Abtak Media Google News

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી લીધેલા નમુનાઓ ટેસ્ટીંગ અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવશે: યુનિવર્સિટી ખાતે દર્દીઓના સેમ્પલ લેવામાં નહીં આવે 

કોરોનાનું સંક્રમણ સતત વધતુ જાય છે ત્યારે રાજયભરમાં લોકો બેડ માટે અને ઓકિસજન માટે વલખા મારી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટીંગ બુથોમાં પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આરટી-પીસીઆર રીપોર્ટ પણ બે-બે દિવસે મળી રહ્યા છે ત્યારે આ કામગીરી વધુ ઝડપી થાય તે માટે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં આવેલ લેબોરેટરી ખાતે આરટી-પીસીઆર ટેસ્ટની કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. જોકે ત્યાં કોઈ દર્દીઓના સેમ્પલ લેવામાં આવશે નહીં પરંતુ સિવિલ હોસ્પિટલમાં આવેલા આરટી-પીસીઆરના રીપોર્ટ યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવશે અને સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવશે. જેથી સિવિલ હોસ્પિટલમાં આવેલા રીપોર્ટ દર્દીઓને ઝડપથી પહોંચાડી શકાય.

ઉલ્લેખનીય છે કે જે રીતે કેસો વધે છે સામે ટેસ્ટીંગ પણ ડબલ કરવામાં આવી રહ્યું છે. આરટી-પીસીઆર રીપોર્ટ કરાવવા માટે પણ લોકોને લાઈનમાં રહેવુ પડે છે

તેમ છતાં 24 કલાકમાં રીપોર્ટ મળવા મુશ્કેલ બની રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં જ આરટી-પીસીઆર ટેસ્ટીંગ નિ:શુલ્ક કરવામાં આવી રહ્યું છે જેથી ત્યાં ટેસ્ટીંગમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળે છે. આ કામગીરીને પહોંચી વળવા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ મેદાને આવી છે અને હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ લેબોરેટરીમાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી લીધેલ નમુનાઓ ટેસ્ટીંગ અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવશે. જોકે યુનિવર્સિટી ખાતે સીધા જ દર્દીઓના સેમ્પલ લેવામાં નહીં આવે. માત્રને માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ આવેલા સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.