Abtak Media Google News

મુંબઇના ભાવિકોની લાંબી પ્રતિક્ષાનો અંત

પૂ.પવિત્રમુનિ મ.સા. અજોડ સાધના લઘુસિંહનિષ્ક્રીડિત તપની પૂર્ણાહુતિએ તપોત્સવનું આયોજન

અબતક ,રાજકોટ

મહાનગર મુંબઈના હજારો ભાવિકો છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી જેમના મંગલ આગમનની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં હતાં એવા કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનું ઘાટકોપર સ્થિત પારસધામના પ્રાંગણે આગમન થતાં સર્વત્ર અનેરા ભક્તિભાવની લહેર પ્રસરી ગઈ હતી.ગત 2017ના વર્ષ માં મુંબઈથી વિહાર કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, પૂર્વ ભારતના કોલકાત્તા, ગિરનાર તેમજ મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામમાં ઐતિહાસિક અને યાદગાર ચાતુર્માસ સાથે કોરોના કાળની વિષમ પરિસ્થિતિમાં પણ વિશ્વવ્યાપી અદભુત શાસન પ્રભાવના કરતાં કરતાં અનેક આત્માઓને સંસારથી ઉગારી દીક્ષાના કલ્યાણ દાન આપીને ફરીની મુંબઈની ભૂમિમાં પધારેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ સંત – સતીજીઓનું ભવ્ય શોભાયાત્રા દ્વારા ભક્તિભીનું આગમન કરવામાં આવ્યું હતું.

શુકનવંતા મંગળ કળશ, લહેરાતા ધર્મ ધ્વજ અને અનેક ભાવિકોથી શોભતી આ શોભાયાત્રા પારસધામના આંગણે પહોંચતાં જ લુક એન લર્નના બાળકો, અર્હંમ યુવા સેવા ગ્રુપના યુવાનો તેમજ પારસધામ સંકુલના ભાવિકોએ પરમ ગુરુદેવના આગમનને હર્ષ-આનંદથી વધાવી લીધું હતું.વિશેષમાં, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી વર્ષ 2016માં દીક્ષા અંગીકાર કરનારા તપકેસરી પૂજ્ય પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબ, માત્ર 28 વર્ષની યુવાન વયમાં, માત્ર છ વર્ષના દીક્ષા પર્યાયમાં, ગોંડલ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં કોઈએ ન કરી હોય એવી અજોડ તપ સાધના  લઘુસિંહનિષ્ક્રીડિત મહાતપ સાધનામાં જોડાઈને પોતાના સંયમ જીવનને ધન્ય બનાવી રહ્યાં છે ત્યારે ગત સંવત્સરીથી પ્રારંભ થએલી એમની 187 દિવસની તપ આરાધનામાં માત્ર 33 દિવસના પારણા અને 154 ઉપવાસની અતિ ઘોર સાધના દેવ ગુરુની કૃપાએ પૂર્ણ બની રહી છે એના અનુસંધાને એમના તપોત્સવનું ભવ્ય આયોજન કાંદિવલીના આંગણે તારીખ 10 થી 13 માર્ચ 2022 તેમજ ઘાટકોપરના આંગણે 14 થી 16 માર્ચ 2022ના રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 100 થી વધુ સંત-સતીજીઓના સાંનિધ્યે કરવામાં આવ્યું છે .

તપ ધર્મ અને તપશ્ચર્યાની અનુમોદના કરવા આ અવસરે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી આદિ સંતો અને મહાસતીજીઓ, કચ્છ આઠકોટી મોટી પક્ષ સંપ્રદાયના આચાર્ય પૂજ્ય ભાઈચંદ્રજી સ્વામી આદિ સંતો તેમજ મહાસતીજીઓ, ગોંડલ સંપ્રદાયના ડો. પૂજ્ય તરુલતાબાઈ મ. આદિ, બોટાદ સંપ્રદાયના પૂજ્ય વંદનાબાઈ મહાસતીજી આદિ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્ય મીનાબાઈ મહાસતીજી આદિ, લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય શિલપ્રભાબાઈ મહાસતીજી આદિ તેમજ મુંબઈમાં વિચરતાં વિવિધ સંપ્રદાયના પૂજનીય સંતો અને મહાસતીજીવૃંદના વિશેષ આગમન સાથે દેશ-વિદેશના હજારો ભાવિકો ઉપસ્થિત રહીને ધન્ય બનશે.આજના પંચમકાળમાં આવી ઉગ્ર તપશ્ચર્યા કરનારા મહાતપસ્વી આત્માની અનુમોદના કરવા તેમજ એક સાથે અનેક સંયમી આત્માઓના દર્શન વંદનનો લાભ પામવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.