Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,  આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતનાની રાજકોટમાં મેરેથોન મીટીંગ

કેસોનાં સતત વધતા પ્રમાણ અને ઉપરથી તહેવારો નજીક આવી રહ્યા હોય, કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા હોય તે સહિતનાં વિવિધ મુદ્દે સ્થાનિક અધિકારીઓ સાથે ગહન ચર્ચા

રાજકોટમાં બેઠક બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવ વડોદરા જશે

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે જેને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન અને આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતનાં રાજકોટ દોડી આવ્યા છે. તેઓએ અહીં વિવિધ મુદ્દે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ યોજી રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરની વિગતો મેળવી હતી અને અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. આ બેઠક બાદ તેઓ વડોદરા જવા રવાના થવાના હોવાનું પણ જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનાં વધતા જતા કેસોનાં લીધે સ્થિતિ વણસી રહી છે. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને મેળાવડા કરતા રોકવા તંત્ર પણ કપરુ સાબિત થનાર છે. બીજી તરફ કોરોનાથી લોકોને બચાવતા એવા કોરોના વોરીયર્સ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપટે ચડી રહ્યા હોય આ વિષયે તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાની સ્થિતિ ઉપર કાબુ મેળવવાનો વ્યુહ ઘડવા અગાઉ આરોગ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવે પણ રાજકોટની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચના આપી હતી ત્યારબાદ આજરોજ હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતના રાજકોટ પહોંચ્યા છે.

Dsc 2091

આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે ગાંધીનગરથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવો રાજકોટ પહોંચ્યા હતા ત્યાંથી તેઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતનાં અધિકારીઓ તેમજ મેયર સહિતનાં પદાધિકારીઓ સાથે તેઓએ મેરેથોન મીટીંગ યોજી હતી જેમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવાયેલા પગલાની જીણવટભરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત હવે પછીનો એકશન પ્લાન પણ અધિકારીઓ પાસેથી જાણ્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં બહારનાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પણ સારવાર મેળવવા માટે આવે છે. અહીં સૌરાષ્ટ્રભરમાં દર્દીઓ સ્વીફટ થાય છે ત્યારે રાજકોટની ભૂમિકા કોરોના સામેના જંગમાં અહમ ગણી શકાય તેમ છે માટે રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત રાજકોટ ઉપર કરવામાં આવી રહ્યું છે માટે અગાઉ પણ બે સચિવો રાજકોટની મુલાકાત લઈ ચુકયા છે ત્યારે હવે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ૪ જેટલા સચિવો રાજકોટ આવ્યા છે. વધુમાં આ સમગ્ર કાફલો બપોરનાં સમયે વડોદરા જવા રવાના થશે ત્યાં પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.