Abtak Media Google News

કોવિડથી ગભરાઈ ગયેલા દર્દીએ હોસ્પિટલમાં જીવન ટુંકાવ્યું 

રાજકોટની મવડી ચોકડી પાસે આવેલી સ્વામિનારાયમ ગુરૂકુળ સંજીવની હોસ્પિટલમાં કોરોનાના દર્દીએ હોસ્પિટલમાં ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આધેડ કોરોના પોઝીટીવ આવતા ખુબ જ ગભરાઈ ગયા હતાં, અને આખરે આજે આ પગલું ભરી લેતા પરીવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતાં.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજુરી કરતા સુનીલભાઈ રતનશીભાઈ ભલસોડા નામના 44 વર્ષના આધેડને કોરોના ડીટેક્ટ થતા ગઈ તા.13મીએ રાત્રે 10 વાગ્યે સંજીવની ગુરૂકુળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે રાત્રે 2 વાગ્યે ડોકટરો તેની પાસે ગયા હતાં. તેની હાલત પણ હાલ સ્થિર હતી. પરંતુ કોરોનાને કારણે ખુબ જ ગભરાઈ ગયા હોય તેવું વર્તન કરતા હતાં.

સુનિલભાઈ ડોકટરોને અવારનવાર મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી, બધા માસ્ક કેમ પહેરે છે, તેમ પુછતા હતાં. ગઈકાલે રાત્રે બે વાગ્યે ડોકટરો ગયા બાદ ગમે તે સમયે તેણે પોતાને ચડાવેલી ઓક્સિજનની નળી કાઢી તેને ગળામાં ભરાવી રૂમમાં આવેલી બારીની ગ્રીલમાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. હોસ્પિટલના સ્ટાફે દર્દીને લટકતી હાલતમાં જોતા અવાચક થઈ ગયા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.