Abtak Media Google News

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ: વિદ્યાર્થીઓએ પૂ.ગાંધી બાપુની ઐતિહાસિક દાંડીયાત્રાની નાટીકા રજૂ કરી આઝાદીની લડતનો માહોલ રીક્રીએટ કર્યો

નિતિન પટેલે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલી અર્પી: સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીનું સન્માન કરાયું

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આજે   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ’સેલિબ્રેટિંગ ઇન્ડિયા 75 આઝાદી કા અમૃત મહોત્સવ’ ના પ્રારંભના ઉપલક્ષ્યમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ’સેલિબ્રેટિંગ ઇન્ડિયા 75 આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમનું રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિનભાઇ પટેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 91 વર્ષ બાદ પૂન: જીવંત થઈ ઉઠેલી ઐતિહાસિક દાંડીયાત્રા આઝાદીની લડત વખતના માહોલના સાક્ષી બન્યા હતા.

નીતિનભાઈ પટેલે વધુમાં એમ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજીને વિદ્યાર્થી જીવનથી જ નૈતિકતાનું બળ પુરૂ પાડવામાં રાજકોટ નું યોગદાન અમૂલ્ય છે. પોતાના જીવન ઘડતરના મહામૂલા 15 વર્ષો રાજકોટ ખાતે વિતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાજકોટ ખાતેની યાદોને પણ નીતિનભાઈએ તાજી કરી હતી. દેશી નવી પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાની આપણી નૈતિક જવાબદારીનું નીતિનભાઇ પટેલે સ્મરણ કરાવ્યું હતું અને ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહ્વાન કર્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, જે બાબતનું મૂલ્ય આપણને ખબર નથી તેને આપણે હળવાશથી લઈએ છીએ અને જ્યારે આપણે મૂલ્ય સમજાય છે ત્યારે જ તે બાબત પ્રત્યે ગંભીર બનીએ છીએ. આઝાદીનું મૂલ્ય જાણવાથી નવી પેઢી આઝાદી પ્રત્યે સભાન બને છે. હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણી અનિવાર્ય છે, એમ જણાવતાં નાયબ મુખ્ય મંત્રીએ સંસ્કૃતિની જાળવણી માટે  પ્રેરણાદાયી વાંચન કરવા વાંચન કરવા યુવાનોને શીખ આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના નાગરિકોના બલિદાનો થકી મળેલી મહામૂલી આઝાદીને આત્મસાત કરવા માટે વડાપ્રધાન મોદીએ અમલી બનાવેલા વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. તેમણે એમ કહ્યું કે, પૂ. ગાંધી બાપુએ આપેલા અહિંસા, સ્વચ્છતા, અસ્પૃશ્યતા નિવારણ, સૌને ન્યાય, આત્મનિર્ભર દેશ, સ્વદેશી વગેરે સિદ્ધાંતોને રાષ્ટ્રે અપનાવી તેને અનુસરવું જોઈએ. માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તેના ભાર મુક્યો છે.

1615523609931

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં જીવનજરૂરી ચીજ એવા મીઠા પર અંગ્રેજ શાસકો દ્વારા લગાવાયેલા 2400 ટકા કરનો વિરોધ કરવા 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ ખાતે થી શરૂ થયેલી દાંડીકૂચને રાજકોટ ખાતે વિદ્યાર્થી ભાઈબહેનો દ્વારા આબેહુબ રીતે જીવંત કરવામાં આવી હતી. અને ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકો ગાંધીજીના સત્યાગ્રહની યાદોમાં ભાવવાહી રીતે સામેલ થયા હતા.

આ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે ગાંધી મ્યુઝિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી  આદરાંજલિ આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનો શુભારંભ ધોળકિયા સ્કૂલની છાત્રાઓના સ્વાગત ગીતથી થયો હતો. બે મિનિટનું મૌન પાળીને ઉપસ્થિતોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલિ આપી હતી, ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભજન રજૂ કર્યું હતું. કોટક સાયન્સ કોલેજના છાત્રોએ  પ્રતિકાત્મક રજૂઆત દ્વારા દાંડીકૂચને પુનજીર્વિત કરી હતી. ગાંધીજીના જીવન-પ્રસંગોને તાદ્રશ્ય કરતો એક રાષ્ટ્રભક્તિ સભર ગરબો આ પ્રસંગે રજુ કરાયો હતો. જાણીતા વક્તાઓ  શૈલેશ સગપરીયા અને જ્વલંત છાયાએ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આઝાદીની વિભાવના સાકાર કરી હતી.

1615523609927

રાજકોટના સ્વતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીનું નીતિનભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું પુષ્પહાર તથા રેટિયોની પ્રતિકૃતિ આપી બહુમાન કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યુ  હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરઓ, ડી.આઇ.જી. સંદીપસિંહ, પોલીસ અધિક્ષક બલરામ મીના, નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ બી. જી. પ્રજાપતિ, એ.આર. સિંહ અને ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.