Abtak Media Google News

એક એપ્રિલના દિવસે આવેલા દુઃખદ સમાચાર સાંભળી પહેલા તો એમ થયું કે, એપ્રિલ ફૂલ બનાવ માટે આ અફવા ફેલાણી છે, પણ જ્યારે તે સમાચાર સાચા નીકળ્યા તો ફિલ્મ જગતના ચાહકોમાં દુઃખનું મોજું ફરી વળ્યું. હિન્દી સિનેમાની અભિનેત્રી અને ચંદીગઢથી ભાજપના સાંસદ કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા નામનું બ્લડ કેન્સર થયું છે. આ માહિતી ચંદીગઢના ભાજપ અધ્યક્ષ અરૂણ સૂદે આપી હતી. બુધવારે સુદે પાર્ટી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સૂદે જણાવ્યું કે કિરણની સારવાર ચાલી રહી છે અને તેણી હાલત અત્યારે સ્વસ્થ છે.

અરૂણ સૂદે વધુ માહિતી આપતા કહ્યું છે કે, “11 નવેમ્બર 2020ના રોજ કિરણ ખેરને ચંદીગઢમાં આવેલા તેમના નિવાસસ્થાન પર ડાબા હાથમાં ફેક્ચર થયું હતું. એના ઈલાજ માટે ચંદીગઢમાં આવેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટેસ્ટ કરાવીયા હતા. તે ટેસ્ટમાં એમને ખબર પડી કે તે મલ્ટીપલ માયલોમા નામની બીમારીનો શિકાર છે. આ બીમારી એમના ડાબા અને જમણા હાથના ખભા પર ફેલાઈ ગઈ હતી અને 4 ડિસેમ્બરના રોજ ઈલાજ માટે મુંબઈ ગયા. હવે તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પણ તે હોસ્પિટલમાં એડમિટ નથી. તેમને દૈનિક સારવાર માટે હોસ્પિટલમાં જવું પડે છે.”

કિરણ ખૈરની બીમારીના સમાચાર થોડા સમય પહેલા આવી ગયા હતા, પણ તેની ખાતરી કરતા કિરણ અથવા એના પરિવારજનોમાંથી કોઈએ નિવેદન જારી કર્યું ન હતું. જોકે, 1 એપ્રિલે તેના પતિ અનુપમ ખેર અને પુત્ર સિકંદર ખેરએ કિરણની તબિયત અંગે સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરી જાણકારી આપી.

અનુપમ ખૈરએ ટ્વિટર પર પોતાના પરિવાર તરફથી માહિતી આપતા લખ્યું છે કે, ” અફવાઓ વધવા લાગે તે પહેલાં, હું અને મારો પુત્ર સિકંદર દરેકને જાણ કરવા માંગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. તેણીની સારવાર ચાલી રહી છે અને અમને આશા છે કે તે આ બીમારીને હરાવી સાજી થઈ પછી આવશે. આપણું સૌભાગ્ય છે કે તે ખુબ સારા ડોકટરોની સંભાળમાં છે. તે હંમેશા ફાઇટર રહી છે અને ગમે તેવી અઘરી મુસીબત હોય તો પણ કિરણ તેનો સામનો કરવા સક્ષમ છે.”

 


અનુપમ પોતાના ટ્વિટમાં આગળ જણાવે કે, “કિરણના ઘણાબધા ચાહકો છે અને તે એમને પ્યાર કરે છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ તમે તમારો પ્યાર આપતા રહો. હાલમાં તેની તબિયત સારી છે. હું મારા પરિવાર વતી તમારા બધાના પ્યાર અને સહકાર માટે આભાર માનું છુ.”

સિકંદરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની માતાની તબિયત અંગે માહિતી આપતા પોસ્ટ કર્યું છે

 


અરૂણ સૂદે કિરણ ખૈરની તબિયત અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કારણ એવું જાણવા મળ્યું કે, કિરણ છેલ્લા કેટલાક મહિનાથી ચંદીગઢમાં નથી. જેના કારણે વિપક્ષે પ્રશ્નો ઉભા કરવા માંડ્યા કે ચંડીગઢના સંસદસભ્યો ક્યાં ગયા? આવા બધા પ્રશ્નોના જવાબ માટે સૂદે પ્રેસ કોન્ફરન્સનો સહારો લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.