Abtak Media Google News

મોરબી, પ્રાંચી અને પાલિતાણામાં જંગી જાહેરસભા સંબોધી

વડાપ્રધાનને સાંભળવા માટે માનવમેદની ઉમટી પડી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવતા જાય છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધુ જામતો જાય છે. ગત સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુજ, જસદણ અને અમરેલીના ચલાલામાં જંગી જાહેરસભા સંબોધયા બાદ એક દિવસના વિરામ આજે ફરી સૌરાષ્ટ્ર ભાઈઓ-બહેનો અને મિત્રો જેવા શબ્દોથી ગુંજી ઉઠયું હતું. આજથી ફરી વડાપ્રધાને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શ‚ કરી દીધો છે. સવારે તેઓએ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં જંગી જાહેરસભાને સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી વિકાસની રાજનીતિને વેગ આપતી ભારતીય જનતા પાર્ટીને ફરી તોતીંગ બહુમતી સાથે જીતાડવા જનમેદનનીને હાંકલ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગત સોમવારથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રચાર કમાન સંભાળી લીધી છે. સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ જાહેર સભા સંબોધી ૪૬ જેટલા મત વિસ્તારોને આવરી લીધા હતા. દરમિયાન ગઈકાલે એક દિવસનો બ્રેક લઈ આજથી ફરી રાજયમાં ચૂંટણી પ્રચાર શ‚ કરી દીધો છે. ગત મધરાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે તેઓએ રાત્રી રોકાણ કર્યું હતું. આજે સવારે તેઓ મોરબી જવા રવાના થયા હતા. સિરામિક નગરી મોરબીમાં પરશુરામ પોતરીના મેદાન ખાતે આજે તેઓએ એક જંગી ચૂંટણીસભા સંબોધી હતી અને વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મોરબી આવેલા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે સ્વયંભુ માનવમેદની ઉમટી પડી હતી. મોરબી ઉપરાંત આજે વડાપ્રધાને બપોરે ૧૧:૦૦ કલાકે સોમનાથ, પ્રાંચીના ટીંબણી ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. ત્યારબાદ બપોરે ૧:૩૦ કલાકે પાલિતાણા ખાતે પણ ચૂંટણીસભા ગજવી દીધી હતી. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે માત્ર ૧૦ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પ્રચાર-પ્રસારમાં ભારે ગરમાવો આવી ગયો છે.

સૌરાષ્ટ્ર જાણે ચૂંટણી પ્રચારનું એપી સેન્ટર બની ગયું હોય તેવો માહોલ આજે જોવા મળ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ-અલગ ચૂંટણીસભા સંબોધી હતી તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ આજે ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર ધમરોળ્યું હતું તો પાટીદાર અનામત આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલે પણ મોરબી જિલ્લામાં વડાપ્રધાનની સભા સાથે એક સમાંતર જાહેર સભા રાખી હતી અને ભાજપને હરાવવા માટે જનમેદનની હાંકલ કરી હતી. ગુજરાતનો ગઢ ફરી ફતેહ કરવા માટે સતાધારી પક્ષ ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. વડાપ્રધાન ઉપરાંત આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. તેઓએ પણ પોરબંદર અને જામનગર ખાતે જાહેરસભા સંબોધી હતી.

મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે માદરે વતનમાં સતા ન છીનવાઈ તે માટે ખુદ વડાપ્રધાને હવે કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. ત્રણ દિવસમાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન આવતા સપ્તાહે ફરી રાજયમાં ચૂંટણી પ્રચાર માટે ધામા નાખે તેવી અટકળો વહેતી થઈ છે. રાજકોટ ખાતે પણ મોદીની સભાનું આયોજન ગોઠવાઈ રહ્યું છે.

રાજકોટમાં રવિવારે નરેન્દ્ર મોદીની જાહેરસભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કમાન પોતાના હસ્તક લઈ લીધા બાદ વડાપ્રધાને બે દિવસમાં રાજયમાં અલગ-અલગ આઠ સ્થળોએ જાહેરસભા સંબોધી હતી. દરમિયાન આવતા રવિવારે ફરી વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓ રાજકોટ ખાતે એક ચૂંટણીસભાને સંબોધશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૌધરી હાઈસ્કૂલના મેદાન ખાતે વડાપ્રધાન જાહેરસભા સંબોધે તેવી સંભાવના જણાઈ રહી છે. શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. પોલીસ સહિતના સરકારી તંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.