Abtak Media Google News

મોનસુન રૂફ ફરી ઉપર ચઢી ગયો: રાજયમાં ચાર દિવસ સાર્વત્રિક કે સારા વરસાદની સંભાવના નહિવત: શનિવારથી ફરી ચોમાસુ સક્રિય થાય તેવી શકયતા વ્યક્ત કરતુ હવામાન વિભાગા ઈંચ, ધોરાજીમાં અર્ધા

મેઘરાજાએ લાંબો વિરામ લઈ લીધો છે. સિસ્ટમ ચોકકસ બને છે. પણ વરસતી નથી. પરિણામે સૌરાષ્ટ્રમા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. શ્રાવણમાસ અડધો વિતી જવા છતા જળાશયોમાં પાણીની આવક થવા પામી નથી. ખેડૂતો માટે એકંદરે વર્ષ નિષ્ફળ નિવડયુંં છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ સારા વરસાદ માટે તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. આગામી ચાર દિવસ સુધી રાજયમાં સાર્વત્રિક કે સંતોષકારક વરસાદ પડે તેવી કોઈ જ સિસ્ટમ સક્રિય નથી લોકલ ફોર્મેશનના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટા પડશે. 27મી ઓગષ્ટ બાદ ચોમાસુ ફરી સક્રિય થવાની અને મેઘ મહેરની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હિમાલયની તળેટીમાંથી રાજસ્થાનના ગંગાનગર સુધી નીચો ઉતરેલો મોનસુન રૂફ નોર્મલ પોઝીશનમાં આવ્યા બાદ ફરી થોડો ઉંચો ચડી ગયો છે. જેના કારણે આગામી ચાર દિવસ રાજયમાં સાર્વત્રિક કે ભારે વરસાદની કોઈજ સંભાવના નથી. લોકલ ફોર્મેશનના કારણે માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડશે. આગામી 27મી ઓગષ્ટ બાદ ચોમાસુ ફરી સક્રિય થશે. અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉદભવશે જેના કારણે રાજયમાં ફરી મેઘ મહેરની શકયતા રહેલી છે.

જોકે કયાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે સિસ્ટમ બન્યા બાદ જ અનુમાન લગાવી શકાશે. નૈઋત્યનું ચોમાસુ વહેલુ બેસ્યાબાદ છેલ્લા બે માસથી રાજયમાં સંતોષકારક વરસાદ પડયો નથી. જેના કારણે હવે દુષ્કાળ નામનો રાક્ષસ ફરી ધુણવા માડયો છે. હવામાન વિભાગની કોઈ આગાહી આ વર્ષ સાચી નિવડી નથી. હવે સારા વરસાદ માટે વધુ એકવાર આગાહી આપવામાં આવી છે. ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે હવે હવામાન શાસ્ત્રીઓનું અનુમાન સાચુ પડે અને મેઘરાજા મનમૂકી વરસી સૌરાષ્ટ્રની તરસ છીપાવે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં 31 તાલુકાઓમાં હળવા ઝાપટાથી સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ભાવનગરના જેસરમાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધોરાજીમાં અર્ધો ઈંચ, વરસાદ વરસ્યો હતો. જયારે તળાજા, તાલાલા, સાવરકુંડલા, વંથલી, પોરબંદર, ગારીયાધાર, જૂનાગઢ, મેંદરડા અને રાણાવાવમાં હળવા ઝાપટા પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.