Abtak Media Google News

રૂ. 45,000 પડાવવા દર્દીને બાટલામાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપી દીધાનું કહેતા પાપીઓનો ભાંડો ફૂટ્યો: પોલીસે એક શખ્સને સંકજામાં લીધો, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી રફૂચક્કર 

રાજકોટમાં વધતી જતી કોરોનાની મહામરીમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ સિવિલ હોસ્પિટલના ભ્રષ્ટાચારીઓએ સારવારને વેન્ટિલેટર પર મૂકી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સંબંધીઓ પાસેથી પૈસા ખંખેરવા લેભાગુ તત્વો અવનવા નુષ્કા અપનાવી રહ્યા છે. જેમાં વધુ એક કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહેલા એક મહિલાને ટોસિલિઝુમેબ ઈન્જેકશનની જરૂર હોવાનો મેસેજ તેમના પરિવારને કરી રૂ.45,000ની માંગણી કરી હતી. પરંતુ પાપીઓનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે લેભાગુ તત્વોએ દર્દીના પરિવારજનોને કહ્યું કે મહિલાને બાટલામાં ઇન્જેક્શન આપી દીધું છે. આ મામલે પોલીસે એક શખ્સને સંકજામાં લીધો છે. જ્યારે તમામ ભ્રષ્ટાચાર પાછળ મસ્તરમાઇન્ડ ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી રકૂચકર થઈ ગયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ મહિલા દર્દીના સંબંધીના મોબાઇલ પર સોમવારે એક શખ્સનો મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તમારા દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવાની જરૂર છે અને તે માટે રૂ.42,000 થી 45,000 સુધીનો ખર્ચ થશે, જો તમારાથી વ્યવસ્થા ન થાય તો અમારા સંપર્કથી અમે વ્યવસ્થા કરી આપીશું, પરિવારના સભ્યનો જીવ બચાવવા માટે સંબંધીઓ ઇન્જેક્શન અપાવવા તૈયાર થઇ ગયા હતા, આ મામલે હજું કંઇ થાય તે પહેલા મંગળવારે સવારે મેસેજ કરનારે ફોન કરીને કહ્યું હતું કે, તમારા સંબંધીને બાટલામાં ઇન્જેક્શન અપાઇ ગયા છે અને પૈસા આપી જજો. જેથી પરિવારજનોના કોઈ સભ્યને શંકા જતા તુરંત કલેકટર કચેરીના અધિકારીઓ અને પોલીસને જાણ કરી ભરસ્તાચારીઓનો ભાંડો ફોડ્યો હતો.

દર્દીના પરિવકરજનોને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બાટલામાં નહીં પરંતુ દર્દીને સીધું અપાતું હોવાથી શંકા ઊઠી હતી. જે મામલે મહિલા દર્દીને આ અંગે પૃચ્છા કરતાં દર્દીએ કોઇપણ પ્રકારનું ઇન્જેક્શન આપ્યાનો ઇન્કાર કર્યો હતો. કોઇ ચીટરે પૈસા પડાવવા ખેલ કર્યાની શંકા દૃઢ થતાં દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં ફરજ પર રહેલા કલેક્ટર તંત્રના કર્મચારીઓ અને પોલીસને જાણ કરતાં આવા તત્ત્વોને પકડવા માટે પ્લાન ઘડ્યો હતો.

દર્દીના સંબંધીએ ઇન્જેક્શનના રૂ.45,000 લઇ જવા માટે ફોન આવ્યો હતો તે નંબર પર ફોન કર્યો હતો અને પૈસા લેવા ટ્રોમા સેન્ટર પાસે આવવાનું કહ્યું હતું, બીજીબાજુ પોલીસ ખાનગી ડ્રેસમાં ટ્રોમા સેન્ટર પાસે ગોઠવાઇ ગઇ હતી. ફોન કરનાર શખ્સ આવતાં જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો. આ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે રૂ.42,000 થી 45,000 સુધીની રકમ પડાવવાના મામલે મયૂર નામના શખ્સને સકંજામાં લેવામાં આવ્યો છે, મયૂરે કેફિયત આપી હતી કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સાથે મળીને દર્દીના સંબંધીને ઇન્જેક્શન માટે મેસેજ અને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન આપ્યા વગર જ પૈસા મેળવવા માટે કારસ્તાન ઘડ્યું હતું, પોલીસે મયૂરની કેફિયત પરથી સંજય ગોસ્વામીની શોધખોળ શરૂ કરી હતી, સંજય હાથ આવ્યા બાદ આ મામલાની વધુ હકીકત બહાર આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

લેભાગુ તત્વોનો ભોગ બનેલા લોકોએ ફરિયાદ કરવા અપીલ

સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા નકલી આઇપીએસ ઝકડપાયા બાદ વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. જેમાં આવી મહામરીમાં માનવતા નેવે મૂકી દર્દીઓને ઇન્જેક્શન આપ્યા વગર જ ઇન્જેક્શન આપી દીધાનો દર્દીઓના સગા સંબંધીઓને મેસેજ અને ફોન કરી તગડી રકમ પડાવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આવી ઘટના સામે કડક હાથે કામ લેવા અને અન્ય કોઈ દર્દીઓના સગાઓ ભોગ બન્યા હોય તો આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.