Abtak Media Google News

કુદરતી આફત વેળાએ કેમ બચવું ? તે અંગે પ્રાથમિક જાણકારી સાથે પ્રેક્ટિકલ તાલીમ

કુદરતી તેમજ માનવસર્જીત આપત્તિમાં બચાવ કેમ કરવો તે અંગે જનજાગૃતિ લાવવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) દ્વારા હાલ રાજકોટ જિલ્લામાં અભિયાન ચાલી રહ્યું છે. બે સપ્તાહના આ અભિયાન અંતર્ગત, એન.ડી.આર.એફ.ની છઠ્ઠી બટાલિયનના કમાન્ડન્ટ વી.વી. એન. પ્રસન્નાના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના લોકોને આપત્તિમાં બચાવ અંગે પ્રશિક્ષિત કરાઈ રહ્યા છે.

જેતપુર તાલુકાના વિરપુરમાં કમ્યુનિટી હોલ ખાતે આ અભિયાન અંતર્ગત નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છઠ્ઠી બટાલિયનના ટીમ ઇન્સ્પેક્ટર રંજીતસિંહ પટેલ અને ઇન્સ્પેક્ટર ભરતકુમાર મૌર્યના નેતૃત્વમાં, શાળાનાં બાળકો તેમજ લોકોને વિવિધ પ્રકારની આપત્તિઓમાં બચાવ કેવી રીતે કરવો તેની જાણકારી આપવામાં આવી હતી.

આ સાથે પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી. એન.ડી.આર.એફ.ની ટીમે પૂરની સ્થિતિમાં બચવા માટે માનવ નિર્મિત વિવિધ તરાપાનો ઉપયોગ કેમ કરવો, વાવાઝોડાની સ્થિતિમાં કટિંગ ઓજારોનો ઉપયોગ, ભૂકંપથી બચવાના ઉપાયો, પ્રાથમિક સારવાર, સી.પી.આર. (આપત્તિમાં જીવન બચાવવાની ટેક્નિક) આપવાની પદ્ધતિ, આગની સ્થિતિમાં ફાયર એક્સિ્ંટગ્યુશર વાપરવાની પદ્ધતિ, કોરોના મહામારી જેવી સ્થિતિમાં ઘાતક વિષાણુની અસરો અને તેનો ફેલાવો રોકવાના ઉપાયો અંગે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિરપુરના સરપંચ  રમેશભાઈ ઉપરસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાના કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટીમોને અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે.આ ટીમો દ્વારા રાહત બચાવની કામગીરી સાથે લોકોને કુદરતી અને કૃત્રિમ આફત વખતે કેવી રીતે લડવું તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.