Abtak Media Google News

Table of Contents

પોષ સુદ બિજ એટલે આઈ સોનબાઈની જન્મજયંતિ. ચારણ શકિત એવા આઈ શ્રી સોનલમાં કે જેવો સમાજમાં ક્રાંતિકારી વિચારધારા સાથે અવતર્યા અને ચારણો માટે ઉધ્ધારક કાર્યો કર્યા ખાસ કરીને હાલ આઈમા ને માત્ર ચારણ સમાજ નહિ પરંતુ અઢારે વર્ણો માને છે. આઈ સોનલમાંના ભક્તો દ્વારા ભાવભેર ઠેર ઠેર સોનલબીજ ઉજવવામાં આવે છે. આઈમાંની મહેરથી ગુજરાતમાં તો સોનલબીજ ઉજવાય છે. પરંતુ ગુજરાત સિવાયના રાજયો અને વિદેશમાં પણ જયાં જયાં ચારણો વશે છે ત્યાં સોનલબીજ કે જેને ચારણી નૂતન વર્ષ પણ કહી શકાય તે ઉત્સાહભેર જવાય છે.

આઈશ્રી સોનલમાં દ્વારા ભારતભરનાં ચારણોને સંગઠીત કરી ‘ચારણો એક બનો નેક બનો’ની હાકલ કરી હતી. ચારણ સમાજ જયારે શિક્ષણથી દૂર હતો ત્યારે આઈમાં એ સમાજને શિક્ષણ તરફ પ્રેર્યા. ખાસ તો સોનબાઈ માનું એક સ્વપ્ન હતુ કે હરકોઈ ક્ષેત્રમાં એક ચારણ હોવો જોઈએ અને આજે આઈમાનું આ સ્વપ્ન કયાંક ને કયાંક સાર્થક થયું હોય તેવુ લાગી રહ્યું છે. સવિશેષ સમાજને ચારણત્વ શું છે. તે માટે આઈમાએ ૫૧ આદેશો આપ્યા છે. દરેક ચારણ પોતાના જીવનમાં ૫૧ આદેશ ઉતારે તો જીવન સફળ બની જાય.

સોનલમાંનો જન્મ અને ઈતિહાસ

જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું નાનકડું મઢડા ગામ.અહીં ૮ ડિસેમ્બર,૧૯૨૪ (સંવત ૧૯૮૦) અને પોષ મહિનાની સુદ બીજના દિવસે તુંબેલકુળના ચારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે પાંચમી દીકરીનો જન્મ થયો. તે દીકરીનું નામ હતું આઈ સોનબાઇમાં. હમીર મોડે સૂપડાંને બદલે થાળી વગડાવી અને જાણે દીકરો અવતર્યો હોય તેવી દીકરીના જન્મ થયાની ઉજવણી કરી હતી.

૧૬ વર્ષ પહેલા પિતા હમીર મોડને મળ્યા હતા આશીર્વાદ

૧૬ વર્ષ પહેલા ગીયડ સરકડીયા નેસના ચારણઆઈ સોનબાઈએ હમીર મોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું, “હમીર! તારે ઘરે પાંચમી દીકરી અવતરશે એ પ્રતાપી થશે. જગતમાં નામ કરશે. ચારણોનું કુળ તારશે. એનું નામ મારા નામ પર રાખજે!” હમીર મોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પડ્યું સોનબાઈ! બાળપણથી જ અલખ પ્રત્યે માતાજીનો આરાધ અદ્ભુત હતો.

આઇ સોનબાઈમાં આજીવન રહ્યા હતા કુંવારા

ચારણો એક બનો નેક બનો’ની હાકલ કરનાર, સમાજમાં અનેક સુધારા કરીને શિક્ષણ તરફ પ્રેરિત કરનાર આઈ સોનબાઈમાં આજીવન કુંવારા રહ્યા હતા. માની બ્રહ્મચર્ય સાથે પ્રભુભક્તિ પણ અલૌકિક હતી. ફક્ત હાથમાં માળા લઈને બેસી ન બેસી રહેતા અંધારમાં અથડાતા ચારણોનો તેમણે ઉદ્ધાર કર્યો હતો અને એ હેતુસર માતાજીનો પગ મઢડામાંથી નીકળ્યો એ પછી ક્યાંય જંપીને બેઠો નહી! સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દૈવીવાણીથી અંજાયા.

૫૧ વર્ષે સોનબાઈમાંએ કર્યો’તો દેહત્યાગ:

માત્ર ચારણો માટે નહી, સૌરાષ્ટ્ર-ગુજરાતની કાઠી, પરજિયા સોની, મહિયા,હાટી, રાજપૂત, મેર સહિતની અનેક કોમમાં રહેલા કુરિવાજો માતાજીના પ્રતાપે દૂર થયા. ૧૯૭૪ના ઉનાળામાં ચારણોએ જૂનાગઢમાં માતાજીનો વાનપ્રસ્થાશ્રમ પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો. ત્યારબાદ માતાજી ૬ મહિના જીવ્યાં અને ૧૯૭૪ના નવેમ્બર મહિનામાં કારતક સુદ-૧૩ ના દિવસે તેમણે દેહત્યાગ કર્યો. આ સમાચાર ગુજરાતભર માટે આઘાતજનક હતા.

સોનબાઈમાં પર લખાયેલી પ્રખ્યાત પંક્તિઓ

સોનલમાં આભ કપાળિ, ભજા તુને ભેળીયાવાળી

ખીજ જેની ખટકે નહીં, રૂદીયે મીઠી રીજ, મઢડાવાળી માતની આવી સોનલ બીજ

હમીર હૈયુ હેમાળો, એમાં  ગંગા રાણલ ગણાય,  પછી ભેળીયા વાળી ભણાય, એવી સમરથ ર્માં તુ સોનબાઈ

જગદંબાને જોરે કરી કોઈ પાળા ભરશે પાવ, તો આવશે હજારો ભાવ, સામા રથડા સોનલ આઈના

ચીલો વડ શકિત તણો, ચારણ ચૂકી જાત, એક જન્મી નહોત જગતમાં મઢડે સોનલ માત

વ્રત લીધુ વરૂળી તણુ, ધન ધન દેવા દાન, લેવા ના હેવા નહીં, માળી ધન્ય ધન્ય સોનલમાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.