- અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહકારી મહાસંમેલન-2025નો કરાવ્યો શુભારંભ
- સહકારી સંસ્થાઓને આગળ લાવવા તમામ મંડળીઓમાં જાગૃતતા લાવવી પડે : અમિત શાહ
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી મહાસંમેલન-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સહકારી મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા છે.
સહકારિતા સમગ્ર વિશ્વની અંદર પ્રાસંગિક
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહકારી મહાસંમેલનને સંબોધતા કહ્યું હતું કે, સહકારિતા સમગ્ર વિશ્વની અંદર પ્રાસંગિક છે. તેમજ સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય કરાયો છે. વડાપ્રધાન મોદીએ સહકારિતા આંદોલનને ફરી જીવંત કર્યું છે. સહકારી આંદોલનનો વિકાસ કરવાની સહકારી નેતાઓની જવાબદારી છે. સહકારી સંસ્થાને આગળ વધારવા પેક્સ મંડળીઓની જાગૃતિ જરૂરી છે. આ આખું અભિયાન ત્રણ સ્તંભો પર છે. હજુ સહકારી ક્ષેત્રે 60 ટકા જ કામ થયું છે. સહકારથી સમૃદ્ધિનું સુત્ર દેશ સામે રાખ્યું છે.
તદુપરાંત, સહકારી સંસ્થાઓના વિકાસ, પ્રગતિ, સંચાલન અને વહીવટમાં સહકાર મંત્રાલયની વિવિધ પહેલ કેવી રીતે ઉપયોગી થશે તે અંગે તજ્જ્ઞો દ્વારા ઉપસ્થિત સહકારી આગેવાનોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. આ સહકારી મહાસંમેલનમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સહકારી સંસ્થાઓના આશરે 4500 જેટલા સહકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં વિવિધ 8 લાખથી વધુ સહકારી સંસ્થાઓ સાથે 30 કરોડ જેટલા સભાસદો જોડાયેલા છે. આ જ પ્રકારે, ગુજરાતમાં પણ 89 હજારથી વધુ સહકારી સંસ્થાઓ સાથે 1.70 કરોડ જેટલા સભાસદો સંકળાઈને આર્થિક લાભ મેળવે છે. સમગ્ર દેશમાં સહકારી પ્રવૃત્તિએ 96 ટકા ગામડાઓને આવરી લીધાં છે. એટલે કે, સહકારી માળખું આખા દેશમાં શહેરોથી લઈને નાનાં ગામડાઓ સુધી પ્રસરેલું છે. દરેક ગામમાં ખેડૂત સહકારી મંડળીઓ તથા અન્ય મંડળીઓની કામગીરી ચાલી રહી છે તેમ અમીને ઉમેર્યું હતું.
સહકારી ક્ષેત્રની ડિપોઝિટમાં 11 હજાર કરોડનો વધારો થયો
અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રની ડિપોઝિટમાં 11 હજાર કરોડનો વધારો થયો છે. આ ઉપરાંત મંડળીઓમાં પારદર્શિતા લાવવી પણ જરૂરી છે. પ્રાથમિક મંડળીઓની સ્થિતિ સુધરે તે જરૂરી છે. તેમજ ડેરીઓમાં સરકારે ચક્રિય વ્યવસ્થા ચાલુ કરી છે. ડેરીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં છે. ગોબર અને છાણની ઈકોનોમી સહકાર સેક્ટરમાં લાવવાની છે. આ ઉપરાંત પશુઓને સહકારી માળખા સાથે જોડવાના છે. પશુઓના સ્વાસ્થ્યની ચિંતા પણ કરવાની છે. તેમજ વધુમાં વધુ નાગરિકોને સહકારી ક્ષેત્રોમાં જોડવા પડશે. સહકારી આંદોલનનો વિકાસ થાય તે જરૂરી છે. આ ઉપરાંત ડેરી માટેના સાધનો સહકારી સંસ્થાઓ બનાવશે.
અમૂલનું વાર્ષિક ટન ઓવર 80 હજાર કરોડને પાર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં 1.70 કરોડ જેટલા સભાસદો છે. તેમજ અમૂલનું વાર્ષિક ટન ઓવર 80 હજાર કરોડને પાર પહોંચ્યું છે. તેમજ આગામી 5 વર્ષમાં 5 લાખ નવી સંસ્થા સ્થાપનાનો લક્ષ્યાંક છે.