Abtak Media Google News
હિતેશ રાવલ, સાબરકાંઠા:

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવાઈ છે. જેને લઈ ભાજપે બેઠક, રેલી તેમજ સંવાદનો દોર શરૂ કરી દીધો છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગઇકાલે સાબરકાંઠાના હિંમતનગરમાં પેઈઝ પ્રમુખ કાર્ડ વિતરણ તેમજ પેઈજ સમિતિ સંવાદ અંતર્ગત વિશેષ રેલી તેમજ સંવાદ યોજયો હતો. હિંમતનગરના મોતીપુરા ખાતેથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.

ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ તેઓએ સભા સંબોધી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપનો દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી હતી અને ભૂલમાં પણ પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભૂલના કરે એવો દાવો કર્યો છે તો મુદ્રા પોર્ટ ટ્રેડ એવાઇસરી દ્વારા ૧૫ નવેમ્બર થી ત્રણ દેશમાં કાર્ગો હેન્ડિંગ નહીં કરવામાં આવે તે નિર્ણય બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે : હિંમતનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખનું મહત્વનું નિવેદન

2022 ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ આપતાં પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.

સુરતમાંથી હાલના તબક્કે ભિક્ષુકો દૂર કર્યા છે જે આગામી સમયમાં આખા ગુજરાતમાંથી ભિક્ષુકો હટાવો ઝુંબેશ શરૂ કરાશે તેમજ શહેરમાં રખડતી ગાયોને દૂર કરવા માટે પણ વિશેષ પ્રદાન હાથ ધરવું જરૂરી છે. તેમણે આગામી સમયમાં 2022ની વિધાનસભા ચૂંટણી અંગે વિજય વિશ્વાસ વ્યકત કરતાં કહ્યું કે વિધાનસભામાં જીત મળશે તે નક્કી છે. આ તબક્કે તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે વિવિધ પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે પરંતુ અમારુ લક્ષ છેવાડાના વ્યકતિને મદદરૂપ થવાનું છે જે અમે કોઈ પણ ભોગે નિભાવીશું.

આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ઈશારો કર્યો હતો કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા સહકારી નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે અને પછી ધરાસભ્યને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.