Abtak Media Google News

મકરસંક્રાંતીનો મોંઘેરો મહિમા

અથર્વવેદે ‘ભગ્ એવં ભગવાન અસ્તુ દેવ’ દ્વારા જ ભગવાન અને જગત ઉત્પન્ન કર્તા ભગવાન ભાસ્કરને જ બતાવાયા છે. ગાયત્રી મંત્રમાં પણ અંધકારમાંથી પ્રકાશના પંથે લઈ જવા પ્રભાકર પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે. આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક, ભગવાન ભુવન ભાસ્કર એક રાશીમાંથી બીજી રાશીમાં સંક્રમણ કરે એનું નામ સંક્રાંતિ. સૂર્ય લગભગ તારીખ ૧૪/૧૫ કે ૧૬નાં એક રાશીમાંથી બીજી રાશીમાં એટલે કે ક્રમશ બાર રાશીઓ પૈકી દરેક રાશીમાં એક-એક માસ ભ્રમણ કરતો હોઈ, વરસમાં બાર સંક્રાંતિ આવે. આમા મકરસંક્રાંતિનું વિશેષ મહિમા અને મહત્વ છે. આને સંકુચન અને પ્રસારણ ક્રિયા પણ કહી શકાય. સંકુચન ક્રિયા અમૃતમય છે. જયારે પ્રસારણ ક્રિયા વિષમય આને સરળતાથી સમજી એ તો પ્રાણી માત્ર સંકુચન-પ્રસારણ પામતા-પામતા એટલે કે બાલ્યાવસ્થાથી આગળ વધતા વધતા અંતે વૃદ્ધાવસ્થાને વહી મૃત્યુને ભેટે છે. આ સંકુચન-વિસ્તરણ-પ્રસારણ કાળને સામાન્યત બે ભાગમાં વહેંચી શકાય. (૧) શિતકાલ અને (૨) ઉષ્ણકાલ સૂર્ય જયારે સંકુચન એટલે કે શીતકાલનું અવલંબન લે ત્યારે પૃથ્વી ઉતરીય ગોલ તરફ ઝુકે છે. આ ઉતરીય ગોલને આપણા આર્ષદ્રષ્ટાઓએ ઉતરાયન નામ આપ્યું. જયારે અને પૃથ્વી દક્ષિણ તરફ ઝુકે ત્યારે દક્ષિણાયજ્ઞ મકરથી મિથુન રાશી સુધીના સુર્યભ્રમણ અયન-ગમનને ઉતરાયણ કહેવાય. જયારે કર્ક થી ધન સુધીનાં ગમનને દક્ષિલાયન જયારે જે માસમાં સુર્ય સંક્રાતિ ન થાય એને મલમાસ એટલે કે અધિકમાસ કહેવાય દર અઢી વર્ષે આવું બંને.

મકરસંક્રાંતિના મંગલમય દિને સુર્ય નારાયણ ઉતરીય ગોલ એટલે કે અમૃતમય માર્ગે આગળ વધી મકર રાશિમાં મંગલ પ્રવેશ કરે છે અને એ સાથે દેવતાઓ અને પિતૃઓના પુનિત પ્રભાતનો પ્રારંભ થાય છે.આજ કારણે મહાભારતના યુદ્ધ દરમ્યાન મૃત્યુ-શૈયા પર પોઢેલા ભીષ્મપિતામહે પોતાના મૃત્યુને ઉતરાયણ સુધી આવતો અટકાવ્યો હતો. કારણકે દક્ષિણાયનને આપણા શાસ્ત્રકારોએ અસરની ઉપમા આપી છે. દક્ષિણાયન એ શનિ અને યમનું કાર્ય ક્ષેત્ર છે. જેથી ત્યાં સર્વત્ર અંધકાર છે, વળી ત્યાં અંધતામિસ નામક નકર આવેલું છે. એવું કહેવાય છે અને એટલે જ એટલે કે પ્રકાશ તરફ ગતિ કરવા ઉતરાયણ સુધી ભીષ્મપિતામહે પોતાના મૃત્યુને રોકી રાખ્યું હતું. ગીતામાં પણ કહ્યું છે કે જે બ્રહ્મવેતા યોગી ઉતરાયણના છ માસ દિવસના પ્રકાશમાં શુકલ પક્ષમાં પોતાના પ્રાણ છોડે છે તે બ્રહ્મને પામે છે. મકરસંક્રાંતિની મહતાનો આછેરો અણસાર. તા.ક.તા.૧૪/૧ના સાંજના ક.૭ મિ.૪૯ના સુર્ય મકરરાશિમાં પ્રવેશે છે. મકરસંક્રાંતિનો પુણ્યકાળ તા.૧૫/૧ને મંગળવારે સવારે ક.૭ મિ.૨૯ થી સાંજના ૬-૨૪ સુધી છે તે દિવસે અમૃત સિદ્ધિ યોગ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.