Abtak Media Google News

લોક ડાઉનના કારણે ફરસાણનો ધંધો બંધ થતા અને પરિવારના
મોભીના મોતથી હતાશ વણિક  પરિવારમાં શોક

દેવભૂમિ દ્વારકામાં રહેતા એક જૈન વેપારી પરિવારનો માળો એક રાતમાં પીંખાઈ ગયો હતો. જે પરિવારના વૃધ્ધ મોભી ગઈકાલે કોરોનાના કારણે અવસાન પામ્યા હતા અને આજે સવારે તેમની અંતિમવિધી કરીને ઘરે આવ્યા પછી તેમના ધર્મપત્ની તથા બે પુત્રોએ ઝેર ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઈ ગયો છે.

અરેરાટીજનક આ બનાવની વિગત મુજબ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને છૂટક ફરસાણ અંગેના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ જશવંતભાઈ જૈન નામના 60 વર્ષીય વેપારી બે દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘરનાં મોભી જયેશભાઈએ ગત રાત્રીના આશરે દોઢેક વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે તેમના પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતકના 57 વર્ષીય પત્ની સાધનાબેન તથા 35 વર્ષના પુત્ર દુર્ગેશભાઈ અને 39 વર્ષના પુત્ર કમલેશભાઈ આજરોજ સવારે તેમના અગ્નિદાહની વિધિ સંપન્ન કર્યા બાદ સવારે આશરે સાડા છ વાગ્યે ઘરે પહોંચ્યા હતા. આ પછી બંધ રહેલા મકાનમાં નિત્યક્રમ મુજબ દૂધ દેવા માટે દૂધવાળાએ ઘર ખોલ્યું ત્યારે તેમને આ સ્થળે ત્રણ મૃતદેહ પડયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ત્રણેય મૃતદેહ જયેશભાઈના પત્ની સાધનાબેન તથા પુત્રો દુર્ગેશભાઈ અને કમલેશભાઈના હોવાનું જાહેર થયું હતું.

આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા દ્વારકાના પીઆઈ જી. આર. ગઢવી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર જોતા આ ત્રણે વ્યક્તિઓએ ઘરના મોભીના અવસાનથી વ્યથિત થઈ અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આ ત્રણેય પરિવારજનોના મૃતદેહનો કબ્જો મેળવી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૂળ સાવરકુંડલાના રહીશ અને હાલ દ્વારકામાં ભાડાના મકાનમાં રહેતા જયેશભાઈનો પરિવાર અગાઉ બસ સ્ટેન્ડ પાસે ફરસાણ અંગેની દુકાન ધરાવતા હતા. જે લોકડાઉન દરમિયાન બંધ થઇ જતાં તેઓ ઘરમાંથી ફરસાણ-રસોઈ અંગેનો વ્યવસાય કરતા હતા. તેમના અન્ય પરિવારજનો નાસિક તરફ પણ રહેતા હોવાનું પણ જાણવા મળે છે. આ કરૂણ બનાવે સમગ્ર દ્વારકા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.