Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી.

મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને સહાયની ચુકવણીમાં કોઇ ખોટી વ્યક્તિ સહાય લઇ ન જાય અને સાચી વ્યક્તિ વંચિત ન રહી જાય તેવી તકેદારી અને વેરીફિકેશન સાથે કોઇ પણ દબાણને વશ થયા વિના આ કામગીરી કરવા જિલ્લા કલેકટરોને સ્પષ્ટ તાકીદ કરી હતી. આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો કલેકટરો પાસેથી મેળવી હતી. આ ત્રણેય જિલ્લાઓમાં કુલ મળીને 4,82,192 લોકોને સમગ્રતયા 25.61 કરોડની કેશડોલ્સ ચુકવવામાં આવી છે.

રાજ્ય સરકારના નિયમો-ધોરણો અનુસાર આ કેશડોલ્સમાં પુખ્ત વયની વ્યક્તિ માટે રોજના 100 રૂપિયા અને બાળક માટે રોજના 60 રૂપિયા પ્રમાણે 7 દિવસની કેશડોલ્સ ચુકવવામાં આવે છે. તદઅનુસાર ગીર-સોમનાથમાં 1 લાખ 1 હજાર 284 વ્યક્તિઓને 5.8 કરોડ રૂપિયા, ભાવનગર જિલ્લામાં 76,289 લોકોને 4 કરોડ 57 લાખ રૂપિયા તેમજ અમરેલી જિલ્લામાં 3 લાખ 4 હજાર 619 લોકોને 15.24 કરોડ રૂપિયા કેશડોલ્સ સંબંધિત જિલ્લા તંત્રવાહકોએ ચુકવીને કેશડોલ્સ ચુકવણીની 100 ટકા કામગીરી પૂરી કરી દીધી છે.

તેમણે ઘરવખરી સહાયની રકમ અસરગ્રસ્તોના બેંક ખાતામાં સીધી જ ડી.બી.ટી.થી જમા થાય તે સુનિશ્ચિત કરવા પણ સંબંધિત જિલ્લા તંત્રવાહકોને સૂચના આપી હતી. આ ત્રણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિવાર દીઠ 7 હજાર પ્રમાણે ઘરવખરી સહાયના રાજ્ય સરકારના ધોરણો અનુસાર ઘરવખરી સહાય ચુકવવામાં આવી છે. જેમાં ગીર સોમનાથમાં 32,138 પરિવારોને 22.5 કરોડ, અમરેલી જિલ્લામાં 16,538 પરિવારોને 4.32 કરોડ અને ભાવનગર જિલ્લામાં 11,697 પરિવારોને 2.49 કરોડ એમ સમગ્રતયા 29.31 કરોડની ઘરવખરી સહાયનો લાભ 60,373 પરિવારોને આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ આ વાવાઝોડાને પરિણામે સંપૂર્ણ નાશ પામેલા કાચા-પાકા મકાનોને મકાન દીઠ 95,100 સહાય આપવાનો જે નિર્ણય કર્યો છે તે અનુસાર આ ત્રણેય જિલ્લામાં કુલ 1834 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે તેને 100 ટકા સહાય આપી દેવાઇ છે. તાઉતે વાવાઝોડાને પરિણામે એવા કાચા-પાકા મકાનો જેને આંશિક નુકશાન થયું હોય, દિવાલ કે છત ધરાશાયી થઇ હોય તેવા 15 ટકાથી વધુ નુકશાન ધરાવતા મકાનોને 25 હજારની સહાય આપવાનો અભિગમ દર્શાવેલો છે.

ગીર સોમનાથ જિલ્લામાં 38,427 મકાનો માટે 95.60 કરોડ, ભાવનગરમાં 7950 મકાનો માટે 12 કરોડ અને અમરેલીમાં 16,914 મકાનો માટે 34.39 કરોડ રૂપિયાની સહાય જિલ્લા વહિવટીતંત્રોએ ચુકવણી આપી છે. આ સાથે પશુઓ રાખવાની જગ્યા વાડા-ગમાણને થયેલા નુકશાનમાં પણ દરેક જિલ્લામાં 5 હજારની સહાય ચુકવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.