Abtak Media Google News

સુપ્રિમ કોર્ટના હુકમનું ઉલ્લઘંન કરી જમીન પર ધરાર કબ્જો જમાવેલા કોળી જુથ્થે પોલીસની હાજરીમાં ગરાસિયા પ્રૌઢની હત્યા કરી’તી ક્રાઇમ બ્રાન્ચના નવનિયુકત પી.આઇ. વી.કે.ગઢવીની ટીમે વહેલી સવારે ઠેબચડાથી ત્રણ સગા ભાઇઓને દબોચી લીધા

શહેરની ભાગોળે આવેલા ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની જમીન પ્રકરણના કારણે છ માસ પહેલાં કોળી જુથ્થે પોલીસની નજર સામે કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ હત્યાના ગુનામાં ૧૬ શખ્સોની ધરપકડ કરતા પાંચ શખ્સો ફરાર થઇ ગયા હતા. લાંબા સમયથી નાસતા ફરતા હત્યાના ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે. ઠેબચડાની જમીન અંગે સુપ્રિમ કોર્ટના મહત્વના હુકમનું ઉલ્લઘન કરી ધરાર કબ્જો મેળવવાના હીન પ્રયાસના કારણે ગરાસીયા પ્રૌઢની હત્યા કર્યા બાદ કોળી જુથ્થ ગરાસિયા પરિવારને વિના કારણે હેરાન કરવા પોલીસમાં ખોટી અરજી કરી પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે. તે દરમિયાન ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લેતા કોળી શખ્સો ફરી બેકફુટ પર આવી ગયું છે.

Img 20200725 105037

ઠેબચડાની ખેતીની જમીનના મુળ ખાતેદાર લખધિરસિંહ જાડેજા ગત તા.૨૯ જાન્યુઆરીએ પોતાના પરિવાર સાથે પોતાની જમીન પર પોલીસને સાથે રાખીને ગયા હતા તે દરમિયાન અગાઉથી જ કાવતરૂ  રચીને ખેતરમાં ઘાતક હથિયાર સાથે છુપાયેલા કોળી જુથ્થે હુમલો કરી પોલીસ અને પરિવારજનોની નજર સામે કરપીણ હત્યા કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે હત્યાના ગુનામાં મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લખમણ લાલજી રાઠોડ, લાભુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લખમણ રાઠોડ, કાંતાબેન રમેશ રઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાતા જેરામ, ખીમજી નાથા, ભૂપત નાથા, રોનક નાથા, પોપટ વશરામ, કેશુબેન વશરામ, ચના વશરામ, શામજી બચુ અને અક્ષિત છાયા નામના શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

હત્યાના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા પોપટ વશરામ વાઢેર, કેશુ વશરામ વાઢેર, ચના વશરામ વાઢેર અને શામજી બચુ રાઠોડ પૈકીના શામજી બચુ રાઠોડ ગત તા.૧૫ જુને પોતાના ઘરે આવ્યો ત્યારે તેને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું. વોન્ટેડ ચારેય શખ્સો પૈકીના ત્રણ પોપટ વશરામ વાઢેર, કેશુ વશરામ વાઢેર અને ચના વશરામ વાઢેર ઠેબચડા વાડીએ આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે ધરપકડ કરી કોરોના રિપોર્ટ કરાવવા હોસ્પિટલ મોકલ્યા છે.

ઝડપાયેલા ત્રણેય શખ્સોની પુછપરછ દરમિયાન તેઓ ઠેબચડા મોડી રાતે આવતા હોવાની અને વહેલી સવારે ઠેબચડાથી જતા રહેતા હોવાની કબુલાત આપી છે. મોડીરાતે ત્રણેય શખ્સો ઠેબચડા આવીને વાડીમાં છુપાયાની બાતમીના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. વી.કે.ગઢવીની ટીમે દરોડો પાડી ત્રણેયને દબોચી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.