Abtak Media Google News

કોવીડ-19 વિશ્વ મહામારીના સમયમાં રોગચાળા અટકાયત કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. જેના ભાગ રૂપે દર્દીઓને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા ગામડાઓમાં અને નગરપાલિકા વિસ્તારમાં ધન્વંતરી તથા સંજીવની રથ મળી કૂલ 61 મોબાઈલ રથ મારફત આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે.

આ ધન્વંતરી રથમાં આર.બી.એસ.કે ડોકટર અને તેમની સાથે પેરામેડીકલ ટીમ દ્વારા ગ્રામ્ય અને નગર પાલિકા વિસ્તારમાં સરકારના ઈતિહાસ પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ દ્વારા નોંધાયેલ વિસ્તાર, હાઈરીસ્ક અને લો-રીસ્ક એરીયામાં રહેતા લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં થર્મલગન થી શરીરનું તાપમાન માપવામાં આવે છે. અને પલ્સ ઓક્સીમીટર વડે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. તથા બ્લડ પ્રેશર પણ માપવામાં આવે છે. જરૂર જણાય તેવા દર્દીને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે.

ગત તા:17/4/21 ના રોજ ધન્વંતરી રથ દ્વારા 6641 લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં 78 તાવના કેસ, 178 શરદી ઉધરસ ના કેસની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી.

આ ઉપરાંત ઈમ્યુનીટી વધારે તેવી આયુર્વેદીક તેમજ હોમીયોપેથિક દવાનુ વિતરણ તેમજ ઉકાળાનુ વિતરણ સ્થળ પર જ કરવામા આવે છે. લોકોમાં કોરોના રોગ અટકાયત અન્વયે જનજાગ્રુતિના ભાગ સ્વરુપે લોકોને માસ્ક ફરજીયાત પહેરવુ, સામાજિક અંતર જાળવવુ , ભીડભાડ વાળી જગ્યાએ જવાનુ ટાળવુ વગેરે બાબતે માઇક પ્રચાર દ્વારા જાણકારી આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.