવા સત્રથી વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ જ કર્યો છે. જેથી હવે પરીક્ષા પણ પહેલાની જેમ જ રાબેતા મુજબ રહેશે.

આવ ભાઈ હરખા આપણે બધા સરખા

હવે પરીણામપત્રકમાં ગ્રેડ નહીં મુકાય!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી હતી કે જેની પાસે એ-ગ્રેડ હતો. જો કે, ચાલુ વર્ષના નેકના ઈન્પેકશન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી એ-ગ્રેડ છીનવાયો હતો અને બી-ગ્રેડ મળ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો અસમંજસમાં હતો કે, વિદ્યાર્થીઓના પરીણામો પર ગ્રેડ લખવામાં આવશે કે કેમ ? કેમ કે અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના પરીણામમાં એ-ગ્રેડનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.

પરંતુ હવે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે એ-ગ્રેડ રહ્યો જ નથી જેથી હવે વિદ્યાર્થીઓના પરીણામપત્રકમાં એક પણ પ્રકારના ગ્રેડનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં તેવું પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જો કે, ભાવનગર યુનિવર્સિટી પાસે પણ બી-ગ્રેડ હોય તેવો વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં ગ્રેડનો ઉલ્લેખ કરે છે. બીજી બાજુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પરીણામ પત્રકમાં ગ્રેડનો ઉલ્લેખ નહીં થાય જેથી વિદ્યાર્થીઓને પણ આમા ક્યાંક ફાયદો થશે.

પરિણામમાં બ્લોક ચેઈન સિસ્ટમ અમલી કરી સીબીએસઈ પેપરલેસ બનવા સજ્જ

સીબીએસઈ દ્વારા વધુ એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ પ્રક્રિયા પેપરલેસ કરવા અને ફરી વિદ્યાર્થીઓના પરીણામોને સુરક્ષીત રાખવા સીબીએસઈ હવે બ્લોક ચેઈન સીસ્ટમ અમલી કરવા જઈ રહી છે. અગાઉ એફીલીએશન સીસ્ટમ માટે આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ અને મસીન લર્નીંગ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ડેટાને ક્રિપ્ટોગ્રાફીક્સ સિક્યુરીટી સાથે જોડીને સંગ્રહ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ અને રોજગાર માટે જતાં વિદ્યાર્થીઓની ચકાસણી માટેનો એક સાચો સ્ત્રોત ડેટા તરીકે સેવા આપશે. જેથી હવે વિદ્યાર્થીઓને બ્લેક ચેઈન ટેકનોલોજી માટે શ્રેષ્ઠ માહિતી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.