Abtak Media Google News

ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક 135 કિ.મી.નો કોસ્ટલ હાઇવે નવી લીંક સાથે બનશે

ખંભાત, કામતલાવ, આંબલી, પાટિયાની નવી લિંક : ભાવનગર-સૌરાષ્ટ્રના ટ્રાફિકને આ લિંકને પરિણામે 70થી 80 કિલો મીટર અંતર ઘટશે

પ્રવક્તા મંત્રી  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું  હતુ કેે દરિયાકિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ વિકસે અને નાગરિકોને તેનો લાભ મળે એ માટે અંદાજે રૂ. 2,440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરાશે.

રાજ્યમાં 1,600 કિ.મી.ના દરિયાકાંઠાના નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે 135 કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. જેમાં ખાસ કરીને ભાવનગર-સૌરાષ્ટ્ર તરફના ટ્રાફિક અત્યારે બોરસદ, તારાપુર, વટામણ ચોકડી, ધોલેરા થઈને ભાવનગર જાય છે તેના સ્થાને ખંભાત, કામતલાવ, આંબલી, પાટીયા સુધીની નવી લિંક બનાવાશે. જેનાથી ભાવનગર-સૌરાષ્ટ્ર જતો ટ્રાફિક વટામણ ચોકડી સુધી જવાના બદલે આ નવી લિંકનો ઉપયોગ કરીને જશે જેનાથી 70 થી 80 કિ.મી. અંતર ઘટશે.

તેમણે ઉમેર્યું કે આ કોસ્ટલ હાઇવે નિર્માણ થશે તેમાં ભીલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયાકિનારાને સાંકળીને બનાવાશે. આ કોસ્ટલ હાઇવેના નિર્માણ માટે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના સાંસદઓ, ધારાસભ્યઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો થતાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

ડાંગના પ્રખ્યાત શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજે રૂા.1,670 કરોડના ખર્ચે અંદાજિત 218 કિ.મી.નો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં હયાત રસ્તાને પહોળા કરીને તેમજ મીસીંગ લિંકમાં નવા રસ્તા બનાવવાનું આયોજન છે. જે સાપુતારા-શબરીધામ-સોનગઢ-ઉકાઇ-દેવમોગરા-માથાસર-ઝરવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડશે. જેના પરિણામે સહેલાણીઓને ટુરિસ્ટ સર્કિટમાં જોડવાનો પ્રયાસ છે જેના પરિણામે પ્રવાસન સ્થળો પર આવતા નાગરિકોની સુવિધામાં વધારો થશે.

હાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નર્મદા નદી પરનો હયાત પુલ ભરૂચ ખાતે કાર્યરત છે, જેનો મોટાભાગના વાહનો ઉપયોગ કરે છે. નર્મદા નદી પર આવેલ યાત્રાધામ માલસર ખાતે નવા પુલની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર તરફ જતા તેમજ બારડોલી-માંડવી તેમજ સાપુતારા તરફ જતા ટ્રાફિકને લાંબુ અંતર કાપવું ન પડે અને સીધા સાપુતારા પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તે માટે મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત રૂ. 300 કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરીડોર નિર્માણ કરવામાં આવશે.

જેનો લાભ દક્ષિણ ગુજરાતની તાપી, સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જતાં વાહનો કે અત્યારે નેશનલ હાઇવે પર વાયા સુરત/ચીખલી જવાને બદલે આ રસ્તાનો ઉપયોગ કરીને ઝડપથી પોતાના ગંતવ્યસ્થાને પહોંચી શકાશે. તેમજ સાપુતારા પ્રવાસન સ્થળનો પણ લોકો લાભ લઇ શકશે નેશનલ હાઇવે-8 પર ખાસ કરીને વડોદરા-સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેણ ખાતે અંદાજે રૂ. 27 કરોડના ખર્ચે એક નવો પુલ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ ઉપર નિયંત્રણ માટે કોર કમિટિની બેઠક યોજવામાં આવે છે. રાજ્યમાં કોરોના સામે લડવા જરૂરી સાધનોનો ચકાસણી, તપાસ તેમજ કોરોનાની સ્થિતિમાં આરોગ્ય અને વેપાર-ઉધોગોને નૂકસાન ન થાય અને ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધતી રહે  તેવી મુખ્યમંત્રીશ્રી દ્વારા કલેક્ટરશ્રીઓ અને ડી.ડી.ઓને સૂચનાઓ આપવામાં આવી છે. કોરોનામાં લોકોને વ્યક્તિગત લાભો અને સરકારી યોજનાઓના લાભો સતત મળતા રહે તેમજ વિકાસ કામો અટકે નહી તેવી તાકીદ પણ મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને કરી છે. હાલમાં ચાલી રહેલા સેવાસેતુ કાર્યક્રમમાં 40 લાખ અરજીઓમાંથી 99.99 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે  સુરતમાં બનેલી ઝેરી કેમિકલની દુ્ર્ઘટના બાબતે મુખ્યમંત્રીએ GPCB અને પોલીસના આ ઘટનામાં સંકળાયેલા સબંધિત અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાની તેમજ ઓધોગિક શહેરોમાં કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થાય અને આ પ્રકારની ઘટના પુન: ન બને તેવી પણ સંબંધિતોને કડક તાકીદ કરી છે.

પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતું કે, ઊર્જા વિભાગ હેઠળના GUVNL હસ્તકની જેટકો કંપની દ્વારા તાજેતરમાં લેવાયેલી ઇજનેરોની પરીક્ષા સંદર્ભે ગેરરીતિના જે આક્ષેપો થયા છે તે સંદર્ભે મુખ્યમંત્રીએ GUVNLના MDના અધ્યક્ષસ્થાને કમિટિ રચીને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે.

ગુજરાત સરકાર નવી નકકોર 1000 બસ ખરીદશે

મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે વધુ 1000 નવી બસો ખરીદવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે જેમાં ગ્રામ્ય રૂટ માટે બાવન બેઠકની ક્ષમતા ધરાવતી AIS-052 નોર્મ્સ વાળી આકર્ષક લુક વાળી કુલ 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત બેઠક દીઠ મોબાઇલ ચાર્જર, રીડિંગ લાઇટ, બોટલ હોલ્ડર, મેગેઝિન પાઉચની આધુનિક સગવડ ધરાવતી 2X2ની 41 બેઠકોવાળી 300 લક્ઝરી બસો ફાળવવામાં આવશે. જ્યારે રાત્રિ મુસાફરી કરનાર વર્ગને ધ્યાને રાખીને AIS-119 નોર્મ્સ મુજબની આકર્ષક લુકવાળી 200 સ્લીપર કોચ બસો મળી ગુજરાતમાં કુલ 1,000 બસો ફાળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.