Abtak Media Google News

મ્યાનમાર, રોહિંગ્યા પ્રકરણ અને વિકાસમાં પૂર્વોત્તર પ્રાંતને મહત્વ આપવાના વડાપ્રધાનના અભિગમથી સમગ્ર પૂર્વોત્તર રાજ્યો હવે કેસરીયાના મૂડમાં

રાષ્ટ્રના રાજકીય મંચ પર અવિરતપણે દિગ્વિજય બનીને ઘુમી રહેલા ભાજપના રાજકીય યજ્ઞના ઘોડાની દિશા હવે પૂર્વોત્તર રાજ્યો તરફ વળી હોય તેમ આસામમાં વિજય પતાકા લહેરાવી પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ પગદંડો જમાવે તેવી નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે. આસામ વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ૬ મહિનાનો જ સમય બાકી છે ત્યારે ભાજપ પૂર્વોત્તર રાજ્યોમાં આસામના વિજયથી પગદંડો જમાવવા માટે સજ્જ બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના મોવડીઓ દ્વારા પૂર્વોત્તર રાજ્યોની સામાજિક, રાજકીય પરિસ્થિતિમાં પીડિતો, વંચિતો અને છેવાડાના નાગરિકો સુધી ભાજપની વિકાસગાથા પહોંચાડવાના ભગીરથ પ્રયાસોમાં હવે સફળતા મળવા લાગી છે. આઝાદીકાળથી અત્યાર સુધી દેશના મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહમાં પૂર્વોત્તર અને સેવન સીસ્ટર તરીકે ગણાતા ૭ રાજ્યોમાં કોંગ્રેસ અને સાથી પક્ષોનું અને સ્થાનિક આગેવાનોનું પ્રભુત્વ રહેતું આવ્યું છે. જેમાં ભાજપ અને સંઘ સમર્થક વિચારધારાનો ગંજ વાગતો ન હતો. અત્યારે ગુજરાતમાંથી ઉભી થયેલી ભાજપની રાજકીય આંધી સમગ્ર દેશમાં ફરી વળી છે તેમ છતાં હજુ કેટલાક રાજ્યો ભાજપ માટે હાર્ડકોર બની રહ્યાં હતા. અશકય ને શકય બનાવવા માટે નરેન્દ્ર મોદીની રણનીતિ અને કાબેલીયત સામે હવે દેશના રાજકારણીઓએ હાર માની લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેખરેખ હેઠળ મ્યાનમારથી શરૂ થયેલી ભાજપની પ્રયત્ન યાત્રા અત્યારે બંગાળમાં ધુમ મચાવી રહી છે. સરહદીય પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપે શરૂ કરેલી મહેનત હવે રંગ લાવતી દેખાય છે.

એક જમાનો હતો કે, પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપની વિચારધારા ક્યાંય પગ રાખવાની જગ્યા નહોતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. ભાજપનો વિકાસ મંત્ર સમગ્ર દેશમાં ખુણે ખુણે પહોંચી રહ્યો છે ત્યારે ૬ મહિના પછી યોજાનારી આસામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજય મેળવીને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પોતાનો પગદંડો જમાવવા પ્રયત્નશીલ છે. એક વર્ષ અગાઉ જ્યાં આ શકયતા સાવ ધુંધળી હતી ત્યાં ભાજપના અથાક પ્રયત્નથી અનેક મોરચે ક્રાંતિકારી પરિવર્તન લાવી આખો માહોલ ઉભો કરવામાં સફળતા મેળવી છે. બોડોલેન્ડ કાઉન્સીલ, તાઈવા કાઉન્સીલ જેવા સ્થાનિક પક્ષો સાથે ટક્કર લઈને ભાજપે ૯ બેઠકો જીતી હતી. ૨૦૧૫ની પરિસ્થિતિ અત્યારે સમગ્ર ચિત્ર ફેરવી નાખનારી બની રહી છે. ટીએસીના પ્રભુત્વ વચ્ચે ૨૦૧૫માં ભાજપે ૩૩ બેઠકો સુધી પોતાનો વ્યાપ વધાર્યો હતો. ભાજપ માટે આસામની વિધાનસભાની બેઠકમાં પોતાનો પ્રભાવ અને દબદબો વધારવાની આ તક ઉભી થઈ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા નલીન કોહીલ કે જે નાગાલેન્ડના પ્રભારી છે તેમણે જણાવ્યું હતું કે, ભાજપ આસામની આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે સમર્થ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના સુત્રને રાજ્યના લોકો આવકારી રહ્યાં છે. રાજ્ય સરકાર પણ આ અભિગમ સાથે કાર્ય કરી રહી છે. ભાજપ ૧ માંથી ૯ અને ૩ માંથી ૩૩ બેઠકો સુધી પહોંચી છે. ભાજપે છેલ્લા ૧ વર્ષમાં અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. મોદી સરકારના નાગરિક બીલ અને અન્ય રાષ્ટ્રવાદી અભિયાનોને આ ક્ષેત્રમાં સફળતા મળી છે.

લોકસભાના સાંસદ બદરુદ્દીન અઝમલની ઓલ ઈન્ડિયા ડેમોક્રેટીક ફ્રન્ટના મત વિભાજનના મુદ્દાને પણ ભાજપે હાંસીયામાં ધકેલી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈના નિધનની પણ કોઈ અસર ભાજપના વિજય રથના વિકાસમાં નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.