Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક સંસ્થાઓની લાયબ્રેરીમાં ‘રામચરિત માનસ ગ્રંથ’ મોકલવા પોપટ પરિવારનું આયોજન

અબતક, રાજકોટ

લોકો દીકરી કે દીકરાના જન્મ સમયે મીઠાઈ વહેંચી ને લોકોના મોં મીઠા કરાવતા હોઈ છે. પરંતુ રાજકોટમાં રહેતા એક પરિવારે પોતાની વ્હાલુડીના વધામણાં કઈક અનોખી રીતે કર્યા છે.

સામાન્યત: લોકો પોતાને ત્યાં દીકરી કે દીકરા નો જન્મ થતાં મીઠાઈ વહેંચી સ્નેહી જનોના મોં મીઠા કરાવતા હોઇ છે. તો છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ત્યાં એક પરંપરા ચાલી આવી રહી છે. જે અંતર્ગત કોઈ સ્વજન નું મૃત્યુ થતાં તે આત્માના કલ્યાણ માટે તેના પરિજનો ધાર્મિક પુસ્તકોની વહેંચણી કરતા હોઈ છે. ત્યારે રાજકોટના એક પરિવારે કઈક અનોખો ચિલ્લો ચીતરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં વસવાટ કરતા પોપટ પરિવારમાં દીકરીનો જન્મ થતાં મીઠાઈ ની જગ્યાએ રામ ચરિત માનસ લોકોને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે દીકરી રુદ્રીની માતા હિમાની બેન પોપટે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મીઠાઈ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મધુર કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવુ હોઈ, તેમનો સ્વભાવ તેમના સબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામ ચરિત માનસ વહેચવાનું નક્કી કર્યું છે. કારણકે રામ ચરિત માનસના વાંચન થકી વ્યક્તિના જીવનમાં આમોલ પરિવર્તન આવશે. આજે જ્યારે વિભક્ત કુટુંબની સંખ્યા મોટા પ્રમાણમાં કૂદકે અને ભૂસકે વધી રહી છે. ત્યારે પારિવારિક સંબંધો કઈ રીતે સુવ્યવસ્થિત જાળવી શકાય તે બાબતનો સંપૂર્ણ પણે ખ્યાલ આપે છે રામ ચરિત માનસ. સાસુ સસરા, સસરા જમાઈ અને બાપ દીકરીના સંબંધો ક્યાં પ્રકારે હોવા જોઈએ આ બાબતનો તલસ્પર્શી રીતે ખ્યાલ આપે છે રામ ચરિત માનસ. તેમજ આજે જ્યારે દીકરી પર અત્યાચારો મોટા ભાગે તેના પરિચીત વ્યક્તિ સૌથી વધુ કરતા હોઈ છે. ત્યારે મર્યાદા સહિતના પાઠ દીકરીના ઘર થી જ શરૂ થાય. તેના પરિજનો થી જ શરૂ થાય તે હેતુ સાથે રામ ચરિત માનસ આપવાનું નક્કી કર્યું છે.

Ram Child

આપણે ત્યાં એવું કહેવાય છે કે દીકરો સૌથી વધુ તેની માતાને વ્હાલો હોઈ છે. જ્યારે કે દીકરી સૌથી વધુ વ્હાલી તેની પિતાને. ત્યારે એક પિતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતો હોય છે પોતાની લાડકવાયી ના ચહેરા પર સ્મિત કાયમી અકબંધ જળવાઈ રહે તે માટે. ત્યારે રુદ્રી ના પિતા દ્વારા પોતાનો પૂરો પગાર વ્હાલુડીના અનોખા વધામણાં અંતર્ગત રામ ચરિત માનસ ની વહેંચણી કરી ખર્ચ કરવામાં આવશે. પોપટ પરિવાર દ્વારા રામ ચરિત માનસ ની ભેટ રાજકોટ જિલ્લા જેલમાં, શહેર પોલીસ કમિશનર ની કચેરીમાં આવેલ લાઇબ્રેરી થી માંડી શહેરભરના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ લાઇબ્રેરી તેમજ જુદી જુદી સંસ્થાઓની લાઇબ્રેરીમાં પણ આપવામાં આવશે. તો સાથેજ પોતાના સ્નેહીજનો મિત્ર વર્તુળ અને ધાર્મિક સંસ્થાનોમાં પણ આપવામાં આવશે. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ થી લઇ વડાપ્રધાનના કાર્યલય સુધી રામ ચરિત માનસ મોકલાવવામાં આવશે.

આજે જ્યારે લોકો પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરી રેસ્ટોરન્ટ માં પાર્ટી તેમજ કેક ઇત્યાદિ કાપી હજારો રૂપિયાનું આંધણ કરતા હોય છે. ત્યારે પોપટ પરિવારે વ્હાલુડીના અનોખા વધામણાં કરી ને સમાજને એક સારો રાહ ચિંધવાનો પ્રયત્ન કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.