Abtak Media Google News

કચ્છ રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે ભુજના રણજીતવિલાસ પેલેસમાં આજે પરોઢે 6 કલાકે નિધન થયું હતું. મહારાવ લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. તેમના નિધનના સમાચારથી કચ્છ નહીં પંરતુ વિદેશોના રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તેમના નિધનના સમાચાર જાણીને કચ્છભરના અનેક આગેવાનો અને સમાજો દ્વારા તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.અને તેમની અંતિમ વિધિમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી હતી.

76E3A212 6087 4796 8B50 25Fb37Bf7364

1991માં મહારાવ તરીકે દરજ્જો મળ્યો હતો 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું. ત્યારે દેશ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. જેને એક કરવા સરદાર વલ્લભભાઈ પટેલે બીડું ઝડપ્યું હતું. દેશ સ્વતંત્ર થયો ત્યારે કચ્છના તત્કાલિન રાજવી વિજયરાજજી લંડનમાં સારવાર મેળવતાં હતા. તેમના હુકમથી તેમના પુત્ર મદનસિંહજીએ 16 ઓગસ્ટ 1947ના રોજ કચ્છ રાજ્યના ભારતમાં વિલિનીકરણ પર સહી કરી હતી. તે સમયે કચ્છનો ‘ક’ વર્ગના રાજ્ય તરીકે ઉદય થયેલો. જેનું સંચાલન કેન્દ્રીય સરકારથી કરવામાં આવતું હતું. પાછળથી કચ્છને ગુજરાત રાજ્યના જિલ્લા તરીકે ભેળવી દેવાયેલું. 26 જાન્યુઆરી 1948ના રોજ વિજયરાજજીના નિધન બાદ મદનસિંહજી મહારાવ બન્યાં હતા. 17 ઓક્ટોબર 1991માં મદનસિંહજીનું નિધન થયું હતું. ત્યારબાદ ભુજના પ્રાગમહેલ પેલેસમાં ટીલામેડી વિધિ દ્વારા તેમના જ્યેષ્ઠ પુત્ર પ્રાગમલજી ત્રીજાને મહારાવ (હિઝ હાઈનેસ મહારાજધિરાજ મિર્ઝા મહારાવ પ્રાગમલજી ત્રીજા, સવાઈ બહાદુર, કચ્છ મહારાવ) તરીકે ઘોષિત કરાયાં હતાં.

જીવનનો પૂર્વાર્ધ મુંબઈ-લંડનમાં અને ઉત્તરાર્ધ કચ્છમાં

મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અજમેરની મેયો કોલેજ અને દહેરાદૂનની દૂન સ્કુલમાં શાળાકીય શિક્ષણ મેળવી દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જીવનના પૂર્વાર્ધનો મોટાભાગનો સમય તેમણે મુંબઈ અને લંડનમાં વીતાવ્યો હતો. જો કે, પાછળથી તેઓ મોટાભાગનો સમય કચ્છમાં ગાળતા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતાં મહારાવ વર્ષોજૂની પરંપરાઓ સાથે આધુનિક પ્રગતિશીલ વિચારધારાના પણ પ્રોત્સાહક હતા. આઝાદી બાદ કચ્છને અનેક બાબતમાં થતાં અન્યાય બાબતે તેમણે અલગ કચ્છની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. તેમણે ભૂકંપમાં ધ્વસ્ત પ્રાગમહેલ અને આયના મહેલનું પુનઃનિર્માણની કામગીરી કરાવી હતી. રાજવી પરિવારના નામે ભુજમાં રણજીતવિલાસ પેલેસ, પ્રાગમહેલ, આયના મહેલ, શરદબાગ પેલેસ, માંડવીના વિજય વિલાસ પેલેસ, ચાડવા રખાલ સહિત અનેક ઐતિહાસિક સ્મારક અને વારસો છે. મુંબઈમાં પણ મોટી મિલકત છે. આ મિલકતોની કિંમત કરોડોમાં આંબે છે. મહારાવશ્રીની સંપત્તિને લઈ ભૂતકાળમાં કૉર્ટ કેસ થઈ ચૂકેલાં છે. નિઃસંતાન મહારાવે છેલ્લે તેમની રાજ પરંપરાને આગળ ધપાવવા નલિયાના કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજાને વારસદાર તરીકે નીમ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.