Abtak Media Google News

નિરીક્ષકોએ સેન્સ દરમિયાન આવેલા નામોનાં અહેવાલ પ્રદેશ હાઈકમાન્ડને સોંપ્યો

ભાજપ દ્વારા ચાલુ સપ્તાહે રાજયનાં તમામ જિલ્લા તથા મહાનગરોનાં પ્રમુખોનાં નામની જાહેરાત કરી દેવામાં આવશે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા દરમિયાન પોતાની સમક્ષ આવેલા નામોનો અહેવાલ પ્રદેશ સમક્ષ રજુ કરી દીધો છે.

ભાજપનાં પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના પ્રભાવી નેતૃત્વમાં, ભાજપના દેવદુલર્ભ કાર્યકર્તાઓના પરીશ્રમ, તપશ્ચર્યા અને લોકોના વિશ્વાસ, જનસમર્થન અને જનમતથી ભાજપ વિશ્વની એક નંબરની રાજકીય પાર્ટી બની છે. તેનું ભાજપના દરેક કાર્યકર્તાને ગૌરવ છે. આજે દેશમાં લગભગ ૧૮ કરોડ ભાજપનાં સભ્યો છે. ગુજરાતમાં ભાજપના ૨૦ લાખના સભ્યોના લક્ષ્યાંક સામે આજે લગભગ ૫૦ લાખ સભ્યો બન્યાં છે. સંગઠન સદસ્યતા અભિયાન અને સંગઠનની સંરચના સમયપત્રક મુજબ ચાલી રહી છે. બુથ સમિતિની રચના તા.૧૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી અને મંડલ સમિતિની રચના તા.૦૧ થી ૧૫ નવેમ્બર સુધી જયારે તા.૩૦ નવેમ્બર ૨૦૧૯ જીલ્લા પ્રમુખની નિમણૂંક થઈ જાય તે મુજબ સંગઠનની સંરચનાની કામગીરી ચાલું છે. કુલ ૫૮૦ મંડલ માંથી ૮૦ % થી ૯૦ % મંડલની સંરચના પૂર્ણ થઈ ગઈ છે.

ભાજપના સંવિધાન મુજબ ભાજપના જે જીલ્લામાં ૬૦% થી વધુ મંડલ પ્રમુખની નિમણૂંક થઈ ગઈ હોય તે જીલ્લાના પ્રમુખ સંરચના પ્રદેશ તરફથી કરી શકાતી હોય છે અને ૬૦% જીલ્લા પ્રમુખોની રચના થઈ જાય ત્યાર પછી પ્રદેશ પ્રમુખની રચના કેન્દ્ર દ્વારા કરી શકાતી હોય છે. દેશમાં એકમાત્ર ભાજપ પક્ષમાં સંવિધાન મુજબ સંરચના કરવામાં આવતી હોય છે, જયારે અન્ય પાર્ટીમાં વંશ-પરંપરાગત નિમણૂંક આપવામાં આવતી હોય છે. ભાજપ દેશભક્તિ અને જનસેવાનાં વિચારધારાથી ચાલતી પાર્ટી છે અને સંગઠન પ્રક્રિયા લોકશાહી અને ભાજપનાં સંવિધાન મુજબ કરવામાં આવે છે. સંગઠનમાં સંરચના કરતાં પહેલાં મુખ્ય કાર્યકર્તાઓ સાથે સંપર્ક-સંવાદ-સમન્વયની પ્રક્રિયા ભાજપમાં કરવામાં આવે છે. પ્રદેશ કાર્યાલય કમલમખાતે રાષ્ટ્રીય સહ મહામંત્રી વી.સતીષજી,  વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય, ઉત્તર, ચારેય ઝોનની બનાવેલ ત્રણ ત્રણ સદસ્યોની સમિતિ સાથે બેઠક કરવામાં આવી.

7537D2F3 1

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે આ અગાઉ ૧૯ થી ૨૨ નવેમ્બર દરમ્યાન ગુજરાતના ચારેય ઝોનમાં જીલ્લા પ્રમુખની રચના માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા ત્રણ-ત્રણ સદસ્યોની ટીમ બનાવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, રાજય સરકારમંત્રી ગણપતિભાઈ વસાવા અને મંત્રી કૌશિકભાઈ પટેલ,  મધ્ય ગુજરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જશવંતસિંહ ભાભોર, ઉત્તર ગુજરાતમાં મંત્રી આર.સી.ફળદુ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, સૌરાષ્ટ્રમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા અને પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહીને ચારેય ઝોનમાં તા.૧૯ થી ૨૨ નવેમ્બર દરમ્યાન  પ્રવાસ કરીને જીલ્લાની સંકલન સમિતી અને જીલ્લાના મુખ્ય આગેવાનોને મળીને તેઓ જીલ્લા પ્રમુખના નામોની ચર્ચા વિચારણા કરીને ત્યારબાદ આ સમિતિએ પોતાનો અહેવાલ કમલમખાતેની બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપને આપ્યો હતો. ચાલુ સપ્તાહે ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખની વરણી કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.