Abtak Media Google News

84 હોસ્પિટલોને નોટીસ ફટકારતા પરમિશન માટે પડાપડી

સુરેન્દ્રનગર શહેરમાં બી.યુ. પરમીશન વગર ધમધમતી હોસ્પીટલો ઉપર નગરપાલીકા તંત્રએ તવાઈ ઉતારીને 84 હોસ્પીટલોને નોટીસ ફટકારતા ખળભળાટ થઈ ગયો હતો. તે પૈકી 70 હોસ્પીટલોના સંચાલકોએ પ્લાન સાથે બી.યુ. પરમીશન માટે અરજી કરી છે. ચોંકાવનારી વિગત એવી છે કે, આ 70 પૈકી 26 હોસ્પીટલોએ તેમના ગેરકાયદે બાંધકામો ઈમ્પેકટ ફી ભરીને કાયદેસર કરાવેલ છે. જયારે 37 હોસ્પીટલોના બાંધકામ ગેરકાયદે હોવાથી તેમને બી.યુ. પરમીશન મળવાની શકયતા ઓછી હોવાનું જાણવા મળે છે.

આ અંગે જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, સુરેન્દ્નગરમાં મોટાભાગની બિલ્ડીંગો બી.યુ.પરમીશન વગર ધમધમે છે. તે પૈકી મોટાભાગની બિલ્ડીંગોનું બાંધકામ ગેરકાયદે હોવાનું માનવામાં આવે છે. બી.યુ.પરમીશન વગરના બાંધકામો સામે પગલા લેવાનો મુદો સંકલન સમિતીની બેઠકમાં ઉછળતા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલીકા તંત્ર દ્વારા બી.યુ. પરમીશન વગર ધમધમતી શહેરની 84 જેટલી ખાનગી હોસ્પીટલોને નોટીસો ફટકારવામાં આવી હતી.

આ પૈકી 70 જેટલી હોસ્પીટલો દ્વારા બી.યુ. પરમીશન માટે પ્લાન રજુ કરવામાં આવતા નવી ચોંકાવનારી વિગતો જાણવા મળેલ છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નગરપાલીકામાં જે સિતેર જેટલી હોસ્પીટલોના બાંધકામના પ્લાન મંજુર થયેલ છે તે પૈકી 26 હોસ્પીટલના સંચાલકોએ ભૂતકાળમાં ઈમ્પેકટ ફી ની યોજનાનો લાભ લઈને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરાવેલ છે. જયારે અન્ય 37 જેટલી હોસ્પીટલોના બાંધકામો પણ ગેરકાયદે હોવાથી તેમને બી.યુ. પરમીશન મળવાની શકયતા ઓછી છે. ફકત 4 હોસ્પીટલો પાસે હાલમાં બી.યુ. પરમીશન હોવાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગરમાં હાલ હોસ્પીટલો અને શાળાઓના બિલ્ડીંગો ઉપર ફાયર સેફટી અને બી.યુ. પરમીશન માટે તવાઈ ઉતારવામાં આવેલ છે ત્યારે શહેરના કેટલા કોમર્શીયલ કોમ્પ્લેક્ષો માટે બી.યુ. પરમીશન લેવાઈ છે.? તેવો સવાલ પણ ઉઠી રહયો છે. કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના બાંધકામ મંજુર થયેલ પ્લાન મુજબ થયા ન હોવાની ફરીયાદો ઉઠે છે. અનેક કોમ્પ્લેક્ષોમાં યુરીનલ કે પાર્કિંગની સુવીધા જોવા મળતી નથી. નગરપાલીકા દ્વારા આ અંગે પણ ચેકીંગ થાય અને કાર્યવાહી કરાય તેવી લાગણી અને માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.