Abtak Media Google News

અબતક, રાજકોટ

ઘુમલી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે જે બરડા પર્વતમાળાની તળેટી માં સ્થિત છે. પોરબંદરથી તે ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે. ઘુમલી આઠમી સદીની મધ્યથી દશમી સદી સુધી સૈધવ શાસકોની રાજધાની હતી. ઘુમલી ત્યાર બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી. ઈ.સ. ૧૨૨૦માં રાણા સિયાજીએ ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ઘુમલી ખસેડી. પુસ્તક ’મકરધ્વજવંશી મહિમાલા’ અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદરથી છેક મોરબી સુધી વિસ્તરેલું હતું. ૧૨મી અને ૧૩મી સદીના ઘુમલીના જેઠવા શાસકો પાટણ ખાતે ગુજરાતના સોલંકી/વાઘેલા રાજાઓના શાસન હેઠળ હતા.

આજે જર્જરીત થયેલું  ઘુમલી તે સમયે એક મોટી પ્રાચીન નગરી હતી. સોલંકીયુગમાં ૧૨મી સદીમાં સૌરાષ્ટ્રના ઘુમલી ખાતે ભવ્ય નવલખા મંદિર બનાવવામાં આવ્યુ હતુ. ૧૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર ઘુમલી સૌરાષ્ટ્ર ખાતે હતું. અત્યારે તે  કચ્છી મહેશ્વરીઓ માટે તે હજી પણ તીર્થ છે. ઘુમલી શી રીતે નષ્ટ થઈ તેની પાછળ એક રસપ્રદ કથા છે. ૧૩મી સદીના અંતમાં શંખોદ્વાર બેટના શાસક દુદાંશી વાધેલના ઘરે  પુત્રીનો જન્મ થયો .તે બે દાંત સાથે જન્મી હતી. જ્યોતિષીએ તેની જન્મકુંડળી જોઈને આગાહી કરી કે આ બાળકી પરિવારને માટે તથા તેના પતિ માટે બહુ અપશુકનિયાળ છે. આથી દુદાંશી વાધેલે પોતાના માણસોને નાની બાળકીને લાકડાની પેટીમાં મૂકી વહાણમાં લઈ જઈને રાજ્ય ની હદ બહાર સમુદ્ર કિનારે મૂકી દેવાનું કહ્યું.

Barda

માણસો  વહાણમાં તે પેટી લઈને  મિયાણી બંદરે પહોંચી કિનારા પાસેના મંદિર માં મૂકી આવ્યા. ત્યાંથી તે બાળકી મિયાણી ગામના ઝવેર નામના એક  કંસારાને મળી આવી. કંસારો નિ:સંતાન હતો, તેણે તે બાળકી ને દત્તક લીધી બાળકી નો સોનાવરણો વાન જોઈને તેનું નામ સોન રાખ્યું અને પોતાની પુત્રી તરીકે ઉછેરી. સોન મોટી થઈ ત્યારે તેની સુંદરતા જોઈને મિયાણીના શાસક પ્રભાત ચાવડાએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ ઝવેર કંસારાને  તે મંજુર ન હતું. શાસક ના ડરથી કંસારાએ કુટુંબ સાથે મિયાણી છોડી દીધું અને ઘુમલી માં વસવાટ કર્યો.

ઘુમલી માં સોન કંસારી અને ત્યાંના શાસક ભાણ જેઠવાના સાળા રખાયત બાબરીયા સાથે પ્રેમ થઈ ગયો ભાણ જેઠવા પણ સોન કંસારી પર મોહિત થઈ ગયા હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ સોન કંસારીએ રખાયત બાબરીયા સાથે લગ્ન કર્યા. એક વખત લૂંટારાઓ ગાયો અને ઢોરઢાંખર લૂંટીને લઈ જતા હતાં ત્યારે રખાયત તેમનો સામનો કરવા જતાં મૃત્યુ પામ્યો.  સોન કંસારી એ પતિ પાછળ સતી થવાનું નક્કી કર્યું. આ તરફ ભાણ જેઠવાએ તેને સતી ન થવાનો અને પોતાની સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો. સોન કંસારી એ તેનો આદેશ માનવાનો ઈન્કાર કર્યો અને ઘુમલીમાં વસવાટ કરતાં બરડાઈ બ્રાહ્મણોને શરણે ગઈ .

ભાણ જેઠવાએ બરડાઈ બ્રાહ્મણોને સોન કંસારી પોતાને સોંપી દેવાનો આદેશ કર્યો. પરંતુ બરડાઈ બ્રાહ્મણોએ પ્રાણના ભોગે પણ સોન કંસારી નું રક્ષણ કરવા નિર્ધાર કર્યો. રાણા ભાણે તેમની સામે સૈનિકો મોકલ્યા. સેંકડો બરડાઈ બ્રાહ્મણોએ સોન કંસારી નું રક્ષણ કરવા અને ટેક જાળવવા તે લડાઈમાં શૌર્યતાથી લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી. સોન કંસારી સતી થઈ અને તેણે ભાણ જેઠવાને શ્રાપ આપ્યો કે  ઘુમલી નાશ પામશે. એ વર્ષ હતું ઈ.સ.૧૩૧૫. ઈસ્વીસન ૧૩૧૬માં સિંધના રાજકુમાર બારમણીયાજી જાડેજાએ તેના પિતા જામ ઉણાજીની હારનો બદલો લેવા ઘુમલી પર આક્રમણ કર્યું અને તેને ખેદાનમેદાન કરી  નષ્ટ કરી દીધું. રાણા ભાણ જેઠવાનો યુદ્ધમાં પરાજય થતાં તેઓ  રાણપુર નાસી છૂટ્યાં.

આજે ઘુમલીના ખંડેરો માં, સોન કંસારીનું ખંડેર મંદિર છે જે બ્રાહ્મણોએ સતી પાછળ બંધાવ્યું હતું.આ સ્થળ દક્ષિણ પશ્ચિમથી નવલખા મંદિર સુધી પહાડી શિખર પર સ્થિત છે. મંદિર પાસે એક સરસ તળાવ છે. આ સોનકંસારી તળાવની આસપાસ ઘણા નાના મંદિરો સાથે એક મોટો કૂવો  તથા લાંબા મંડપ નો સમાવેશ થાય છે. બરડા પર્વતમાળાની તે ટેકરીને સોન ટેકરી તરીકે ઓળખવામાં આવે છે.

બરડાઈ બ્રાહ્મણોની અપ્રતિમ બહાદુરી  અને સોન કંસારીના રક્ષણ માટે આપેલા તેમના બલિદાનની વાર્તા ઝવેરચંદ મેઘાણીએ પુસ્તકમાં વર્ણવી છે. દેવકુમાર મોઢા દ્વારા લિખીત એક ઐતિહાસિક ગુજરાતી નવલકથા ’સતિ સોનલ ની સખાતે’  પણ ૧૯૭૦ માં પ્રકાશિત થઈ છે. સોન કંસારી ની વાર્તા પરથી ૧૯૭૭ માં ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.