Abtak Media Google News

દેશનો સ્વતંત્રતા દિવસ , ગણતંત્ર દિવસ , બંધારણ , બંધારણના રચયિતા વગેરે વિષયક પુછવામાં આવે તો કદાચ આપણે જવાબ આપી શકીએ.પરંતુ શું આપણને ખબર છે કે ? આજે 2 ઓગસ્ટનો દિવસ પણ 15 ઓગસ્ટની માફક અમર થઇ ગયો ? એનું પણ ભારતના સ્વતંત્રતા ઇતિહાસમાં અનોખુ મહત્વ છે ? પૂર્વાંચલ એકપ્રેસ-વે ના ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીજીએ આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે પુરા દેશને આહ્વાન કર્યુ ’હર ઘર તિરંગા’.દરેક ઘર પર આ અમૃત મહોત્સ્વની ઉજવણી વર્ષ પૂર્ણ થયે , દેશના સ્વાતંત્ર્ય વિરોના સન્માનમાં તિરંગો લહેરાવામાં આવે.પ્રધાનમંત્રીએ છેલ્લા રવિવારે પ્રસારિત થયેલા ’મન કી બાત’ કાર્યક્રમમાં પણ જેમના નામનો ઉલ્લેખ વિશેષ રુપથી કર્યો એવા તિરંગાના રચયિતા ’પિંગાલી વૈંકયા’ નો આજે જન્મદિવસ છે.વર્તમાન પેઢીને પણ કદાચ આ ખબર નહી હોય તો આવનારી પેઢી પણ રાષ્ટ્ર નાયકોનું આ રુણ ભૂલી ન જાય એ માટે આજે વિશેષરુપથી આ સિરિજમાં એમને યાદ કરવા માટે આજે એમને યાદ કરવાનું કારણ પણ બન્યુ.બીજુ એ કે જેમ ડો.આંબેડકરના મહાનત્તમ યોગદાનને મિડીયાએ અવગણ્યુ તેમને ફકત દલિતોના નેતા કે બંધારણના ઘડવૈયા પૂરતા સિમિત કરી અને રાષ્ટ્ર નિર્માણમાં એમની ભૂમિકા ભુલાવી દેવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તેવાજ એક મહાનાયક એટલે ’પિંગાલી વૈંકયા’.

પિંગાલીનો જન્મ ઇ.સ.1876 ના 02 ઓગસ્ટના દિવસે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ શહેર પાસે ભાટલાપેનુમરુ મા થયો હતો.પિતાનુ નામ હનુમંતરાયુડુ અને માતાનુ નામ વેંકટરત્નમ્મા ના ઘરે તેલુગુ બ્રાહ્મણ કુલમાં થયો હતો.મદ્રાસમાંથી હાઇસ્કુલની શિક્ષા ગ્રહણ કરી બાદમા આગળ ઉચ્ચ અભ્યાસ અર્થે કેંમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલય ગયા.ત્યાંથી પરત આવ્યા બાદ તેઓ રેલ્વેમાં ગાર્ડ તરિકે જોડાયા.બાદમા લખનઉ માં સરકારી કર્મચારીના રુપમાં સેવારત રહ્યા.પરંતુ સતત શિખવાનો જીવ એવા પેંગાલી ત્યાંથી એંગ્લો મહાવિદ્યાલય લાહોર ખાતે ઉર્દુ અને જાપાની ભાષાના અધ્યયન માટે ગયા.ઘણા વિષયોમાં નિપુણ એવા પિંગાલી ભૂવિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રે વિશેષ લગાવ રહ્યો.તેઓ હિરાની ખાણોના પણ વિશેષજ્ઞ હતા.

પિંગાલીએ બ્રિટીશ-ભારતીય સેનામાં પણ સૈનિક તરીકે સેવા આપી.એના ભાગરુપે તેઓ બોઅરના યુદ્ધમાં ભાગ લેવા માટે દ.આફ્રિકા ગયા .જયાં તેમની મુલાકાત બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી સાથે થઇ.ગાંધીજીના સેવા કાર્યો , બોઅર યુદ્ધમાં ઘાયલ થયેલાઓની સેવા-સુશ્રુસા ના ભાવથી તેઓ ગાંદીજીથી પ્રભાવિત થયા.1906 થી 1911 દરમ્યાન તેઓ કૃષિ સંશોધન ક્ષેત્રે કાર્યરત રહ્યા.જેમા તેમણે કોટન (રુ )ની ખેતીમા સવિશેષ રુચી લઇ અને ’બોમ્વોલાર્ટ કંબોડીયા કોટન’ની એક નવિ જાત વિકસાવી જેની નોંધ તત્કાલિન સમયમાં બ્રિટિશ સરકારે લીધી ત્યારે તેમનુ નામ ’કોટન વૈંકયા’ તરીકે પ્રસિદ્ધ થયુ.તેઓ જીયોલોજી (ભુસ્તર શાસ્ત્ર) માં ડોકટરેટ હતા.હિરાના ખનનમાં પણ એમની નિપૂણતા હતી.જેના કારણે તેઓ ’ડાયમંડ વૈંકયાહ’ તરીકે પણ ઓળખાયા.અંતમા તેઓ 1916 માં મછલીપટ્ટનમ પરત ફર્યા.જયાં તેમણે 1916 થી 1921 એમ પાંચ વર્ષ વિશ્ર્વના 30 દેશોના રાષ્ટ્ર ધ્વજનો અભ્યાસ કર્યો અંતે તેઓ વર્તમાન તિરંગો ધ્વજ દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો જલંધરના લાલા હંસરાજે તેમા ચરખો જોડયો અને ગાંધીજીએ તેમા સફેદ કલરની પટ્ટી જોડવાનુ સચન કર્યુ , આ રિતે તેઓ ’તિરંગા વૈંકયા’ તરીકે પણ ઓળખાયા. સમગ્ર જીવન દેશ માટે આહુત કરનાર પિંગાલી ડોકટરેટ ઉપરાંત વિશ્ર્વની ઘણી ભાષાઓના જાણકાર સંશોધક હતા.ધાર્યુ હોત તો અમીરીમાં જીવન વ્યતિત કરી શક્યા હોત.પરંતુ સમગ્ર જીવન દેશને ચરણે ધરી દેનારા પિંગાલીનું આખુ જીવન ગરિબીમાં પસાર થયુ.અંતે ગાંધી માર્ગે જીવનભર ચાલનારા પિંગાલીનુ 4 જુલાઇ , 1963 ના દિવસે ગુમનામીમાં વિજયવાડા ખાતે અંતિમ શ્ર્વાસ લીધો.

જયારે તેઓ 1916 મા મછલીપટ્ટનમ પરત ફર્યા ત્યારે ત્યાંના ગરિબ બાળકો માટે એક રાષ્ટ્રીય શાળા ખોલી એમાં બેઝીક મિલટ્રી તાલીમ,ઘોડેસ્વારી ,ઇતિહાસ , કૃષિ વિષયક જ્ઞાન , જમીન વિજ્ઞાન , પાકશાસ્ત્ર વગેરે પર વિદ્યાર્થીઓને ભણાવા લાગેલા.1914 મા એમની પોતાનો જમીનને સરકારી કરી અને એને ’સ્વેચ્છા પુરમ’ નામ આપ્યુ.જેનો ઉપયોગ આમ જનતા માટે થયો.

કાકીનાડામાં આયોજી ભારતિય રાષ્ટ્રીય કોંગ્રેસના અધીવેશનમાં પિંગાલીએ ભારતનો ખુદનો રાષ્ટ્ર ધ્વજ હોવો જોઇએ આ વિષય પર જોર આપ્યુ એમનો આ વિચાર ગાંધીજીને ખુબ પસંદ આવ્યો.ગાંધીજીએ એમને જ રાષ્ટ્ર ધ્વજનુ પ્રારુપ તૈયાર કરવા માટે સુચન કર્યુ.પાંચ વર્ષના શોધ સંશોધનના અંતે એમણે 1921 મા વિજયવાડામાં આયોજીત કોંગ્રેસ અધીવેશનમાં પિંગાલી મહાત્મા ગાંધીને મળ્યા તેમા પોતે ડિઝાઇન કરેલો કેસરી અને લીલા રંગનો ઝંડો બતાવ્યો જેને સ્વીકાર્યા બાદ કોંગ્રેસના પ્રત્યેક અધીવેશનમાં એ ફરકાવામાં આવતો.

હજુ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્રારા એને અધીકારિકરુપે ભારતનો રાષ્ટ્ર ધ્વજ તરીકે સ્વીકારાયો નહોતો.આ બધાની વચ્ચે લાલા હંસરાજે એમા પ્રતિક મુકવાનુ સુચન કર્યુ.ચક્રને પ્રગતિ અને સામાન્ય માણસના પ્રતિકરુપ માનવામાં આવ્યુ.ગાંધીજીના સુચન અનુરુપ શાંતિનુ પ્રતિકરુપ સફેદ રંગની પટ્ટી વચ્ચે મુકવામાં આવી.અંતે 1931 મા ત્રણ કલર વાળા કેસરી , સફેદ અને લીલા રંગવાળા ધ્વજને કરાંચી કોંગ્રસ અધીવેશનમાં રાષ્ટ્ર ધ્વજ તરીકે માન્યતા પ્રાપ્ત થઇ અને તેને ફરકાવામાં આવ્યો.બાદમાં વચ્ચે પહેલા ચરખો હતો તેનુ સ્થાન અશોકચક્રએ લીધુ.

એક ઇતિહાસ પ્રમાણે 1 ઓગસ્ટ ,1906 ના રોજ પારસી બાગાન કલકત્તા ખાતે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરવામાં આવેલો.જે આડી પટ્ટીમાં લાલ-પીળા અને લીલા રંગનો હતો.જયાં ઉપરની પટ્ટીમાં એક લાઇનમાં આઠ કમળ ઉપસાવવામાં આવ્યા હતા.વચ્ચેની પીળી પટ્ટીમાં ઘેરા બ્લુ રંગમાં બન્દે માતરમ્ દેવનાગરી લીપીમાં લખવામાં આવ્યુ હતુ.

1906 માં મેડમ કામા અને તેમના ક્રાંતિકારીઓએ પણ પેરિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવેલો.જે ઉપર જણાવ્યા મુજબનો જ હતો ફર્ક એટલો કે એમા ઉપરની પટ્ટીમાં એક કમળ અને સાત તારાઓ ’સપ્તર્ષિ’ના પ્રતિકરુપે હતા.જે બર્લીનની સમાજવાદીઓની એક કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ત્રીજો એક ધ્વજ 1917 માં એની બેસન્ટ અને ટીળકજીએ હોમરુલ ચળવળ દરમ્યાન ફરકાવેલો જ્યારે રાજકીય ચળવળે સ્વંત્રતા આંદોલનને એક નવો વળાંક આપેલો.

સ્વતંત્રતા અમૃત મહોત્સવ પ્રસંગે આજની યુવા પેઢી પિંગલી વૈંકયા જેવા મહાન સેનાનીઓને ભૂલી ન જાય , દેશના પ્રત્યેક ખુણામાંથી અમીર -ગરિબ એવા તમામ તબક્કામાંથી આવેલા દેશવાસિઓએ દેશને આઝાદ કરાવવામાં , ગૌરવ પૂન: સ્થાપિત કરવા માટે પોતાના જીવન આહૂત કર્યા છે એ યાદ અપાવવાના પ્રયાસરુપે પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની ઉપસ્થિતીમાં સ્વરસામ્રાજ્ઞિની સ્વ.લત્તાજીએ ગાયેલુ ગીત ’હમ ભૂલ ન જાયે ઉન્કો…ઇસ લીયે સુનો યે કહાની , જો શહીદ હુએ હૈ ઉન્કી જરા યાદ કરો કુરબાની’ આજના 2 ઓગસ્ટના દિવસે તિરંગાના પ્રણેતા પિંગાલી વૈંકયાને શ્રદ્ધાંજલી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.