- જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
- જિલ્લાની પી.એમ એવોર્ડ માટે પસંદગી થવા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા
- જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા રાજકોટ શહેરના વિવિધ માર્ગો પર દબાણોના લીધે થતી ટ્રાફિકની સમસ્યા, રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર હોટેલ્સ, પેટ્રોલ પંપો અને ગ્રામજનો દ્વારા ડીવાઈડર તોડી બનાવેલ ગેરકાયદે નિકાસથી અકસ્માતનો ભય, પદ્મકુંવરબા હોસ્પિટલની નવીનીકરણની કામગીરી સહિતના પ્રશ્નોનાં સંબંધિત અધિકારીઓ દ્વારા કરાયેલી કામગીરી અંગે જવાબ રજૂ કરાયા હતા.
આ ઉપરાંત ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પૈકી રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળાના સ્થળ માટેના પ્રસ્તાવિત વિકલ્પો, શહેરમાં જર્જરિત મકાનો, ગેરકાયદે ચાલતા કતલખાના, અનાજ વિતરણ, જિલ્લામાં ઇકો ટુરિઝમના વિકાસ માટેનું આયોજન, ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના રેસ્ક્યું સહિત રજુ કરાયેલ પ્રશ્નોનાં સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા. જન પ્રતિનિધિઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નોનાં વહેલી તકે નિવારણ લાવવા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને તાકીદે કામગીરી કરવા સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે, બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરએ રાજકોટ જિલ્લાની “પ્રધાનમંત્રી એવોર્ડ” માટે પસંદગી થઈ હોવાની ખુશી જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ સમક્ષ વ્યક્ત કરતા જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જન કલ્યાણકારી 11 યોજનાઓ પૈકી 9 યોજનાઓમાં 100 ટકા લક્ષ્યાંક મેળવી સર્વાંગી વિકાસમાં દેશના પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં જિલ્લા કલેકટરએ “સુજલામ સુફલામ જળસંચય” યોજના અંતર્ગત સંબંધિત અધિકારીઓ દ્વારા થનાર કામગીરી અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટર એ.કે.ગૌતમ, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.