Abtak Media Google News

વાડી, હોલમાં કેર સેન્ટર શરૂ કરાય તો સામાન્ય દર્દીઓને પરવડી શકે

શહેરમાં કોરોનાના દર્દીઓથી કોવિડ કેર સેન્ટરો ઉભરાઈ રહ્યાં હોય જ્ઞાતિ ભવનોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરી સરકાર દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જામનગરમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઇ રહી છે. વેન્ટીલેટરોની અછત ઉભી થઇ ગઇ છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ હાઉસફૂલ થઇ ગયા છે. કોવિડ કેર સેન્ટરો પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા 500 બેડની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જો સરકાર દ્વારા જામનગર શહેરમાં આવેલી જુદા-જુદા સમાજની વાડી ભવનોમાં જો આવી કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવે તેવો સૂર બુધ્ધિજીવીઓમાં ઉઠી રહ્યો છે. કારણ કે કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ મોંઘી બનતી જાય છે ત્યારે સરકાર દ્વારા જ આવા કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે.

જામનગરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો પ્રવાહ ધસમસતો વધતો જાય છે. હાલમાં તો હોમ કવોરેન્ટાઇન થયેલા દર્દીઓને પણ ખાનગી તબીબોની સેવા મોંઘી બની રહી છે. ત્યારે સરકાર દ્વારા 500 બેડની હોસ્પિટલ નવી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે જો સરકાર દ્વારા નવી હોસ્પિટલ બનાવવામાં જો સમાજ ભવન એટલ કે જ્ઞાતિ વાડીના મોટા હોલનો ઉપયોગ કરવામાં આવે અને તેમાય ખાસ કરીને સમાજ વાડીના હોલ જે એ.સી. છે. તેનો ઉપયોગ કરવામાં આવે તો અનેક કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ શકે તેમ છે. આવા હોલમાં દર્દીઓની સારવાર માટે માત્ર મેડીકલ ટીમ જ કાર્યરત કરવી પડે તેવી સ્થિતિ છે.

સામાન્ય રીતે દરેક હોલની આસપાસ પાર્કિંગની સુવિધા પણ હોય અને આવા દર્દીઓને માટે ભોજન ચા-પાણીની વ્યવસ્થા કરી શકે તેવી જગ્યા હોય જેથી ઓછા ખર્ચે આ પ્રકારના કોવિડ સેન્ટરો સરકાર ધારે તો કાર્યરત થઇ શકે તેમ છે. આવા કોવિડ કેર સેન્ટરો કાર્યરત કરવા માટે જામનગરના કેટલાક આગેવાનો દ્વારા રાજયના મુખ્યમંત્રી અને પ્રધાનો સુધી પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગરીબ, મધ્યમ અને નાના વર્ગના લોકો માટે હાલમાં એક તરફ મંદીનું વાતાવરણ અને વધુમાં કરફયુની સ્થિતિને લીધે ધંધા રોજગારમાં ખૂબ આવક ઘટી છે ત્યારે બીજી તરફ કોરોનાની મહામારી વધતી જાય છે અને કોરોનાના દર્દીઓ પણ વધતા જાય છે ત્યારે આવી પડેલ કોરોના રોગની સારવાર પરવડે તેવી નથી. આવા સમયે સરકાર તરફ લોકોની મીટ માંડીને લોકો બેઠા હોય છે ત્યારે સરકાર દ્વારા ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પૈસા ખર્ચીને સારવાર ન લેવી પડે તે માટે સમાજ વાડી ભવનમાં આવા કેર સેન્ટરો તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને જયાં દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે એ આજના સમયથી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.