Abtak Media Google News

ક્રિપ્ટો પ્રત્યે રોકાણકારોને લાગેલું ઘેલું જોઈને સરકારે અર્થતંત્રને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો છે

ક્રિપ્ટો પ્રત્યે ભારતીય રોકાણકારોને ઘેલું લાગ્યું છે. હવે આ રોકાણકારો પોતાના પૈસા ડૂબાડે તો દેશને પણ નુકસાન થાય. આ સહિતના પ્રશ્નો અંગે સરકાર ચિંતિત હતી. પણ હવે સરકારે આનો રસ્તો શોધી પોતાની ડિજિટલ કરન્સી જાહેર કરી એક કાંકરે અનેક નિશાન તાક્યા છે.

આરબીઆઇ નાણાકીય વર્ષ 2022-23માં બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજી પર આધારિત ડિજિટલ કરન્સી લોન્ચ કરશે, જેનું નામ ડિજિટલ રૂપી હશે. સરકારનું માનવું છે કે આનાથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ડિજિટલ રૂપી શું છે અને તે ખિસ્સામાં પડેલા પૈસાથી કેટલો અલગ હશે અને ડિજિટલ રૂપિયા અને ક્રિપ્ટો કરન્સીમાં શું તફાવત છે?

તેનો જવાબ છે ડિજિટલ રૂપી હશે તો રૂપિયો જ. માત્ર રિઝર્વ બેંક જ તેને જાહેર કરશે, પરંતુ પ્રિન્ટેડ નોટ નહીં હોય. જેમ તમે રોકડથી વ્યવહાર કરો છો, તેમ તમે ડિજિટલ રૂપીથી પણ કરી શકશો. આનાથી શું ફાયદો થશે, હવે તેણે જાણવું જોઈએ. પહેલો ફાયદો એ થશે કે કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. આ સિવાય ટ્રાન્ઝેક્શન પણ ઝડપથી થઈ શકશે. ચલણી નોટોના પ્રિન્ટીંગ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચશે અને તેને ટ્રેક કરી શકાશે, તેથી તેને છુપાવી શકાશે નહીં, તો ભ્રષ્ટાચાર પર પણ સકંજો કસવામાં આવશે.

હવે પ્રશ્ન એ છે કે ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો કરન્સી વચ્ચે શું તફાવત છે. સૌથી મોટો તફાવત એ છે કે ડિજિટલ કરન્સી કોઈપણ દેશની મધ્યસ્થ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમ રિઝર્વ બેંક અહીં ડિજિટલ ચલણ જાહેર કરશે. પરંતુ ક્રિપ્ટો કરન્સી ખાનગી કંપનીઓ અથવા અમુક લોકો દ્વારા જાહેર કરવામાં આવે છે.

આનો અર્થ એ છે કે ડિજિટલ ચલણ માટે એક રેગ્યુલેટર છે. જ્યારે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે કોઈ નથી. આ જ કારણ છે કે ક્રિપ્ટોમાં રોકાણ કરેલ નાણાં ડૂબી જવાની સંભાવના છે. જ્યારે ડિજિટલ કરન્સીમાં આ જોખમ નથી.ડિજિટલ ચલણનું મૂલ્ય કાયમી છે. જ્યારે ક્રિપ્ટોના મૂલ્યમાં ભારે વધઘટ થતી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.