Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી અસર પામેલા ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોના બાગાયતી પાકો-ખેતીને થયેલા વ્યાપક નુકશાનની જાત માહિતી આ વિસ્તારોની વિસ્તૃત મુલાકાત લઇને મેળવી છે.

મુખ્યમંત્રીની આ મુલાકાતો દરમ્યાન ધરતીપુત્રોએ પોતાના પુખ્ત વયના લાંબાગાળાના ફળાઉ આંબા, નાળિયેરી જેવા બાગાયતી પાક આપતાં વૃક્ષો આ તીવ્ર વાવાઝોડામાં પડી જઇ નાશ પામ્યાની વેદના અને વિતક વર્ણવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ખેડૂતો ધરતીપુત્રોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવી રાજ્યમાં આવા બાગાયતી પાકોના વૃક્ષોને તે જ સ્થળે પૂન: સ્થાપિત કરવાનો એક નવતર અભિગમ અપનાવવા રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને પ્રેરિત કર્યો છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણીએ આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરીને ફરી પૂન: સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ પ્રેરક દિશાસૂચન અનુસાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના 193 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોને તાઉતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અને જ્યાં બાગાયતી પાકોને સૌથી વધુ વ્યાપક નુકશાન થયું છે તે જિલ્લામાં તાત્કાલિક મોકલવાની વ્યવસ્થા ગોઠવી છે.

આ વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના સર્વે સાથે નાળિયેરી આંબા, કેળ, દાડમ અને લીંબુના ઝાડ-છોડના પૂન: વાવેતર-રિસ્ટોરેશન માટે આ કૃષિ વૈજ્ઞાનિકો તાંત્રિક માર્ગદર્શન ધરતીપુત્રોને આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં આ નવતર પ્રયોગની સફળતા આવનારા દિવસોમાં દેશમાં બાગાયતી પાકોના વૃક્ષો-ઝાડના વૈજ્ઞાનિક ઢબે પૂન: સ્થાપન માટે પ્રેરણારૂપ બનશે.

કોર કમિટીની આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતીમાં ખેતી-બાગાયતી પાકોના નુકશાનીના અંદાજો મેળવવાની પ્રક્રિયા સંદર્ભે પણ વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ પંકજકુમાર, એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવી તેમજ વરિષ્ઠ સચિવો પણ સહભાગી થયા હતા.

કયા જિલ્લામાં કેટલા વૈજ્ઞાનિકો આવશે?

અમરેલી જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 48, ભાવનગર જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સિટીના 43, ગીર-સોમનાથમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 78 તેમજ સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના ર4 એમ કુલ 193 કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં તત્કાલ પહોચી જશે.

પાંચ જિલ્લાના રર63 ગામોમાં સર્વે માટે 696 કૃષિ કર્મયોગીઓની 339 ટીમ કાર્યરત

તાઉતે વાવાઝોડાથી અતિ પ્રભાવિત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ એમ પાંચ જિલ્લાના 41 તાલુકાઓના રર63 ગામોમાં ખેતી-બાગાયતી પાકોની નુકશાનીના પ્રારંભિક સર્વે માટે 696 કૃષિ કર્મયોગીઓની 339 ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. જે હાલ સર્વેની કામગીરી કરી થઈ છે. આ સર્વે પુરજોશમાં ચાલી રહ્યો છે. વધુમાં કામગીરીને વેગ મળે એટલે અન્ય જિલ્લાઓમાંથી પણ અધિકારીઓ અને કર્મચારીઓને આ કામગીરીમાં ફરજ સોપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.