Abtak Media Google News

પ્રદેશ ભાજપ દ્વારા રાજયના ૫૧ હજારથી વધુ બૂથમાં વાજપેયીજીને પુષ્પાંજલિ: રકતદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદિ વિતરણ

ગ્રામીણ વિસ્તારોમાં એલઈડી સ્ક્રીન મારફત વડાપ્રધાનનું સંબોધન નિહાળ્યું

દર વર્ષે ભારત રત્ન, દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પ્રદેશ ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને વાજપેયીજીના જન્મદિનને ઉજવવામાં આવશે. આ કાર્યક્રમોમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ હોદ્દેદારો/અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ વિવિધ સ્થાનોએ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

આજેે ‘પીએમ-કિસાન સન્માન નિધિ યોજના’ અંતર્ગત  દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા જમા કરાવવામાં આવનાર છે, જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બપોરે ૧૨.૦૦ કલાકે દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું તે કાર્યક્રમનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં એલઈડી સ્ક્રિન દ્વારા નિહાળવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ગામડે ગામડે ખેડૂતોને ભાજપા સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરવા માટે કરવા આવેલા મહત્વપુર્ણ નિર્ણયો અંગે સંવાદ કર્યો હતો.  પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીના જન્મદિનની ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ૨૪૮ તાલુકા મથકોએ ગુજરાતની ભાજપા સરકાર દ્વારા ‘કિસાન કલ્યાણ કાર્યક્રમો’ યોજાયા હતા. જેમાં લાભાર્થીઓને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ સહાય આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ, પ્રદેશ અગ્રણીઓ વિવિધ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા દ્વારા દર વર્ષની જેમ રાજ્યના ૫૧ હજારથી વધુ બુથમાં વાજપેયીજીને પુષ્પાંજલિના કાર્યક્રમ, તેમના વ્યક્તિત્વ, કતૃત્વ અને દેશ માટેના યોગદાનનું સ્મરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ભાજપા સરકાર દ્વારા કાર્યરત અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરાયું છે. તેમજ જીલ્લા દીઠ વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરી પરમ શ્રદ્ધૈય અટલજીની કવિતાઓનું કાવ્યપઠન કરી તેમને સ્મરણાજંલી અર્પણ કરવામાં આવી છે.

શ્રઘ્ધેય અટલજી એટલે ઉદાર, કર્મઠ અને દેશને સમર્પિત વ્યકિતત્વ

અટલજી દેહ સ્વરૂપે ગયા પરંતુ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે, તેમણે પોતાના વ્યકિતત્વ, કતૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હૃદયમાં રાજ કર્યું છે

પ્રારંભીક જીવન:

અટલજીનું જીવન શુભારંભ અને અંત બન્નેમાં કૃષ્ણનો સંયોગ

અટલજી કૃષ્ણામાતાની કૂખે જન્મેલાં,કૃષ્ણબિહારીની પિતૃછાયામાં કૃષ્ણની પ્રાચીન નગરી બટેશ્વરએ મૂળ વતન અને ૧૦-કૃષ્ણમેનન માર્ગ,દિલ્હી ખાતે તેમણે દેહ છોડી દીધો. એટલે કે માતા-પિતામાં કૃષ્ણ અને વતન અને મરણ જીવનની શુભારંભથી અંત સુધી કૃષ્ણ સંગ જ રહ્યો.  પિતાજી કૃષ્ણબિહારી વાજયેપી ગ્વાલિયારમાં અધ્યાપક હતાં ત્યારે એ વખતે શિંદેની છાવણીમાં તા.૨૫મી ડિસેમ્બર ૧૯૨૪નાં રોજ અટલજીનો જન્મ થયો હતો.

રાજનૈતિક જીવન..

મહાવીર રામચંદ્રની અમર કૃતિ વિજય પતાકા ને વાંચીને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ગ્વાલીયરમાં,કાનપુરમાં ભણ્યાં. એમ.એ. વિથ પોલીટીકસ કર્યું. આર.એસ.એસ.માં જોડાયા ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયાની જે મહાત્મા ગાંધીજીએ લડાઈ લડી એમાં ૨૪ દિવસ સુધી તેઓ જેલમાં રહ્યાં. ૧૯૫૧માં જનસંઘની સ્થાપના સમયે સદસ્ય રહ્યાં. વર્ષ ૧૯૫૫માં લોકસભા હાર્યા પછી ૧૯૫૭માં ઉત્તરપ્રદેશના બલરામપુર, ગોડા જીલ્લામાં વિજય થયાં. ૧૯૫૭ થી ૧૯૭૭ સુધી સતત ૨૦ વર્ષ એ સંસદીય પક્ષના નેતા રહ્યાં.  પંડિત દિનદયાળજીના અવસાન પછી ૧૯૬૭ થી ૧૯૭૩ સુધીએ જનસંઘના અને ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યાં.

મોરારજી દેસાઈની સરકારમાં ૧૯૯૭૭માં વિદેશ મંત્રી રહીને ભારતનું માન-સન્માન અને ગૌરવ વધાર્યું હતું.  તા.૧૬ મે, ૧૯૯૬માં પ્રથમવાર દેશના ૧૩ દિવસ માટે અને માર્ચ, ૧૯૯૮માં ૧૩ મહિના તેમજ ઓક્ટો-૧૯૯૯ થી તા.૨૨ મે ૨૦૦૪ સુધી ત્રીજી વાર પાંચ વર્ષ માટે દેશના પ્રધાનમંત્રી બન્યાં હતાં. શ્રી અટલજી લોકસભામાં ૯ (નવ) અને રાજ્યસભામાં ૨ (બે) વાર આમ, કુલ ૧૧ વાર સંસદસભ્ય પદે રહ્યાં છે.  વર્ષ ૧૯૭૪માં નવર્નિમાણ આંદોલન સમયે એમને ગુજરાત આવવાનું થયું અને એ વખતે એરપોર્ટ ઉપર લેખક,ચિંતક એવા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાને એક પત્ર અટલજીએ આપ્યો. પત્રમાં એક લેખ સાથે નાનકડી કવિતા પણ લખી હતી. એ લેખમાં મુજે મોરારજી દેસાઈ સે મોહબ્બત હો ગઈ એવું ટાઈટલ હતું. તેમાં એક કડી લખી હતી. નજર નીચી,કમર સીધી,ચમકતા રોફ સે ચહેરા, બુરા માનો, ભલા માનો વોહી તેજી,વોહી નખરા

કટોકટી આવ્યાં પછી તો જેલમાં ગયા એમની પાસે પણ સમાધાનની વાત આવી. તો તે વખતે તેમણે પણ કહ્યું કે, દાવ પર  સબ કૂછ લગા હૈ,

રૂક નહીં સકતે, ટૂટ સકતે હૈમગર હમ ઝૂક નહીં શકતે.

કટોકટી પછી જનતા મોરચાની સરકાર બની. શ્રી પ્રધાનમંત્રીશ્રી મોરારજી દેસાઈ વખતે વિદેશ મંત્રી પણ બન્યાં અને ભારતનું માન-સન્માન ગૌરવ વધાર્યું.

તા.૦૬ એપ્રિલ ૧૯૮૦ – ભાજપની સ્થાપના

જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું. પરંતુ પછી જનતા મોરચો વિખરાઈ ગયો અને તા.૬ એપ્રિલ ૧૯૮૦માં મુંબઈની ચોપાટી ઉપર સમતા નગરમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના શ્રી અટલજીના પ્રવચનમાં બે વાત મને ખૂબ ગમી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સ્વીકાર્યા પછી તેઓ અધ્યક્ષના પદને કેવી રીતે માને છે? તેની વાત કરી હતી.

૧૯૯૬માં સોળ વર્ષ પછી કમળ ખિલ્યું તેઓ વડાપ્રધાન બન્યાં. પહેલાં ૧૩ દિવસ,૧૩ મહિના અને પછી ૫ (પાંચ) વર્ષ માટે પ્રધાનમંત્રી બન્યાં હતાં. જયારે ચુંટણીમાં હાર થઈ ત્યારે તે વખતે તેમણે કહ્યું હતું કે,

કયાં હાર મેં,ક્યાં જીત મેં,

કિંચિત નહીં,ભયભીત મેં

કર્તવ્ય પથ પર જો મિલા

યહ ભી સહી વો ભી સહી..

વરદાન નહીં માનુંગા

હો કૂછ પર હાર નહીં માનુંગા..

સર્વ માન્ય અને સર્વ પ્રિય નેતા.

શ્રી અટલજી કહેતાં … છોટે મનસે કોઈ બડા નહીં હોતા,

ટૂટે મન સે કોઈ ખડા નહીં હોતા.

૧૩ અને ૨૪ પાર્ટીના ગઠબંધન સાથે પ્રથમ બિનકોંગ્રેસી સરકારે પ્રથમ પાંચ વર્ષ પૂર્ણ કર્યાં. જે તેમનું સર્વ માન્ય નેતૃત્વ બતાવે છે. જયારે સામ્યવાદી નેતા સોમનાથ ચેરર્ટજી, જ્યોતિ બસુ, નવિન પટનાયક હોય કે મમતા, માયાવતી કે જયલલિતા હોય કે બાલઠાકરે હોય. દરેક રાજકીયનું નેતૃત્વ તેમને સ્વીકારતું અને તેમને સર્વ પ્રિય નેતા ગણતાં. અટલજી ૧૦ વાર લોકસભા અને ૨ વાર રાજયસભામાં સાંસદ રહ્યાં. અટલજી સંસદસભ્ય ન હતાં ત્યારે ૧૯૮૪માં શ્રીમતિ ઈન્દીરા ગાંધીએ કહ્યું કે,અટલજી કે બિના સંસદ સુના સુના લગતા હૈ. સામાન્ય રીતે યુનોમાં શાસકપક્ષના પ્રતિનિધીને મોકવામાં આવે છે પરંતુ નરસિંહમા રાવે યુનોમાં જીનીવા કોન્ફરન્સમાં મોકલ્યા ત્યારે કોંગ્રેસમાં વિરોધ થયો. નરસિંહમા રાવે કીધું કે,અટલજી કે બિના કાશ્મીર કે વિષયમે કૌન અચ્છા બોલ શકતા હૈ ?, કૌન અચ્છી તરહ વિષય રખ શકતા હૈ,અને અટલજી યુનોમાં પહેલીવાર હિન્દીમાં ભાષણ કરનાર ભારતીય નેતા બન્યાં.

અટલ બિહારી વાજપાઈજીનું વ્યક્તિત્વ…

અટલજીએ જોડવાનું કામ કામ કર્યું,

અટલજીએ માણસોને જોડ્યા, રાજકીય પક્ષોને જોડ્યા, પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના દ્વારા ગામડાઓની સડકોને જોડી, ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોની સડકોને જોડી અને ભારતની નદીઓને જોડવાના સંકલ્પ સાથે ભગીરથ પ્રયાસો શરૂ કર્યાં. એમણે જીવતા તો લોકોને જોડયાં પરંતુ મૃત્યુબાદ પણ લોકોને જોડયાં. ખરેખર દેશની રાજનીતિનો એક રાજકીય ધ્રુવ તારો ખરી ગયો.

એમણે પોતાના વ્યક્તિત્વ,કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાનાં હૃદયમાં રાજ કર્યું છે.

કોઈ એમને ગ્રેટ સન ઓફ ઈંડિયા કીધાં તો કોઈએ તેમને  રાજકીય ધ્રુવ તારો કિધાં. જીવન અને મૃત્યુમાં બધાંને ભેગા કરી શકે એવું વિરલ વ્યક્તિત્વ વિચાર અને આચાર એકસરખાં હતાં એટલે આ શક્ય બન્યું.

ગુજરાત સાથેના સંભારણા

ગુજરાત સાથે તો તેમના અનેક સંભારણા હતાં. તા.૦૮ જૂલાઈ ૧૯૮૪માં સાબરકાંઠાના તલોદ ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની અનાવરણ વિધી હતી. નગરપાલિકા ભાજપની હતી પરંતુ તાલુકા/જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર કોંગ્રેસની હતી પણ વિવાદ હતો કે આ જમીન કોની હદમાં આવે છે ? અને એટલા માટે પ્રતિમાને ઘણાં સમય સુધી ઢાંકીને રાખવામાં આવેલી. અટલજી એની અનાવરણ વિધિમાં આવ્યા. કોઈ પક્ષા-પક્ષીની વાત નથી, કોઈપણ સંબોધનની વાત નહીં. પહેલું જ વાક્ય વરસતા વરસાદમાં છત્રીથી આચ્છાદિત હજારો લોકોની ઉપસ્થિતિનું એ દ્રશ્ય અને એ ગુંજ હજુ પણ મને યાદ છે. ત્યારે તેમને પહેલું જ વાક્ય કીધું કે,ચાહે યે જમીન નગરપાલિકા કી હો યાં જીલ્લા,તાલુકા પંચાયત યા રાજય સરકાર કી હો લેકિન સપૂત તો હિન્દુસ્તાન કા હૈ, તેમની એક રાષ્ટ્રીય મહાપૂરૂષને જોવાની દૃષ્ટિ કેવી હતી. તેનું આ ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.