Abtak Media Google News

મોરબી રોડ પર આવેલા કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવમાં ડો.નિલેશ નિમાવત અને સરકારી વકીલ રક્ષિત કલોલાની સંડોવણી અંગેના પુરાવા પોલીસને મળી આવ્યા છે. પોલીસે આત્મહત્યાની ફરજ પાડવાના કેસમાં પુરાવાનો નાશ કરવો, ગુનાહીત કાવતરૂ અને ખોટા દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરવા અંગેની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.મહંત જયરામદાસબાપુએ ગત તા.31મી મેના રોજ ઝેરી દવા પી લેતા તેમના આપઘાતના બનાવને છુપાવી કુદરતી મોત એટલે કે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનું ખોટુ સર્ટિફિકેટ આપવા સબબ દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવતની સંડોવણી અંગેના પુરાવા મળી આવ્યા છે. જ્યારે સરકારી વકીલ રક્ષિત કલોલા આપઘાત પૂર્વે ખોડીયારધામ આશ્રમ ખાતે વિક્રમ ભરવાડની સાથે ગયો હતો.

આત્મહત્યાના બનાવને કુદરતી મોત ખપાવવા અને પુરાવાનો નાશ કરવા સહિતના પુરાવા મળી આવ્યા

અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના બોલેરો, હિટાચી અને કાર કબ્જે કરાયા

સીસીટીવી ફુટેજ, મોબાઇલ કોલ ડીટેઇલ અને એફએસએલની આગળ ધપાવતી તપાસ

રક્ષિત કલોલાની હાજરીમાં જ વિક્રમ ભરવાડે મહંત જયરામદાસબાપુને લાકડીથી માર માર્યો હોવાના પુરાવા મળ્યા છે. મહંત જયરામદાસબાપુએ લખેલી સ્યુસાઇડ નોટ મૃત્યુ બાદ રક્ષિત કલોલાએ પોતાના કબ્જામાં રાખી હતી. જયરામદાસબાપુના મોત બાદ મૃતદેહને નીચે ઉતરાવવાની સુચના આપી રૂમની સાફ સફાઇ કરાવી હતી. સ્યુસાઇડનોટ ફોટો સાધુ રઘુવિરદાસને રક્ષિત કલોલાએ મોકલ્યો હતો. મહંત જયરામદાસબાપુના મોબાઇલમાંથી સલ્ફોર્સ નામના ઝેરી ટિકડાનો ફોટો પણ મળી આવ્યો છે.ગત તા.1 જુનના રોજ જયરામદાસબાપુએ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે ખોડીયારધામ આશ્રમથી એમ્બ્યુલશ દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલી દેવ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

ડો.નિલેશ નિમાવત દ્વારા મહંત જયરામદાસબાપુના મરણનો દાખલો આપવાની સુચના આપી હોવાથી અન્ય એક તબીબ દ્વારા આપઘાતના બનાવને છુપાવી હાર્ટ એટેકથી મોત થયાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાના પોલીસને પુરાવા મળી આવ્યાનું પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી ટંડન અને પી.આઇ. એન.એન.ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે.

પોલીસે અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના બોલેરો, હિટાચી અને કાર સ્વીફટકાર કબ્જે કર્યા છે. બંને શખ્સોની મિલકત અંગેની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.

મહંતને 1008ની પદવી કંઇ રીતે મળી?

ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુને બ્લેક મેઇલીંગ કરવામાં આવતા કંટાળીને કરેલા ઝેરી દવા પી આપઘાતની સાથે અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે મૃતક મહંત જયરામદાસબાપુને 1008ની પદવી કંઇ રીતે મળી તે અંગે તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. આશ્રમમાં કંઇ રીતે મિલકત આવતી અને તેનો ઉપયોગ શું થતો તે અંગે પણ તપાસ થવી જરૂરી બન્યું છે.

ખોડીયારધામ આશ્રમની આજુ બાજુની જમીન તપાસ થવી જરૂરી

રેવન્યુ તંત્ર તપાસમાં ઝંપલાવે તો ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવેશે

રાજકોટની ભાગોળે આવેલા કાગદડી ખાતે ડેવર્લોપ થતા જમીનના ભાવ ઉચકાયા છે. બીજી તરફ જમીનની નવી જુની શરતોના કારણે કેટલીક જમીન છુટી કરવા માટે જમીનના ધંધાર્થીઓનો કાગદડી પર ડોળો હતો. કેટલીક જમીનના સ્થળ બદલી જવા પાછળ પણ કેટલાક મોટા માથાની સંડોવણી બહાર આવે તેમ હોવાથી પોલીસની સાથે રેવન્યુ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

મહંતના આપઘાત અંગે અખિલ ભારતીય સંત સમિતિએ કરી રજૂઆત

Img 20210614 Wa0027

મોરબી રોડ પર આવેલા કાગદડીના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ ગત તા.31મીએ ઝેરી દવા પી કરેલા આપઘાત અંગે અખીલ ભારતીય સંત સમિતિ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરી ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માગ કરી છે. મિલકત પચાવી પાડવા થયેલા કાવતરૂ હોવાથી ગુનામાં સંડોવાયેલા સામે કાવતરાની કલમ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.