Abtak Media Google News

સત્યમ,શિવમ,સુન્દરમને અનંત મૂલ્ય સમજવામાં આવે છે.સૌથી અધિક મૂલ્યવાન વસ્તુઓ એ છે,કે જે પોતાનું અસ્તિત્વ ધરાવતી હોય.જે આપણા આદર તેમજ નિષ્ઠાને પાત્ર હોય.આપણે માત્ર અને માત્ર ધર્મ અને નૈતિકતાના માધ્યમ વડે જ આ મૂલ્યો શોધીને પ્રાપ્ત કરીને આપણા જીવનને પૂર્ણ બનાવી શકીએ.

ભારતમાં અનેક ધર્મ અને સંપ્રદાયોના લોકો વસવાટ કરે છે.સંવિધાનની ધારા 19 અનુસાર પોતાના ધર્મને અનુસરવાની પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.ગાંધીજીના મત અનુસાર ’મારા માટે નૈતિકતા,સદાચાર અને ધર્મ પર્યાયવાસી શબ્દો છે.નૈતિકતાના આધારભૂત સિદ્ધાંત બધા જ ધર્મમાં સમાન છે.આ બાબત બાળકોને નિશ્ચિત પણે શીખવવી જોઈએ.અને તેમને પૂરતું ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ.’

અર્નેસ્ટ એવ મુજબ ’બાળકોને ધાર્મિક અને નૈતિક શિક્ષણ આપવું એટલા માટે જરૂરી છે,કારણ કે તે બાળકોમાં અનેક સારા ગુણ અને તેઓનું નિર્માણ કરે છે.જેવા કે જવાબદારીની ભાવના,સત્યની ખોજ,ઉત્તમ આદર્શની પ્રાપ્તિ,જીવન દર્શનનું નિર્માણ,આધ્યાત્મિક મૂલ્યોની અભિવ્યક્તિ વગેરે.’

વિશ્વ વિદ્યાલય શિક્ષણ આયોગના અહેવાલમાં દર્શાવેલા આ શબ્દો અક્ષરશ: સાચા છે:     જો આપણે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાંથી આધ્યાત્મિક તાલીમને બાકાત રાખીશું,તો આપણે આપણા સમગ્ર ઐતિહાસિક વિકાસની વિરુદ્ધ કામ કરીશું.

આ વાત પરથી એટલું ચોક્કસ ફલિત થાય છે,કે શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે.કારણ કે મનુષ્યના ભાગ્યનું નિર્માણ એનું ચારિત્ર્ય કરે છે. મનુષ્યના જીવનમાં પ્રગતિ અને પડતી, સફળતા અને નિષ્ફળતા માટે પોતાનું ચારિત્ર્ય જ જવાબદાર છે.આથી જ બાળકને સફળ વ્યક્તિ,ઉત્તમ નાગરિક અને સમાજનો ઉપયોગી સભ્ય બનાવવા ઈચ્છતા હોઈએ,તો તેના ચારિત્ર્યનું નિર્માણ કરવું અતિ આવશ્યક છે આ ત્યારે જ શક્ય બનશે,જ્યારે તેના માટે ધાર્મિક અને નૈતિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે.    પશ્ચિમના દેશોમાં ધાર્મિક અને નૈતિક શિક્ષણના અભાવને લીધે અનેક ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે.આથી ત્યાંના અનેક મહાન વિચારકોની આ ધારણા બની ગઈ છે,કે ધાર્મિક અને નૈતિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં યોગ્ય મૂલ્યોનો સમાવેશ કરવો અનિવાર્ય છે.ભારતીય સમાજમાં પણ પશ્ચિમ વિચારકોની ધારણા મુજબ અહીં પણ આ કાર્ય કરવું જરૂરી દેખાય છે.

કેટલાક વિચારકોનો મત એવો છે કે નૈતિકતા ગ્રહણ કરી શકાય,ભણાવી ન શકાય.નૈતિક શિક્ષણ યોગ્ય ભાવનાઓ અને સંવેગોના વિકાસ સાથે સંબંધિત છે.આમાં ભાવનાત્મક પક્ષ પર વધુ ભાર આપવામાં આવે છે,અર્થાત આમાં જ્ઞાનાત્મક પક્ષ પર ભાર આપવામાં આવતો નથી.

નૈતિક શિક્ષણ દ્વારા બાળકોને એ વિભિન્ન સ્થિતિમાં રાખવા જોઈએ,જેમાં એ પોતાની જ્ઞાનાત્મક ક્ષમતાના આધારે યોગ્ય નૈતિક નિર્ણય કરવા સમર્થ બની શકે.બીજા શબ્દોમાં કહેવું હોય તો બાળકો સમક્ષ વિભિન્ન પરિસ્થિતિ પ્રસ્તુત કરવી જોઈએ,જેમાં તે જાતે પોતાનો નૈતિક નિર્ણય કરી શકે,અર્થાત્ તે જાતે પોતાના મૂલ્યોનું નિર્માણ કરી શકે.

જીવનમાં નીતિમત્તા અને મૂલ્યોનું આગવું સ્થાન હોવું જોઈએ.જો માણસના જીવનમાં મૂલ્યો ખલાસ થઈ જશે,તો ભલે ને તે સૌથી ધનવાન હોય પણ એ ધન કોઈ જ કામનું નથી.અને જો જીવનમાં મૂલ્યો હશે અને તો તે માણસ ભલેને ગરીબ હોય છતાં પણ એ સુખી હશે,કારણ કે તેના જીવનમાં મૂલ્યોનું આગવું સ્થાન છે.

આજે માણસની બુદ્ધિએ તેને એટલો તો સક્ષમ બનાવી દીધો છે,કે તેણે ચંદ્રની ધરતી પર પગ મુકવા પરમાણુનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. દરિયાના ઊંડાણમાં જઈ વિવિધ શોધ કરી.ધીમી પડેલ હૃદયની ગતિને ફરી સક્રિય બનાવી.આ ઉપરાંત બીજા ઘણા બધા અદભૂત કાર્ય કર્યા.પરંતુ પૃથ્વી પર વિવિધ માન્યતા,શ્રદ્ધા અને વિચારો ધરાવતા સમૂહોના સહ અસ્તિત્વ માટે બુદ્ધિની સાથે સહાનુભૂતિ અને આત્મ ગૌરવની ભાવના હોવી જરૂરી છે,એ કામ ન કરી શક્યા. ડો.ડી.એસ. કોઠારીના કહેવા મુજબ આજે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રગતિ કરી રહ્યા છે,જ્યારે વિદ્વતા અને ડહાપણની અધોગતિ થઈ રહી છે.જ્ઞાન વધી રહ્યું છે,પરંતુ વ્યક્તિત્વનું પતન થઈ રહ્યું છે.ઘણાં ક્ષેત્રોમાં અસંતુલન ઊભા થઈ રહ્યા છે.આપણે વિવિધ આફતોનો સામનો કરી રહ્યા છીએ.આ પરિસ્થિતિએ જ આપણને નૈતિક અને ધાર્મિક શિક્ષણ વ્યવસ્થા પર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કર્યા છે.

જો આપણી શિક્ષણ વ્યવસ્થામાં નૈતિક શિક્ષણની અવગણના કરવામાં આવશે તો સંતુલિત વ્યક્તિત્વ અને સુઘટિત બુદ્ધિમત્તા ધરાવતા નાગરિકોનો વિકાસ અશક્ય છે.શિક્ષણ ક્ષેત્રે જોડાયેલ દરેક વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે મનુષ્ય ફક્ત દ્રવ્યોનું મિશ્રણ કે અચાનક અસ્તિત્વમાં આવેલ સજીવ નથી. પરંતુ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે.મનુષ્ય પાસે પોતાનો જીવન પથ પસંદ કરવાની અથાગ અને અમૂલ્ય શક્તિ છે.આ આઝાદી દ્વારા તે સદાચારી,પવિત્ર, ચારિત્ર્ય અને શિષ્ટાચારી વલણ અપનાવી પોતાની શ્રેષ્ઠતા પર કાયમ રહી શકે છે.અથવા તો અસામાજિક અને અભદ્ર પ્રવૃત્તિ અપનાવી પશુઓ અને જંગલી જાનવરો કરતાં પણ બદત્તર બની શકે છે. તેમની પાસે હૃદય છે,પરંતુ તેનાથી તેઓ વિચારતા નથી.તેમની પાસે આંખો છે,પરંતુ તેનાથી તેઓ જોતા નથી.તેમની પાસે કાન છે, પરંતુ તેનાથી તેઓ સાંભળતા નથી.ભારતમાં મોટા ભાગના લોકો ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે.જેમની પાસે નૈતિક મૂલ્યો આધારિત પારંપરિક શિક્ષણ મોજુદ છે.આથી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનો આધાર નૈતિકતા અને શિષ્ટાચાર હોવા જોઈએ.આપણે સૌ ભેગા મળીને જ આ મુશ્કેલ કાર્યને સફળ બનાવી અખંડ ભારતનું નિર્માણ કરીએ.

આજે મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે.સૌ કોઈ મા-બાપને સંતાન ઉછેરની ચિંતા સતાવી રહી છે,ત્યારે આજે પણ દેશમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપતા ગુરુકુળો છે.ભારત દેશ 1947માં આઝાદ થયો,ત્યારે રાજકોટમાં અક્ષર નિવાસી પરમ પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુળની સ્થાપના કરી.તત્કાલીન મુખ્યમંત્રી ઢેબરભાઈ પાસે જ્યારે સ્વામીએ જમીનની માગણી કરી,ત્યારે ઢેબરભાઈએ પૂછેલું કે, ’સ્વામી!તમારે જમીનને શું કરવી છે ? સાધુ થઈને જમીનને શું કરશો ?

સ્વામીએ જવાબ આપ્યો કે,’મારે કારખાનું કરવું છે.માણસ ઘડવાનું કારખાનું કરવું છે.ગુલામ ભારતને જેટલી જરૂર આઝાદીની છે,તેટલી જ જરૂર આઝાદ ભારતના નાગરિકોને સંસ્કારી,સદાચારી અને ધાર્મિક બનાવવાની જરૂર છે.મારે ગુરુકુળની સ્થાપ્ના કરવી છે.જેમાં મારે પ્રાચીન ઋષિકાળ સમયના ગુરુકુળો મુજબ શિક્ષણની સાથે સાથે વિદ્યા,સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ આપવું છે.બાળકોને સદાચારી અને સંસ્કારી બનાવવા છે.’ 1948માં સ્થાપવામાં આવેલ ગુરુકુળને આજે 75 વર્ષ થયા છે.

દેશમાં ઉજવાતા આઝાદીના અમૃત મહોત્સવની સાથે સાથે ગુરુકુળે પણ પોતાનો અમૃત મહોત્સવ ઉજવી લીધો.22-26,ડિસેમ્બર,2022 દરમિયાન  આ અમૃત મહોત્સવ દબદબાભેર ઉજવાઈ ગયો.

આજે ગુજરાતમાં,દેશના અન્ય રાજ્યોમાં અને વિદેશમાં સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાનની કુલ મળીને 51 જેટલી શાખા સંસ્થાઓમાં ગુરુવર્ય પ.પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામીની સીધી દેખરેખ હેઠળ 275 જેટલા નિર્માની, બ્રહ્મનિષ્ઠ અને ત્યાગી સંતોની નિશ્રા, નિષ્ઠા અને દેખરેખ હેઠળ 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ વિદ્યા,સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ મેળવી રહ્યા છે.આ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે નિવ્ર્યસની,આજ્ઞાંકિતતા અને સદાચારી જીવન જીવવાના મૂલ્યો શીખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.