- 15% નું કરેક્શન: ટેરિફ વોરથી થનારા નુકસાન કરતા પણ શેરબજારમાં નુકસાન વધુ
- રોકાણ કરવું ક્યાં ? રોકાણકારો મૂંઝવણમાં : નિફ્ટી- સેન્સેક્સના બધા જ ઇન્ડાઇસીસમાં તિવ્ર ઘટાડો
- બેંકોમાં વ્યાજ ઘટતા જાય છે,શેર બજારમાં તિવ્ર ઘટાડો આવ્યો છે : 15% થી લઈને 50% સુધી શેરોના ભાવ ઘટ્યા
શેરબજારમાં શુક્રવારે જોરદાર કડાકો બોલી ગયો છે.સેન્સેક્ષમાં 1400થી વધુ પોઇન્ટ અને નિફ્ટીમાં 420 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 22,124 અને સેન્સેક્ષ 73,198 બંધ રહ્યો છે. નિફ્ટી અને સેન્સેક્ષ મા તેના 52 વીક હાઈ થી 15% નું કરેકશન થયું છે.
આ સાથે શેર બજારમાં મીડકેપ અને સ્મોલ કેપમાં અનુક્રમે 2.59 ટકા અને 3 ટકા નો કડાકો બોલ્યો છે. મીડકેપ અને સ્મોલકેપ માં તેના 52 વીક હાઈ થી અનુક્રમે 19% અને 25% નું ધોવાણ થયું છે.શેરબજારના આ કડાકાની અસર મુખ્ય તો આઇ.ટી અને ઑટો સેક્ટર માં જોવા મળી છે. જેમાં આઇ.ટી ઇન્ડેક્સ અને ઑટો ઈન્ડેક્સ હાઈ ઉપર થી 4% ડાઉન થયા છે.
આઈ. ટી સેક્ટર માં મુખ્ય તો ટેક મહિન્દ્રા -6.4 %, વિપ્રો -5.4%, ઈન્ફોસિસ -4% અને ટી.સી.એસ -3.6% ડાઉન થયા છે , તો બીજી બાજુ ઑટો સેક્ટર માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા -5.2%,અશોક લેલેન્ડ -5.1%, ટી.વી.એસ -4.8%, ટાટા મોટર્સ -4.3% અને બજાજ ઓટો -4% ડાઉન થયા છે.જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા છે,ત્યારથી બજારની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે.ટેરીફ વોર ચાલુ થઈ છે અને આ ટેરિફ વોરની ગંભીર અસર ભારતીય શેરબજાર પર થઈ રહી છે. ઇન્વેસ્ટર્સના લાખો-કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આર્થિક સ્થિતી ડામાડોળ થઈ રહી છે. જુના ખરીદેલા શેરોના ભાવો આવતા નથી અને નવા શેરો ખરીદવાના પૈસા નથી.વિદેશી નાણાકીય સંસ્થાઓ ભારતીય શેરબજારને ગુડ બાય કહી રહી છે. સ્થાનિક નાણાકીય સંસ્થાઓ ભારતીય શેરબજારમાં શેરો ખરીદી રહી છે પરંતુ એ તે પણ હાંફવા લાગી છે. ક્યાં સુધી આ બધી નાણાકીય સંસ્થાઓ ટક્કર ઝીલશે તે એક કરોડ રૂપિયાનો સવાલ છે .
ભારતનું અર્થતંત્ર મજબૂત છે. વિદેશી હુંડિયામણનું રિઝર્વ પણ સારું છે.બજેટમાં પણ આયકરમાં વ્યક્તિગત કરદાતાને 12 લાખ સુધીની ટેક્સની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.બેંકો વ્યાજદરો પણ ઘટાડી રહી છે. બેન્ક ડિપોઝીટસના દરો ઘટવા લાગતા રોકાણકારને બેંક ડિપોઝીટસમાંથી રસ ઉડવા લાગ્યો છે.સોનાના ભાવો એ માઝા મૂકી છે એટલે સોનું ખરીદવા પણ રોકાણકાર તૈયાર નથી.સોવેરીયન ગોલ્ડ બોન્ડ યોજનાનું પણ ફીંડલુ વળી ગયું છે.પ્રોપર્ટીના ભાવો આસમાને છે.ત્યારે એકમાત્ર સહારો નાના રોકાણકાર માટે શેરબજાર છે અને તેના પર પણ મંદીના વાદળો છવાઈ જતા રોકાણકારોમાં હતાશા-નિરાશા વ્યાપી છે.જોકે આ બધું થવામાં સેબી દ્વારા લેવાયેલા કડક પગલાંઓનો પણ સમાવેશ છે. ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.જેને લઈને વોલ્યુમમાં સતત ઘટાડો થતાં શેરબજારમાં મંદી છવાઈ છે.બે-ત્રણ ક્વાર્ટરના કંપનીઓના પરિણામો પણ ખરાબ આવ્યા છે. જો કે ગ્રોથ સ્ટોરી પણ થોડી નબળી પડી હોય તેવું લાગે છે.શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેરબજારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. થોડો સમય શેરબજાર ને સુધરતા જરૂર લાગશે. સૌથી મોટી ચિંતાનો વિષય પ્રાઇમરી માર્કેટ છે કે જેમાં આઈ.પી.ઓ. આવવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.જો કંપનીઓ આઈ.પી.ઓ. લાવી શકશે નહીં અથવા તો આઈ.પી.ઓ.માં પ્રમોટરોને નબળો પ્રતિસાદ મળશે તો પ્રાઇમરી માર્કેટ રૂંધાશે.
જો પ્રાઇમરી માર્કેટમાં જ ગતિવિધિઓ અટકશે તો સરવાળે આર્થિક પરિસ્થિતિ ખરાબ થશે.સેક્ધડરી માર્કેટ પણ નહીં ચાલે. જોકે અત્યારે જ ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. આવનારા દિવસોમાં ટેરિફ વોર અટકશે અને વિદેશી નાણાકીય સંસ્થાઓ શેર વેચવાનું બંધ કરશે તો જ બજાર ચાલશે.આવનારા ક્વાર્ટરના કંપનીઓના પરિણામો સારા હોવાની શક્યતા બજાર જોતું નથી.હજુ બે ક્વાર્ટર પછી કંપનીઓની સ્થિતિ સુધરશે તેવી શક્યતા છે.હાલમાં બધાને પહોંચી વળવું તે જ એક મોટો પડકાર છે.