Abtak Media Google News

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કામકાજનો રિપોર્ટ રજૂ કર્યો: આગામી વહીવટી પગલાં માટે પણ કરી ચર્ચા કોરોનાની મહામારી હોય કે કુદરતી આફત દરેક જગ્યાએ પ્રજાની સાથે રહેવું જ અમારૂં ધ્યેય: સીએમ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 121 દિવસના શાસનનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આજે ગુજરાત સરકારના 121 દિવસના કામકાજના રિપોર્ટમાં પણ સીએમ ભુપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની સરકારની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. સામાન્ય રીતે 100 દિવસનું રિપોર્ટ કાર્ડ થતું હોય છે પરંતુ ગુજરાત સરકારે 121 દિવસના શાસનનો હિસાબ આપ્યો છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી હોય કે પછી કોઇપણ કુદરતી આફતો આવતી હોય પરંતુ સરકારી હરહંમેશ જનતા સાથે રહે તેવું એક જ ધ્યેય રાખીએ છીએ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં આ યાત્રા યોજી રૂા.1570 કરોડના 49,000 કામોના લોકાપર્ણ અને ખાતમુહુર્ત કર્યા છે. જ્યારે 1.92 લાખ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા જનાર્દનની સેવા કરવાની તેમની ટીમને મળેલી તક અને રાજ્યની વિકાસયાત્રાને તેજોમય બનાવવાની પરિશ્રમ યાત્રાની સફળતાનો શ્રેય ગુજરાતના સૌ નાગરીકોના ચરણે ધર્યો છે.

મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારની જનસેવા યાત્રાના સુશાસનના સફળ 121 દિવસ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં  સુશાસનના 121 દિવસ પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું હતું.

મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ આ અવસરમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કંડારેલી ગુડ ગવર્નન્સ- સુશાસનની કેડી પર ચાલતા તેમની નવી ટીમ ગુજરાતે સૌને સાથે રાખી, સૌ માટે, સૌ સંગાથે ચોતરફા વિકાસ માટેનો સંકલ્પ સાકાર કરવાની નેમ રાખી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાફ નિયત અને નેક નીતિથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પળ-પળ, ક્ષણ-ક્ષણ રાજ્યના ભલા માટે ખપાવી દેવાની તેમની ટીમની તત્પરતા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી તેમની સમગ્ર ટીમે લોકપ્રશ્નો જન સમસ્યાઓને સરકાર સુધી પહોચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે.

તેમના નેતૃત્વની વર્તમાન સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં ત્વરિત નિર્ણયો અને શ્રેણીબદ્ધ જનહિત કાર્યોથી ગુડ ગવર્નન્સની નવી પરિભાષા અંકિત કરી છે, એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના મંત્ર સાથે કૃષિ, ઊદ્યોગ,સેવા,સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે 121 દિવસ દરમ્યાન કરેલી ગતિ-પ્રગતિની વિશદ છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી બે લાખ ખેડૂતોએ અપનાવી છે અને વનબંધુ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતિયુક્ત જિલ્લો બન્યો છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે એમ પણ જાહેર કર્યું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવા રૂ. 100 કરોડના ફંડીંગ સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિર, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સ વિગેરેની સુવિધા વિકસાવવાનું કાર્ય આયોજન હાથ ધરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના હરેક ઘરને ટેપ વોટર- નળથી જળ પહોચાડવા નલ સે જલની જે સંકલ્પના આપી છે તેમાં સંપૂર્ણ ગુજરાતને આગામી સપ્ટેમ્બર 2022 સુધીમાં આવરી લઇ 100 ટકા નલ સે જલ યુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ 6 જિલાઓ ડાંગ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર અને કચ્છને આગામી 31મી જાન્યુઆરી 2022 સુધીમાં શત પ્રતિશત નલ સે જલ અન્વયે આવરી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. આ 6 જિલ્લાઓ સાથે રાજ્યમાં કુલ 13 જિલ્લા સંપૂર્ણ નલ સે જલ યુક્ત થશે તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાનું સંકટ હોય કે કુદરતી આફતનો કહેર, પ્રજાની પડખે રહી તેને હૂંફ અને સધિયારો આપવાના સેવાધર્મથી તેમની ટીમ ગુજરાત સતત દિનરાત ખડેપગે રહી છે.

તેમણે રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નૂકશાન સામે બે તબક્કામાં 1 હજારથી વધુ કરોડના સહાય પેકેજનો લાભ અસરગ્રસ્ત 1530 ગામના 5.06 લાખ ખેડૂતોને અપાયો છે તેની અને માછીમારો માટે 265 લાખના સહાય પેકેજની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી લોકહિતના કરેલા નિર્ણયો- પગલાંઓની છણાવટ કરતાં ઉમેર્યું કે, ઓનલાઇન આર.ટી.આઇ. પોર્ટલ લોંચ કરીને જનતાના પ્રશ્નો પ્રતિ સજાગ વલણ અપનાવ્યું છે. મહેસૂલી સેવાઓનું સરળીકરણ કરીને 3.63 લાખ નાગરિકો માટે ય-તશલક્ષથી મહેસૂલ રેકર્ડ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. નિયત સરકારી સેવાઓમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ ઓનલાઈન નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે. બિનખેતી હુકમોની મંજૂરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરી છે. લેન્ડ રેવન્યૂ કોડની કલમ-73એએની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. સરકારના વિભાગો વચ્ચે સંકલન માટે ઈ-સરકાર પોર્ટલનો પ્રારંભ ઙખઉંઅઢ-ખઅ યોજનાના લાભાર્થીને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાનો મહત્વનો નિર્ણય તેમની સરકારે કરેલો છે.

ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 9 કરોડ 46 લાખથી વધુ કોરોના વેક્સિન ડોઝનું રક્ષાકવચ નાગરિકોને આપવામાં આવ્યું છે તેની પણ વિગતો આપી હતી. પ્રતિ 10 લાખ વ્યક્તિએ વેક્સિન ડોઝમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં બિનચેપી રોગોની સારવાર- નિદાન માટેનું સ્ક્રિનિંગથી સારવાર સુધીનું મહાઅભિયાન હાથ ધર્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં 1 કરોડ જેટલાં ઙખઉંઅઢ-ખઅ કાર્ડ આપવા સાથે પ્રધાનમંત્રીની ફ્લેગશીપ યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થીઓને પહોંચાડવા સમયબદ્ધ કાર્યઆયોજન રાજ્ય સરકારે કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ એવી સ્પષ્ટ નેમ વ્યક્ત કરી કે, તેમની નવી ટીમ ગુજરાત મીનીમમ ગવર્નમેન્ટ – મેક્સિમમ ગવર્નન્સના ધ્યેય સાથે જેનસેવાના પ્રબળ સંકલ્પ, અડગ આત્મવિશ્વાસ અને અતૂટ જુસ્સાથી કર્તવ્યરત રહેવા પ્રતિબદ્ધ છે.

આફતો અને મહામારીમાં પણ સરકાર પ્રજાની સાથે

પુસ્તિકા વિમોચન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમારી આ ભવ્ય સફળતાનો શ્રેય જનતાના ચરણોમાં અર્પણ કરૂં છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશમાં ગુડ ગવર્નન્સના સુશાસનની પરિભાષા અંકિત કરી હતી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના સંકલ્પ સાથે કૃષિ ઉદ્યોગ, સેવા, સમાજ કલ્યાણ એમ વિકાસની ચારેય તરફ ગતિની યાત્રા આરંભી છે.

વેક્સિનેશનમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર

ગુજરાતમાં કોરોનાની મહામારી સામે લડવા રાજ્ય સરકારે કમર કસી છે. જેમાં ભારતભરમાં 150 કરોડથી પણ વધુ વેક્સીનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 9.46 કરોડ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. વધુમાં જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમારી નવી અને ઉર્જાવાન ટીમે શાસન સંભાળ્યાના પહેલા  દિવસથી જ લોકપ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખૂલ્લા કર્યા છે. સત્તાએ ભોગવટાનું નહીં પણ સેવાનું માધ્યમ હોય તેવા સંસ્કાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.