Abtak Media Google News

છત્તીસગઢની જેમ પીડિતોને ન્યાય આપવાની શરૂઆત  ગુજરાતમાં પણ કોંગ્રેસ  કરાવશે

પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે કાયદો લાગુ કરીને જે રીતે પીડિતોને ન્યાય આપવાની શરૂઆત કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ અમલ કરાવશે. ગુજરાતભરમાં 10,000 કરોડથી વધુના પોન્ઝી અને ચિટફંડના કૌભાંડો અંગે ભાજપ સરકાર કેમ મૌન ? તેવો પ્રશ્ન ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરશે.

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે કાયદો લાગુ કરીને જે રીતે પીડિતોને ન્યાય આપવાની શરૂઆત કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ અમલ કરાવશે. પોન્ઝી સ્કીમમાં લાખો કરોડો રૂપિયા ગુમાવનાર પીડિતોની ગુજરાતમાં લાખોની સંખ્યા છે. અંદાજે 10000 કરોડ રૂપિયાની રકમના છેતરપિંડીના ગુનાઓમાં પીડીતોને એક પણ રૂપિયો પરત મળતો નથી. એજન્ટો નહીં પરંતુ મુખ્ય ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલાશે. પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધારોની મિલકત જપ્ત કરીને પીડિતોને બેંક ખાતામાં રૂપિયા પરત અપાશે. કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે એ પછી મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ એસ.આઈ.ટી.ની રચના કરશે.

દેશભરમાં થયેલા પોન્ઝી અને ચિટફંડના કૌભાંડોથી ગુજરાતના હજારો બેરોજગાર યુવાનો જેમને આ કંપનીઓ અને સરકારની નિષ્ફળતાએ જાળમાં ફસાવ્યા હતા તેમને બચાવવા તપાસ એજન્સીએ સખત પગલા ભરવા જોઈએ. જમીની વાસ્તવિકતા જોઈએ તો ગુજરાત પોલીસ પણ ઘણા કિસ્સાઓમાં મોટા કૌભાંડીઓને પકડવાની જગ્યાએ સામાન્ય એજન્ટોને પકડી ધમકાવી ખોટી દિશામાં કામગીરી કરે છે. સંપતિ એજન્ટો પાસે નથી હોતી તે કરોડોના કૌભાંડ કરનારા માલિકો પાસે છે તો તેવા લોકોને પકડવાની જગ્યાએ સામાન્ય એજન્ટોને ફસાવી ન્યાય કેવી રીતે મળી શકે? સરકારની અયોગ્ય તપાસ અને કૌભાંડીઓને છાવરવાની નીતિ જેના કારણે જરૂરી તપાસ થતી નથી. ગુજરાત પોલીસ 350 કરોડ થી વધુની વિવિધ કંપનીઓ ની સંપતિઓ જપ્ત કરી હોવાની વિગતો મળે છે. તેમ છતાં લાખો પીડિતો દાવા રજૂ કરી ચૂક્યા છતાં સરકારની નિષ્ફળતા અને સંવેદનશીલતા ના હોવાના પરિણામ નાગરિકોને તેમની બચત આજ સુધી પરત મળી રહી નથી. ઓસ્કાર, સમ્રુદ્ધજીવન, કલકમ, જય વિનાયક, ટ્વિંકલ સ્ટાર – રોયલ ટ્વિંકલ – સિટ્રસ (મિરાહ ગ્રુપ), ગોરસ, વિશ્વામિત્રી, મૈત્રેય, ઙઅઈક, સહારા, માઈક્રો ફાયનાન્સ, આદર્શ, ફાલકન, હલધર આ સિવાય પણ અસંખ્ય એવા નામો છે જેના કૌભાંડીઓ સામે તપાસ એજન્સીઓનો ઉપયોગ થવો જોઈએ જેથી ભોગ બનનારને ન્યાય મળે. આવી કંપનીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી તે ગુજરાત સરકારે જાહેર કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.